દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે લૉકડાઉનમાં છૂટ આપવામાં આવી તો અમને આશંકા હતી કે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થશે. જોકે, કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે પરંતુ ચિંતાનું કોઇ કારણ નથી.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને ચિંતા ત્યારે થશે જ્યારે મોતનો આંકડો ઝડપથી વધવા લાગશે
કેજરીવાલે કહ્યું કે કાલ સુધીમાં દિલ્હીમાં 13,418 કેસ હતા તેમાંથી 6540 સાજા થઇ ગયા છે
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને ચિંતા ત્યારે થશે જ્યારે મોતનો આંકડો ઝડપથી વધવા લાગશે. કોરોના વાયરસ થાય અને લોકો સાજા થઇને પોતાના ઘરે જાય છે તો કોઇ ચિંતાનું કારણ નથી. જે કેસ સામે આવી રહ્યા છે જો તે ગંભીર નથી તો ચિંતા કરવાની જરુર નથી. કેજરીવાલે કહ્યું કે કાલ સુધીમાં દિલ્હીમાં 13,418 કેસ હતા તેમાંથી 6540 સાજા થઇ ગયા છે. હાલ 6617 લોકો બીમાર છે અને 261 લોકોના મોત થયા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની હોસ્પિટલ વિશે જાણકારી આપતા જણાવ્યું કે સરકારી હોસ્પિટલોમાં 3829 બેડ છે, જેમાંથી 3164 બેડમાં ઓક્સિજન ઉપલબ્ધ છે. ઓક્સીજનની વાત હું એટલા માટે કરી રહ્યો છું કેમકે જેમને કોરોના થઇ જાય છે તેમને ઓક્સીજનની જરૂર પડે છે. તેઓએ જણાવ્યું કે લગભગ દોઢ હજાર બેડ ખાલી છે. 250 વેન્ટિલેટર છે જેમાંથી 240 ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાં 677માંથી 509 બેડ ભરાઇ ચૂક્યા છે. તેથી કાલે સરકારે 117 ખાનગી હોસ્પિટલોને 20 ટકા બેડ કોરોના માટે રિઝર્વ રાખવા માટે કહ્યું છે. તેનાથી હવે 2000 એક્સ્ટ્રા બેડ ખાનગી હોસ્પિટલોમાં આવી ગયા છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે 72માંથી 15 વેન્ટિલેટરનો ખાનગી હોસ્પિટલોમાં ઉપયોગ થઇ રહ્યો છે. કુલ 4500 બેડમાંથી 2000 નો ઉપયોગ કરાઇ રહ્યો છે અને અઢી હજાર ખાલી છે. હાલ મોટા ભાગે વિના લક્ષણ ધરાવતા અને હળવા લક્ષણના કેસ સામે આવી રહ્યા છે. આવા કેસમાં હોસ્પિટલમાં એડમિટ કરવાની જરૂર નથી.
જોકે તેમના પર નજર રાખવામાં આવે છે અને વાતચીત પણ કરવામાં આવે છે. 3314 લોકોની ઘરે સારવાર ચાલી રહી છે. આગામી 3-4 દિવસમાં દોઢ હજાર બેડ તૈયાર થઇ રહ્યા છે જેની સાથે ઓક્સીજન લાગેલુ હશે. તેઓએ કહ્યું કે ગત એક સપ્તાહમાં લૉકડાઉન અને છૂટછાટ મળ્યા બાદ 3500 દર્દીઓ વધ્યા છે અને 2500 સાજા થયા છે.