કોરોનાને કારણે રાજ્યમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે સુરતના જહાંગીરપુરા કબ્રસ્તાનમાં કબર ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સુરત શહેરમાં કોરોના સ્થિતિ અત્યંત ગંભીર
જહાંગીરપુરા કબ્રસ્તાનમાં કબર ખોદવાની કામગીરી
સતત લોકોના મૃત દેહ આવતા 25થી વધુ કબરો ખોદાઈ
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મહાનગરો પૈકી અમદાવાદ અને સુરતમાં કોરોનાએ હાલ બેહાલ કર્યા છે. દરરોજ નોંધાઇ રહેલા કોરોનાના કેસની સાથોસાથ મોતનો આંકડો પણ ચિંતા વધારનારો છે. સુરતમાં કોરોનાથી થતાં મોતને પગલે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં કબર ખોદવાની કામગીરી તંત્રએ હાથ ધરી હતી.
25 જેટલી કબરો ખોદવામાં આવી
નોંધનીય છે કે, સતત લોકોના મૃતદેહો આવી રહ્યા હોવાથી તંત્ર દ્વારા JCBની મદદથી આશરે 25 જેટલી કબરો ખોદવામાં આવી હતી. તો આ તરફ સ્માશાન ગૃહમાં પણ મોટી સંખ્યામાં મૃતદેહ આવતા હોવાથી સતત વેઈટિંગ જોવા મળ્યું હતું.
રાજ્યમાં આજે સૌથી વધુ 5011 કેસ નોંધાતા ખળભળાટ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 5011 કેસ નોંધાયા છે અને 2525 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,12,151 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
આજે 49 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 49 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4746 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 192 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 25,129 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ પહોંચ્યો હતો. પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1409 કેસ અને ગ્રામ્યમાં 31 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 913 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 239 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 287 કેસ, જ્યારે ગ્રામ્યમાં 158 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 462 કેસ અને ગ્રામ્યમાં 67 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
પાટણ જિલ્લામાં કોરોના કહેર
પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ખાસ કરીને બીજી લહેરમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ કોરોના સંક્રમણ ફેલાયું છે. નોંધનીય છે કે, ગત એક સપ્તાહમાં કોરોનાના 800થી વધુ કેસ નોંધાયા અને હાલ હોસ્પિટલમાં 679 દર્દીઓ સારવાર હેઠળ છે. ધારપુર હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેકશનની અછત હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં પાનના ગલ્લા કરાયા બંધ
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મનપા એક્શનમાં આવી છે અને અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે હવે શહેરના પાન-ગલ્લા બંધ કરવાના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે આ કોરોના સંક્રમણની ચેન તોડવા માટે તંત્ર દ્વારા જે જગ્યા પર ભીડ એકત્ર થાય છે ત્યાં લારી ગલ્લા બંધ કરાવતી હોય છે.