પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. ત્યારે રાજ્યભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. જોકે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તેનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. દાદરાનગર હવેલી ખાતે ખોટી અફવાઓના પગલે આદિવાસી લોકો રસ્તા પર આવી પ્રશાસનનો વિરોધ કરતાં જોવા મળ્યાં છે.
દાદરા નગર હવેલીમાં કલમ-144નું થઈ રહ્યું છે ઉલ્લંઘન
ખોટી અફવાથી આદિવાસી વિસ્તારના લોકોમાં રોષ
ખાનવેલ, દપાડા, રાંધાના આદિવાસી લોકોએ કર્યા ચક્કાજામ
પ્રાપ્ત મળતી માહિતી મુજબ લોકડાઉનના પગલે દાદરાનગર હવેલીમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. જો કે હાલમાં 144 કલમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. જેને લઇને ખાનવેલ, દપાડા, રાંધાનાના આદિવાસી લોકો રસ્તા પર આવી તંત્રનો વિરોધ કરતાં જોવા મળ્યાં.
જો કે એક મળતાં અહેવાલ મુજબ આ વિસ્તારના શંકાસ્પદ દર્દીઓને કોરેન્ટાઇન ન કરવાની સ્થાનિકોએ માગ કરી છે. જો કે સૂત્રોના જણાવ્યાં અનુસાર વિરોધ કરી રહેલા લોકોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે.
દાદરા નગર હવેલીના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં એક અફવાના કારણે ભારેલો અગ્નિ જેવો માહોલ સર્જાયો છે. આદિવાસી પંથકમાં એક એવી અફવા ફેલાય છે કે નેપાળથી પરત લાવવામાં આવી રહેલા યાત્રાળુઓમાંથી કેટલાકને કોરોના પોઝિટિવ છે. જેને લઇને આવનારા દિવસોમાં તેઓને પોતાના ઘરમાં કરોન્ટાઇન કરવામાં આવશે.
જો કે તંત્રના આ નિર્ણયના વિરોધને લઇને ગઇકાલથી આદિવાસી લોકો આ વિસ્તારના રોડ પર ઉતરી આવ્યાં અને ચક્કાજામ કરી પોતાના ગામ અને વિસ્તારને બંધ કરી રહ્યાં છે. તેઓ એક જ માંગ કરી રહ્યાં છે કે અમારા વિસ્તારમાં એકપણ કોરોના પોઝિટિવ નથી. નવા કોઇપણ વ્યક્તિએ કોરોના માટે અમારા વિસ્તારોમાં પ્રવેશ ન કરવો.