દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ તેના કર્મચારીઓ માટે 'Work from Anywhere' સુવિધા લાવવાની યોજના બનાવી રહી છે. બેંકનું કહેવું છે કે કોરોનાને કારણે બેંકે આ નિર્ણય લીધો છે, જેથી બેંકના કર્મચારીઓને સંક્રમણના જોખમથી બચાવી શકાય. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે બેંકની 65મી વાર્ષિક સામાન્ય સભામાં કહ્યું કે, બેંક આના માટે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરશે. આવું કરવા પર બેંકના ખર્ચમાં 1000 કરોડ રૂપિયાની બચત થવાની પણ અપેક્ષા છે.
એસબીઆઈ બેંકે કર્મચારીઓની સુરક્ષા માટે લીધો ખાસ નિર્ણય
હવે કર્મચારીઓ ગમે ત્યાંથી કામ કરી શકશે
આ સુવિધાથી બેંકને પણ 1000 કરોડ રૂપિયાના ખર્ચની બચત થશે
ખર્ચમાં બચતથી બેંકને થશે આ ફાયદો
રજનીશ કુમારે કહ્યું કે એસબીઆઇનું સંપૂર્ણ ધ્યાન ખર્ચ ઘટાડવા, કર્મચારીઓની પ્રોડક્ટિવિટી વધારવા અને એડમિનિસ્ટ્રેશન ઓફિસથી દૂર કરી સેલ્સ ઓફિસ પર ધ્યાન રહેશે. કુમારે કહ્યું કે, સર્વશ્રેષ્ઠ વૈશ્વિક પ્રક્રિયાઓનું પાલન કરતા બેંક ગમે ત્યાંથી કામ કરવાની સુવિધા વિકસિત કરશે. તેમણે કહ્યું કે, આમાં કર્મચારીઓના સામાજિક અનેકાર્યકારી જીવન વચ્ચેના સંતુલનનું ધ્યાન રાખવામાં આવશે. તેમના મતે આ નિર્ણયથી બેંકને 1000 કરોડના ખર્ચની બચત થવાનો અંદાજ છે. કોવિડ -19ના સમયમાં આ બચત બેંકનું કામકાજ ચાલુ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
એસબીઆઈના ચેરમેને આગળ કહ્યું- કોરોના વાયરસ હજી ગયો નથી. જેથી 2020-2021 તમામ નાણાકીય સંસ્થાઓ અને બેંકો માટે પડકાર સમાન છે. જોકે, એસબીઆઈએ આ પડકારોનો સામનો કરવા માટે તૈયારીઓ કરી લીધી છે. રજનીશ કુમારે કહ્યું કે, બેંકે તમામ પ્રોજેક્ટ્સની યોજનાઓ પર નજર રાખવા માટે પણ પગલાં લીધાં છે. આ સાથે જ બેંકની યોનો એપના યુઝર્સની સંખ્યા 6 મહિનામાં ડબલ કરવાની દિશામાં પણ કામ કરી રહી છે.