દિવાળીમાં ઉત્સવની ઉજવણી દરમિયાન અમદાવાદીઓ જે રીતે 'કોરોના ગયો' તેમ માનીને બેફામ બન્યા હતા તેના પરિણામે આજે હવે કોરોના શહેરમાં ભયજનક બન્યો છે. કેન્દ્ર સરકારને પણ અમદાવાદમાં કોરોનાના 'ડેન્જર મીટર'ની ગંભીર નોંધ લેવી પડી હતી અને કેન્દ્રીય ટીમ દોડી આવી હતી.
રાજ્ય સરકારને પણ ૫૭ કલાકનો કરફ્યુ લાદવો પડ્યો હતો. આજથી શહેર પુનઃ ધબકતું થયું છે, પરંતુ જે રીતે શહેરમાં કોરોનાના બોમ્બ ફૂટી રહ્યા છે તેને જોતાં લોકોએ રોજબરોજના વ્યવહારમાં ભારે તકેદારી રાખવી પડશે, કેમ કે કોરોનાના કેસના આંકડા છુપાવવામાં માહેર મ્યુનિસિપલ તંત્રના છેલ્લા ત્રણ દિવસના સત્તાવાર આંકડા જ ૧૦૦૦ કેસની નજીકની સંખ્યા દર્શાવે છે. અગાઉ ૧૫૦થી આસપાસ રમતા કોરોનાના કેસ છેલ્લા ત્રણ દિવસથી વધુ એટલે કે ૩૦૦થી વધુ નોંધાઈ રહ્યા હોઈ આ બાબત ખરેખર લોકોના આરોગ્ય માટે જોખમી બની છે.
અગાઉ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા સતત ૧૫૦ કેસની આસપાસ કોરોનાના સત્તાવાર કેસ જાહેર કરાતા હતા. શહેરમાં ઠેર ઠેર એન્ટિજન રેપિડ ટેસ્ટની વ્યવસ્થા ઊભી કરાઈ હતી તેમ છતાં કોરોના જાણે કે ગોકળગાયની ગતિએ ચાલતો હોય તેવું ચિત્ર ઊપસ્યું હતું.
વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીની ધમાલ ગત તા. ૮ નવેમ્બરના ચૂંટણી પરિણામનાં વિજય સરઘસોથી સમગ્ર રાજ્યમાં કોરોનાએ વિદાય લીધી હોવાનું આભાસી ચિત્ર ઊભું થયું હતું. આ સંજોગોમાં દિવાળીને લઈને અપાયેલી છૂટછાટથી લોકો બજારમાં ભાન ભૂલીને ઊમટ્યા હતા. નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં પણ વિવેક રખાયો નહોતો. એટલે ધારણા મુજબ દિવાળી બાદ કોરોના બ્લાસ્ટ થતા હવે મ્યુનિ. સત્તાવાળાઓને પણ મને-કમને ૩૦૦થી વધુ સત્તાવાર કેસ જાહેર કરવા પડે છે.
ગત ૨૨ જૂને અમદાવાદમાં કોરોનાના ૩૧૪ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ ૧૫૦ દિવસ પછી ગત તા. ૨૦ નવેમ્બરે ૩૦૫ કેસ નોંધાયા હતા. ગત તા. ૨૧ નવેમ્બરે કોરોનાના ૩૫૪ કેસ નોંધાતા શહેરભરમાં હાહાકાર મચી ગયો હતો. ગઈ કાલે પણ કોરોના કેસનો આંકડો ફરી ૩૦૦ને પાર થઈને નવા ૩૧૮ કેસ નોંધાયા હતા. આ તો તંત્રના સત્તાવાર ચોપડે નોંધાયેલા કેસ છે. જ્યારે એક અનુમાન મુજબ શહેરમાં હવે રોજના ૫૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા હોઈ મે-જૂન કરતા પણ સ્થિતિ વધુ સ્ફોટક બની છે.
છેલ્લા ત્રણ દિવસના ૩૦૦થી વધુ કેસ મળીને નવા ૯૭૭ કેસ તંત્રમાં નોંધાઈ ચૂક્યા હોઈ દિવાળી બાદના આઠ દિવસમાં જ અમદાવાદમાં કુલ ૨૦૪૪ કેસ થયા છે. ગઈ કાલે આઠ દર્દીનાં મોત થવાથી મૃત્યુઆંકમાં પણ ચિંતાજનક વૃદ્ધિ થઈ છે.
અમદાવાદમાં કોરોનાની સેકન્ડ વેવ ફરી વળી હોવાની પણ ચર્ચા છે. જોકે મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા કોમ્યુનિટી ટ્રાન્સમિશનની બાબતને રદિયો અપાઈ રહ્યો છે, પરંતુ સિરમ સેમ્પલના તંત્રના ત્રીજા રાઉન્ડમાં અનેક સેન્ટરમાં ૪૫થી ૫૦ ટકા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી જોવા મળી હતી તેમ હેલ્થ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારી ખાનગીમાં કબૂલી રહ્યા છે.
ગઈ કાલે મધ્ય ઝોનના ૩૦૫ એક્ટિવ કેસ છોડતાં શહેરના લગભગ તમામ ઝોનમાં ૪૦૦ની આસપાસ કે ૪૦૦થી વધુ એક્ટિવ કેસ નોંધાયા હતા. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૪૭૯, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૪૬૪ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૪૫૭ મળીને કુલ ૧૪૦૦ સત્તાવાર એક્ટિવ કેસ તો એકલા પશ્ચિમ અમદાવાદમાં નોંધાયા હતા. એટલે કે ૪૮ ટકા એક્ટિવ કેસ સાથે પશ્ચિમ અમદાવાદ કોરોનાના સંક્રમણની દૃષ્ટિએ હોટસ્પોટ બન્યું છે. જોકે પૂર્વ ઝોનમાં ૪૦૨, દક્ષિણ ઝોનમાં ૪૨૫ અને ઉત્તર ઝોનમાં ૩૭૪ એક્ટિવ કેસ મળ્યા હોઈ એકરીતે સમગ્ર અમદાવાદ કોરોના જ્વાળામુખીની ટોચ પર બેઠું છે.
આવા વિષમ સંજોગોમાં પણ સરકારી અને ખાનગી હોસ્પિટલના મૃત્યુઆંકમાં તંત્રે હવે ઢાંકપિછોડો કરવા લીધો છે. પહેલાં અસારવા સિવિલ, સોલા સિવિલ અને એસવીપી હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલમાં દરરોજ નોંધાતા મૃત્યુ અને કુલ મૃત્યુ તેમજ કોવિડ ડેઝિગ્નેટેડ વિવિધ ખાનગી હોસ્પિટલના મૃત્યુના આંકડા રોજેરોજ અપડેટ કરાતા હતા તે પણ હવે બંધ કરાયું છે.
બીજી તરફ મેયર-કમિશનરની ઓફિસ ધરાવતી દાણાપીઠ ખાતેની મ્યુનિસિપલ કચેરીમાં કોરોના સતત વકરતો જાય છે. છેલ્લા દસ દિવસમાં જ સ્ટાફમાં કોરોનાના ૫૦થી વધુ કેસ અને એક કર્મચારીનું મોત થયું હોઈ આ કચેરીને જ માઇક્રોકન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરવો પડે એમ છે. દરમિયાન, મ્યુનિસિપલ નાણા વિભાગના ચીફ એકાઉન્ટન્ટ અમિષ શાહ અને તેમના ઘરના બે સભ્ય પણ કોરોનાગ્રસ્ત થતાં સ્ટાફ વધુ ભયભીત બન્યો છે.
છેલ્લાં 5 દિવસમાં ગુજરાતમાં રોજના 1400થી વધુ કેસ
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને પગલે રાજ્ય સરકારે અમદાવાદમાં 2 દિવસનું કર્ફ્યુ લગાવ્યા બાદ ચાર મહાનગરોમાં અચોક્કસ મુદ્દતનો રાત્રિ કર્ફ્યૂ પણ લાગુ કરી દીધો છે. રાજ્યમાં કોરોનાના આંકડાની વાત કરીએ તો છેલ્લાં 5 દિવસમાં 1400થી વધુ રોજના કેસ આવી રહ્યાં છે.
તારીખ
કેસ
સાજા થયાં
મોત
2020-11-18
1281
1274
8
2020-11-19
1340
1113
7
2020-11-20
1420
1040
7
2020-11-21
1515
1271
9
2020-11-22
1495
1167
13
અમદાવાદમાં પરિસ્થિત વધારે ખરાબ
જ્યારે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહીં રોજના 300થી વધુ કેસ થઈ ગયા છે. છેલ્લાં 5 દિવસમાં 1507 કેસ નોંધાયા છે, જ્યારે 24ના મોત થયા છે. અમદાવાદમાં કુલ મૃતાંક 1969 પર પહોંચ્યો છે ત્યારે તંત્રએ અહીં આકરા પગલા લેવાની ફરજ પડી છે.
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં સ્થિતિ વણસી
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્થિતિ ફરી ભયજનક બનતા મનપા દ્વારા 2 દિવસનો કર્ફયુ લાદવામાં આવ્યો છે જેનો 2 દિવસ સુધી કડક રીતે અમલ કરવામાં આવ્યો હતો. જો કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં આવતીકાલથી કર્ફ્યુ પુરો થશે અને જનજીવન રાબેતા મુજબ થશે તેવી જાહેરાત કરી હતી. સાથે યુવાનોને પણ બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી.
24 કલાક દરમિયાન 13 દર્દીઓના થયાં મોત
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે રવિવારે રાજ્યમાં 1495 કેસ નોંધાયા છે.નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1167 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,79,953 પર પહોંચ્યો છે. 24 કલાક દરમિયાન 13 દર્દીઓના કોરોનાને કારણે મોત થતા કુલ મૃત્યુઆંક 3859 પર પહોંચ્યો છે.