ભારતમાં કોરોના વાયરસનો કહેર સરકારના અનુમાન મુજબ દિવસે ને દિવસે ઘટવાને બદલે વધી રહ્યો છે. આવામાં લૉકડાઉનને પણ 50 દિવસથી વધુ થવાને કારણે હવે લોકોની ધીરજ ખૂટી રહી છે જેના પરિણામે આક્રોશ પણ ઠેર-ઠેર જોવા મળી રહ્યો છે. જેનું મુખ્ય કારણ છે લૉકડાઉન વધી રહ્યું છે પરંતુ સામે કોરોનાના કેસો ઘટી નથી રહ્યાં. જો કે આટલા દિવસોમાં એક પછી એક સરકારની બદલાતી ગાઈડલાઈન પછી એ તો ચોખ્ખું દેખાય છે કે કોરોના સંકટમાં માત્ર લૉકડાઉન (લોકોને ઘરમાં બેસાડી રાખવા) એ ઈલાજ નથી. કારણ કે શરૂઆતમાં કડક લૉકડાઉનની વાતો અને ત્યાર બાદમાં છેલ્લે કોરોના સાથે જીવવાની વાતોથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોના માત્ર લૉકડાઉનથી અટકશે નહીં.
લૉકડાઉન એ કોરોનાનો ઈલાજ નથી અને માત્ર હર્ડ ઈમ્યુનિટી (અંદાજે 80 ટકાલ લોકોને વાયરસનું સંક્રમણ થાય એટલે વાયરસની અસર ઓછી થઈ જાય તેવી થિયરી)ને આધારે અન્ય કોઈ પગલાં ન લેવાય તેનાથી કામ નહીં ચાલે તેવું અમેરિકાની નેશનલ ડિસીસ કંટ્રોલ ઈન્સ્ટિટયૂટના વડા તરીકે કાર્યરત અને કોરોના સામેની અમેરિકાની લડાઈમાં જેમનો સૌથી મહત્વનો રોલ છે એવા ડો. એન્થની ફૌસીએ વિખ્યાત ટાઈમ મેગેઝીનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન, માસ્ક-સેનેટાઈઝર્સનો ઉપયોગ અને કેટલીક આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવીને જીવતા શીખવું પડશે. લોકોને ઘરમાં બંધ રાખીને કોરોનાનો અંત આવી જશે તેવું મને માનવામાં આવતું નથી.
મહત્વનું છે કે ટ્રમ્પના પ્રખર ટીકાકાર હોવા છતાં અમેરિકાની નેશનલ ડિસીસ કંટ્રોલ ઈન્સ્ટિટયૂટના વડા તરીકે કાર્યરત અને કોરોના સામેની અમેરિકાની લડાઈમાં જેમનો સૌથી મહત્વનો રોલ છે એવા ડો. એન્થની ફૌસીએ લૉકડાઉન વિશે આ વાત કરી હતી. દુનિયાભરમાં જેમનો ઓપિનિયન ખૂબ મહત્વનો માનવામાં આવે છે એવા ડૉ. એન્થનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ તેમ જ સાવધાની રાખવાથી કોરોના દૂર રાખી શકાશે. એના માટે આકરા પ્રતિબંધો મૂકવાની જરૂર નથી.
WHOએ પણ કહી દીધું છે કે બની શકે કોરોનાનો ઈલાજ ક્યારેય ન મળે
WHOના એક્ઝિક્યુટિવ બોર્ડમાં રહી ચૂકેલા અને અત્યારે કોરોનાની દવા પર કામ કરી રહેલા જેન હાલ્ટને પણ કહ્યું હતું કે કોરોનાના મૂળ અને તેના ફેમિલીના એકેય વાયરસનો ઈલાજ હજુ સુધી મળ્યો નથી અને શક્ય છે કે ક્યારેય તેનો ઈલાજ ન પણ મળે.
મહત્વનું છે કે દુનિયામાં થોડા જ મહિનામાં કોરોના વેકસીન ઉપલબ્ધ કરાવાની જાહેરાત બાદ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ પણ દુનિયાભરને ચેતવણી જાહેર કરી છે કે બધાએ એવી પરિસ્થિતિ માટે પણ તૈયાર રહેવું પડશે કે આ સંક્રમણ ક્યારે ખત્મ ન થાય. WHOએ સ્પષ્ટ કર્યું છે કે બની શકે છે કે આ કોવિડ-19 ક્યારે દુનિયામાંથી ખત્મ જ ના થાય અને તેની સાથે જીવન જીવવાની આદત પાડવી પડે. WHOના માઇકલ રયાને જીનેવામાં પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે કોરોના આપણા વચ્ચે એવી રીતના એક વાયરસમાં તબદીલ થઇ શકે છે જે બીજાથી અલગ હોય અને શક્ય છે કે આ ખત્મ જ ન થાય. રયાને HIV નું ઉદાહરણ આપતાં જણાવ્યું કે દુનિયામાંથી આ વાયરસ હજુ ખત્મ થયો નથી.
તો આવામા કરવું શું?
આવામાં સૌથી મોટો સવાલ એ થાય છે કે હાલના નજીકના ભવિષ્યમાં કોરોનાની દવા કે તેનો કોઈ સચોટ ઈલાજ દેખાઈ રહ્યો નથી. તો પછી આપણે આ માટે તૈયાર રહેવું પડશે પરંતુ ખરેખર તેની દેશમાં સરકાર કે તંત્ર દ્વારા કોઈ અન્ય પ્લાન તૈયાર કરાયો છે કે નહીં? ICMR દ્વારા પણ આખરે એવું કહી દેવાયું હતું કે આપણે આ વાયરસ સાથે જીવતા શીખવું પડશે. ત્યારે મનમાં કેટલાંક સવાલો થાય છે કે તો શું ઘરમાં જ હવે બંધ થઈને રહેવું? લોકડાઉનનું પાલન કર્યા સિવાય છૂટકો નથી? નોકરી-ધંધા બંંધ રાખીને કોરોના ખતમ થાય ત્યાં સુધી રાહ જોવાની? ડરના માર્યા ઘરમાં પૂરાઈ રહેવું જોઈએ કે પછી હિંમત રાખીને બહાર નીકળવું?
આ માટે કેટલીક વાત પ્રેકટિકલી સમજવી જરૂરી
પહેલાં ડોક્ટર એન્થની ફૌસીએ કહેવી વાત વધારે સમજવા જેવી છે. તેમણે લોકડાઉનનો ઉપાય બેઅસર ગણાવ્યો હતો. આવામાં ઘણાં લોકો એવી દલીલ કરી ચૂક્યા છે કે લોકડાઉનના 50 દિવસ પછી પણ જો ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 80 હજારે પહોંચી છે. 2600 જેટલાં લોકોના મોત થયા છે. લોકડાઉન લાગુ થયું એ દિવસે એટલે કે 24મી માર્ચે 564 કેસ નોંધાયા હતા અને મૃત્યુ આંક 9 હતો.
ભારતમાં લોકડાઉન 80થી 85 ટકા સુધી સફળ રહ્યું છે એવો દાવો અનેક અહેવાલોમાં થાય છે, જેમાં સરકારી અહેવાલો પણ સામેલ છે. જો ખરેખર 85 ટકા લોકો ઘરમાં બંધ રહ્યાં હોય છતાં કેસનો આંકડો બે મહિનામાં 80 હજારે પહોંચતો હોય તો એનો અર્થ એવો થયો કે લોકડાઉનથી કેસ કાબુમાં આવ્યા નથી એ વાસ્તવિકતા છે.
લોકડાઉન ઈલાજ નથી તો ઉપાય શું? ઉપાય છે, સાવચેતી અને તેની માટે કોરોનાગ્રસ્ત દર્દીઓનું ટેસ્ટીંગ કરી પોઝિટિવ દર્દીઓને ક્વોરોન્ટાઇન કરવાની જરૂરી હતું જેથી આ વાયરસનું સંક્રમણ આગળ વધતું અટકે. આ વાયરસનો ઈલાજ નથી પરંતુ તેને અટકાવવું એ સરકાર અને આપણાં હાથમાં છે.
ક્વોરન્ટાઈન સમય 14 દિવસનો એટલે જ રખાય છે.
નિષ્ણાતો માને છે કે કોરોના વાયરસની લાઈફ 14 દિવસની છે. એટલે જ 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન રાખવાામાં આવે છે. ઈલાજ નથી તો પણ જેમની રોગપ્રતિકારક શક્તિ સારી છે, તેમને 14 દિવસમાં સારું થઈ જાય છે. મોટી ઉંમરે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે એટલે જ 60 વર્ષથી વધુ વયના દર્દીઓની રિકવરી ઓછી આવે છે. 70 વર્ષથી વધુ વયના દર્દીઓની બચવાની શક્યતા 70 ટકા ઘટી જાય છે. મૂળ તો આ રોગ ઈમ્યૂન સિસ્ટમને અસર કરતો હોવાથી જીવન-મરણનો આખો આધાર ઈમ્યૂનિટી ઉપર રહે છે.
યોગ્ય સ્ટ્રેટજી અને પગલાં ચોક્કસ સંક્રમણ અટકાવી શકે
એક અંદાજ પ્રમાણે 70 ટકા પ્રજામાં કોરોના પેસિવ હોવાની શક્યતા, સંક્રમણ રોકવા લેબોરેટરી અને ટેસ્ટની જરૂરિયાત છે. કોરોનાથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે. માસ્ક અને સેનિટાઈઝર્સ જરૂરી છે અને શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ જરૂરી છે. ટેસ્ટની બાબતમાં ભારતનો રેકોર્ડ ખૂબ જ નબળો છે. આજેય જરૂરી માત્રામાં ટેસ્ટ થતાં નથી. ટેસ્ટ થતાં નથી એટલે કોરોનાના રોગનું પગેરું સમયસર મળતું નથી. સમયસર દર્દીને ઓળખી શકાય નહીં એટલે તે આગળ અન્ય લોકોને સંક્રમણ ફેલાવતો રહે. સંક્રમણ અટકાવવું હોય તો શક્ય એટલા વધારે સેમ્પલ્સ લઈને ટેસ્ટિંગ કરવું પડે. ટેસ્ટ માટે લેબોરેટરીમાં વ્યવસ્થા કરવી પડે. એ વ્યવસ્થા માટે બજેટ ફાળવવું પડે, પરંતુ એના માટે જીડીપીના 20 ટકા બજેટ ફાળવવું પડે તેમ નથી. એના માટે ટ્રમ્પના સ્વાગતમાં જેટલું બજેટ ફાળવાયું હતું એટલું જ અથવા તો તેનાથી પણ ઓછું તો પણ ચાલી જાત.
ફેબ્રુઆરીમાં ટ્રમ્પના કાર્યક્રમમાં વ્યસ્ત રહેવાને બદલે સ્ક્રિનિંગ કરવું જોઈતું હતું
ભારતમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરીમાં નોંધાયો હતો. WHOએ પણ કહ્યું હતું કે આ વાયરસ માણસથી માણસમાં ફેલાય છે. આવામાં 24મી ફેબ્રુઆરી એટલે કે આશરે એક મહિના પછી પણ ટ્રમ્પને આવકારવા કેન્દ્ર સહિત ગુજરાત સરકાર થનગનતી હતી. બરાબર એ જ વખતે કોરોના ભારતમાં પ્રવેશવા આતુર હતો. આપણે ટ્રમ્પને આવકારવામાં વ્યસ્ત રહ્યાં એનો લાભ લઈને કોરોનાએ ઘૂસણખોરીમાં સફળતા મેળવી લીધી. જો સરકારે એ વખતે વિદેશથી આવતા નાગરિકોનું બરાબર સ્ક્રીનિંગ કર્યું હોય તો કદાચ આજે દેશમાં 85 હજાર કેસ ન હોત. એ વખતે આપણા એરપોર્ટ ખુલ્લા હતાં અને નામ માત્રનું સ્ક્રીનિંગ થતું હતું. જેના કારણે કેટલાય શંકાસ્પદો દ્વારા કોરોના ભારતમાં આવી ગયો હતો. જો ત્યારે એરપોર્ટ બંધ કર્યા હોત અથવા તો બરાબર તપાસ કરી હોત. ક્વોરન્ટાઈન કરવાનું શરૂ કર્યું હોત તો દેશની જનતાને 50-50 દિવસ ઘરમાં બંધ રહેવું ન પડયું હોત. કેટલાંક દેશોમાં સૌપ્રથમ આ જ કરવામાં આવ્યું હતું અને કોરોનાને કાબૂમાં રાખવામાં સફળ રહ્યાં છે. અમદાવાદ ઍરપોર્ટ છેક એપ્રિલની શરૂઆત સુધી સ્ક્રિનિંગ યોગ્ય રીતે કરાતું નહોતું. આ વિશે કેટલીય ફરિયાદો પણ લોકોએ કરી હતી.
લૉકડાઉન પહેલાં જ મજૂરોને વતન મોકલી દેવા જોઈતા હતા
લોકડાઉન સરકારે નોટબંધીની જેમ જ રાતોરાત લાગુ લૉકડાઉન કરી દીધું હતું. જો તેના બદલે ત્રણ-ચાર દિવસનો સમય આપ્યો હોત તો મજૂરો સહિત જે લોકો બીજે ક્યાંક ફસાયા હતા એ ઘરે પહોંચી ગયા હોત. જેનાથી હાલમાં જે કોરોના પીક ટાઈમ પર છે તેવા સમયે કેટલીય વખત એવું બન્યું કે મજૂરોની ઘરે જવાની માગણી સાથે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા થયાં છે આવામાં સંક્રમણનો ખતરો પહેલાં કરતા વધારે બની જાય છે. કેટલાય મજૂરો 1000-1500 કિ.મી.નું અંતર કાપીને પગપાળા ઘરે ગયા. કેટલાય સાઈકલ ઉપર ગયા. અસંખ્ય મજૂરો ભૂખ-તરસ-થાકથી બેહાલ બન્યા, તો અમુક વળી પાટા નીચે કચડાઈ ગયા તો અમુક અકસ્માતમાં માર્યા ગયા. જો લોકડાઉન લાગુ કરતાં પહેલાં તેમનું વિચારાયું હોત તો કેટલાંય હાડમારીમાંથી બચી ગયા હોત. હવે જે સંક્રમણ થઈ રહ્યું છે, એનાથી પણ બચી શકાયું હોત. મજૂરો હાડમારીમાં રહ્યાં એના કારણે સંક્રમણ ન થયું હોત એમને ય થયું. એ હવે વતનમાં ગયા એટલે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોખમ વધ્યું છે.
વધારે ટેસ્ટિંગ કરવા માટે લેબ નથી, એક લેબ બનાવવા માટે આશરે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થાય
24 માર્ચે સરકારે લોકડાઉન જાહેર કરવાને બદલે જો દેશભરમાં વિશાળ માત્રામાં લેબોરેટરીઓ ઉભી કરી કોરોનાગ્રસ્ત દર્દીઓનું નિદાન કરી તેમને ક્વોરોન્ટાઇન કરવાની જરૂર હતી. પરંતુ કમનસીબી એ વાતની છે કે સરકાર પાસે આવી લેબોરેટરીની સુવિધા જ નથી ન તો તે માટેનું કોઇ આયોજન નથી કે ઇરાદાઓ દેખાયા. ત્યારે શું પોતાની નિર્બળતા છૂપાવવા એકાએક લોકડાઉનની જાહેરાત કરાઇ તેવા પણ સવાલો થાય છે.
કોરોનાના ટેસ્ટિંગ માટેની લેબોરેટરી અલગ સાધન-સામગ્રી સાથે બનાવવી પડે. બાયોલોજિકલ સ્ટાન્ડર્ડ BSL-2 પ્રમાણેની 2500 સ્કવેર ફૂટની જગ્યા સાથે લેબ બનાવવી પડે. સ્ટાફને ગાઈડલાઈન પ્રમાણે તાલીમ આપવી પડે. સેમ્પલનું કલેક્શન, સ્ટોરેજ અને એનાલિસિસ થાય એના માટે અલગ અલગ રૂમ બનાવવા પડે. રોબોટિક સિસ્ટમ ઈન્સ્ટોલ કરવી પડે. આ તમામ વ્યવસ્થા માટે અંદાજે 1-2 કરોડ રૂપિયા જોઈએ. આ લેબોરેટરીમાં આશરે 10,000 સેમ્પલ ટેસ્ટ થઈ શકે. એક ટેસ્ટ માટે અંદાજે 2000નો ખર્ચ થાય છે. તે હિસાબે એક લેબમાં બે કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
ટ્રમ્પના સ્વાગત માટે માત્ર ત્રણ કલાકના બજેટમાં તો ગુજરાતમાં કોરોના અટકી ગયો હોત
ઉદાહરણ તરીકે અમદાવાદમાં 10 લેબોરેટરી બનાવવાની હોય તો 10-15 કરોડનો ખર્ચ આવે. બધામાં સરેરાશ 10,000 સેમ્પલનું પરીક્ષણ થાય તો દરરોજ 1 લાખ લોકોના સેમ્પલનું પરીક્ષણ થઈ શકે. ટેસ્ટ પાછળ બે કરોડનો ખર્ચ આવે તે હિસાબે મહિનાનો 30 કરોડનો ખર્ચ થાય. લેબના નિર્માણના 10 કરોડ ગણીએ તો 70 કરોડનો ખર્ચ થાય. 70 કરોડમાં મહિને ત્રણ લાખ લોકોનું પરીક્ષણ થઈ જાય. ટ્રમ્પને આવકારવા માટે અંદાજે 100 કરોડ રૂપિયા ખર્ચાયા તેના અહેવાલો મીડિયામાં તો આવી ચૂક્યાં જ હતા. આ ખર્ચો તો તેનાથી પણ ઓછો છે. આ જ રણનીતિ અને મોડલ ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં લાગુ કરી શકાયુ હોત. જે આગળ વધીને દેશભરમાં લાગુ થઈ શકે. જો ટેસ્ટિંગ અને અવેરનેસનું જડબેસલાક મેનેજમેન્ટ થાય તો કોરોના સામે ખરા અર્થમાં મજબૂત લડાઈ લડી શકાય. દેશને ઘરમાં બંધ રાખીને જે 20 લાખ કરોડનું દેખીતું નુકસાન થયું છે એ ન થયું હોત.
હાલ પૂરતું વધુને વધુ ટેસ્ટિંગ એક માત્ર 'ઈલાજ' કહી શકાય
કોરોનાનો હાલ કોઈ હાથવગો ઈલાજ નથી એ તો ભારત સહિત વિશ્વભરે સ્વીકારી લીધું છે. પરંતુ સંક્રમણ અટકાવવા અને સૌથી મહત્વનું મૃત્યુદર ઘટાડવા માટે ટેસ્ટ કરીને સંક્રમિત વ્યક્તિને ઓળખી કાઢવા માટે વધુમાં વધુ ટેસ્ટ કરવા પડે એમાં કોઈ બેમત નથી. આ વાત સમજવા દેશમાં બે રાજ્યોની સરખામણીએ તો તામિલનાડુમાં ગુજરાતની સરખામણીએ હાલમાં જ કોરોનાના કેસ વધી ગયાં છે. પરંતુ તેની સામે તેમનો મૃત્યુદર આખા દેશમાં સૌથી ઓછો છે. તામિલનાડુમાં 10,108 કેસ છે પરંતુ મૃત્યુ ત્યાં માત્ર 71 નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં 9932 કેસની સામે 606 મૃત્યુ નોંધાયા છે. હવે સૌથી મહત્વની વાત કે તામિલનાડુએ 15 મે સુધી કુલ 3,03,104 ટેસ્ટિંગ કર્યા છે જેની સામે ગુજરાતે 1,27,859 કર્યા છે. જેનો અર્થ એ થયો કે ટેસ્ટિંગને કારણે સંક્રમિત લોકોને વહેલા ઓળખી શકાયા અને તેમને વહેલી સારવાર મળી રહી જેથી મૃત્યુ વધુ થતાં અટકાવી શક્યાં. ખુદ ગુજરાત સરકાર કહી ચૂકી છે કોરોનાના દર્દીઓ મોડાં આવે છે જેથી મૃત્યુનો આંકડો વધ્યો છે.