માત્ર બે મહિનાની અંદર જ ચીનથી શરૂ થઇ કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાઇ ગયો. ૧.૫ લાખ લોકોનો જીવ લઇ ચૂકેલા કોરોના વાયરસના ડરથી દુનિયાની અડધા કરતાં વધુ વસ્તી ઘરમાં રહેવા મજબૂર બની છે. અમેરિકા જેવા તાકાતવર દેશમાં પણ તેની આગળ બધા મજબૂર છે. મોટો સવાલ એ છે કે આ મહામારી ખતમ કેવી રીતે થશે. હાર્વર્ડ યુનિવિર્સટીના રિસર્ચ પ્રમાણે વેક્સિન કે કોઇ અસરકારક ઇલાજ વગર કોરોના સીઝનલ ફ્લૂ પણ બની શકે છે અને તે ૨૦૨૫ સુધી ફેલાયા કરે તેવી શક્યતા છે.
પૂરી શક્યતા છે કે કોરોના સીઝનલ ફ્લૂ કે સીઝનલ બીમારી બની જાય
થોડા દિવસ પહેલાં અમેરિકાના કોરોના વાયરસ ટાસ્ક ફોર્સના ડો. એન્થની ફાઉચીએ કહ્યું હતું કે એ વાતની પૂરી શક્યતા છે કે કોરોના સીઝનલ ફ્લૂ કે સીઝનલ બીમારી બની જાય. હવે એવી જ વાત સાયન્સ મેગેઝિનમાં છપાયેલા હાર્વર્ડ યુનિવિર્સટીના રિસર્ચમાં સામે આવી છે. આ રિસર્ચમાં કહેવાયું છે કે જ્યાં સુધી કોરોના વાયરસનો કોઇ અસરકારક ઇલાજ કે વેક્સિન ન મળી જાય ત્યાં સુધી આ મહામારીને ખતમ કરવી મુશ્કેલ છે, વેક્સિન કે કોઇ અસરકારક ઇલાજ વગર કોરોના સીઝનલ ફ્લૂ પણ બની શકે છે અને તે ૨૦૨૫ સુધી ફેલાયા કરે તેવી શક્યતા છે.
લોકડાઉન ખૂલશે અને સંક્રમણ તરત ફેલાશે: વૈજ્ઞાનિકોની ચેતવણી
હાર્વર્ડ યુનિવિર્સટીના રિસર્ચમાં જાણવા મળ્યું કે જો કોવિડ 19ને લઇ ઇમ્યુનિટી બની ગઇ તો પણ આ બીમારીને સંપૂર્ણ રીતે ખતમ થવામાં ૨૦૨૫ સુધીનો સમય તો લાગશે જ. કોરોના સામે લડવા માટે મોટા ભાગના દેશો લોકડાઉનમાં છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવી રીતો અપનાવી રહ્યા છે, પરંતુ વિજ્ઞાનીઓનું કહેવું છે કે લોકડાઉન લગાવીને કોવિડ 19ના ફેલાવવાની ગતિને થોડા દિવસ માટે ઘટાડી શકાય છે કે રોકી શકાય છે, પરંતુ લોકડાઉન ખૂલશે અને સંક્રમણ તરત ફેલાશે.
તેથી કોવિડ 19ની જ્યાં સુધી કોઇ અસરકારક વેક્સિન કે ઇલાજ નથી આવતાં ત્યાં સુધી તેનાથી બચવાની એકમાત્ર રીત છે સોશ્યલ ડિસ્ટન્સિંગ. કોવિડ 19થી બચવા માટે આપણે કમસે કમ ૨૦૨૨ સુધી સોશ્યલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું પડશે.
શું આપણે આ વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ મેળવી શકીશું?
વૈજ્ઞાનિકોના મતે આ એક 'જો અને તો' પ્રકારનો સવાલ છે જેના ઉત્તર માટે આપણી પાસે પુરતો ડેટા નથી. એક આશાસ્પદ મોડલ પ્રમાણે આપણે ૧ વર્ષ સુધી આ રોગથી ઈમ્યુન થઇ જઈએ અને ૧ પછી આ રોગ ફરીથી ત્રાટકે એવું બની શકે. એવું લાગે છે કે આપણે આ રોગથી સંપૂર્ણ ઈમ્યુન થઈએ એ ઘટનાને વેક્સિનની ગેરહાજરીમાં ૫ વર્ષ લાગી શકે. જો કે આ ગાળો પણ વ્યક્તિગત છે. સ્વસ્થ વ્યક્તિ વધુ સારી પ્રતિકાર શક્તિ ડેવલપ કરી શકશે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે એક વખત કોરોનાથી સ્વસ્થ થઇ ગયેલા વ્યક્તિને વખત જતા ફરી કોરોનાનું સંક્રમણ થઇ શકે છે પણ એવી આશા રાખી શકાય કે તેના લક્ષણો હળવા થઇ ગયા હશે. ગમે તે સંજોગોમાં દુનિયાએ થોડા થોડા સમયે ચુસ્ત અને હળવા સોશ્યલ ડિસ્ટન્સિંગના તબક્કા રાખવા પડશે નહીંતર હોસ્પિટલોમાં કોવિડ 19ના દર્દીઓની સંખ્યા એક સાથે ખૂબ વધી જશે.