કોરોના વાયરસ સામે સંશોધન કરી રહેલા શાંઘાઈ અને ન્યુ યોર્કના સંશોધનકર્તાઓએ ચેતવણી આપી છે કે HIVના દર્દીઓની જેમ કોરોના વાયરસ શરીરના અગત્યના રોગ પ્રતિકારક કોષોને નષ્ટ કરીને શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટાડી શકે છે.
ચીન અને અમેરિકાના સંશોધનકર્તાઓએ જાણ્યું કે કોવિડ ૧૯ શરીરને નુકશાનકર્તા બહારી તત્વોથી બચાવતા T કોષોને નષ્ટ કરી દે છે
આમ થવાથી HIVની જેમ શરીરની રોગ પ્રતિકારકશક્તિ ઓછી થઇ જાય એવી શક્યતા છે
શું કામ કરે છે શરીરમાં T કોષો?
આપણા શરીરમાં T Lymphocytes એટલે કે T કોષો આવેલા હોય છે જે બહારના હાનિકારક તત્વોની ઓળખ કરીને તેનો નાશ કરે છે. આમ કરવા માટે તે સંક્રમિત કોષની કોષ દિવાલમાં એક કાણું પાડે છે અને એક ઝેરી રસાયણ છોડે છે જે રસાયણ આખરે તે સંક્રમિત કોષ અને એ કોષની અંદર રહેતા વાયરસ બંનેને નષ્ટ કરી દે છે.
કોરોના વાયરસ T કોષોને તેમના કામમાં અસમર્થ બનાવી દે છે
ચિંતાજનક વાત એ છે કે કોરોના વાયરસ ઉપર રહેલા સ્પાઈક પ્રોટીન T કોષોની અંદર જઈને તેમને શરીરનું રક્ષણ કરવાના તેમના કામમાં અસમર્થ બનાવી દે છે. નોંધનીય છે કે આ પહેલાના Sars વાયરસ કે અન્ય કોરોના વાયરસ T કોષો ઉપર આવી જોખમી અસર કરી શકતા નહોતા. આ અંગેનું સંશોધન Cellular & Molecular Immunology નામની જર્નલમાં આ અઠવાડિયે પ્રકાશિત થયું છે.
ફેબૃઆરીમાં ચેંગ યોંગવેન અને તેમના સાથીઓએ પ્રકાશિત કરેલા તબીબી અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના ના દર્દીઓમાં ખાસ કરીને ઘરડા વ્યક્તિઓ અને ગંભીર અસરો ધરાવતા લોકોમાં T કોષોનું પ્રમાણ ચિંતાજનક રીતે ઓછું જોવા મળ્યું હતું. આ ઉપરાંત મૃત્યુ પામેલા ૨૦થી વધુ દર્દીઓની ઓટોપ્સીમાં પણ જાણવા મળ્યું હતું કે તેમની રોગપ્રતિકારક શક્તિ બિલકુલ નષ્ટ થઇ ગઈ હતી. વૈજ્ઞાનિકો આ લક્ષણની સરખામણી અતિ ગંભીર HIV Aids અને ઇબોલા સાથે કરી રહ્યા છે.
પરંતુ આ છે સારા સમાચાર
જો કે અહીં એક આશાસ્પદ સમાચાર એ છે કે HIV અને કોવિડ ૧૯ વચ્ચેનો મોટો તફાવત એ છે કે HIV T કોષોની અંદર જઈને પ્રજોત્પતિ કરીને પોતાની સંખ્યા વધારી દેતો હતો જેથી વધુ કોષો સંક્રમિત કરી શકે જયારે આ વાયરસ એક વખત T કોષમાં દાખલ થાય પછી તે પ્રજોત્પતિ કરી શકતો નથી. વૈજ્ઞાનિકો માને છે કે કદાચ બંને વચ્ચેની લડાઈના અંતે કોરોના વાયરસ અને T કોષ અંદરોઅંદર જ નષ્ટ થઇ જતા હશે એવું બની શકે.