કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રવિવારે કહ્યું કે છેલ્લા 3 દિવસમાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ડબલ થવાનો સમય 13.6 દિવસ થઇ ગયો છે. જ્યારે છેલ્લા 14 દિવસમાં આ દર 11.5 દિવસનો હતો. દેશમાં રવિવારે કોરોના વાયરસના લગભગ 5000 કેસ સામે આવ્યા છે.
છેલ્લા 3 દિવસમાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ડબલ થવાનો સમય 13.6 દિવસ થયો
ભારતમાં કોરોનાના સંક્રમણના કેસ ડબલ થવાનો સમય છેલ્લા 14 દિવસમાં 11.5 દિવસનો હતો
હર્ષવર્ધને કહ્યું કે મૃત્યુદર ઘટીને 3.1 ટકા થઇ ગયો છે અને રિકવરી રેટમાં સુધારો થયો છે, આ દર 37.5 ટકા થયો છે.
હર્ષવર્ધને કહ્યું કે દેશમાં સંક્રમણના પ્રસારની ગતિ ધીમી છે. તેઓેએ આગળ કહ્યું કે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 106 દિવસમાં 80,000 સુધી પહોંચી, જ્યારે બ્રિટેન, ઇટાલી, સ્પેન, જર્મની અને અમેરિકામાં આ સંખ્યા પર પહોંચવામાં 44થી 66 દિવસ લાગ્યા હતા. 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, લદ્દાખ, મેઘાલય, મિઝોરમ, પુડુચેરી અને અંદમાન-નિકોબાર દ્વીપ સમહૂ અને દાદરા અને નગર હવેલીમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસનો કોઇ કેસ નોંધાયો નથી.
હર્ષવર્ધને નિવેદનમાં જણાવ્યું કે સિક્કિમ, નાગાલેન્ડ, દમણ અને દીવ તથા લક્ષદ્વીપમાં અત્યાર સુધીમાં કોઇ કેસ સામે આવ્યો નથી. દેશમાં સોમવારથી દેશવ્યાપી લૉકડાઉનનું ચોથુ ચરણ શરૂ થશે.
નોંધનીય છે કે દેશમાં જારી લૉકડાઉન વચ્ચે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 2872 લોકોના મોત થયા છે. જ્યારે કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 90,927 પર પહોંચી ગઇ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 34,108 લોકો સ્વસ્થ્ય થયા છે.