સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દરેક દેશો કોરોનાના આક્રમણને ખાળવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. જો કે તેમ છતાં સંક્રમિત દર્દીઓનો મૃત્યુઆંક રોજ રોજ વધી રહ્યો છે. અમેરિકા અને ઈટલી જેવા વિકસિત દેશોને પણ કોરોનાએ હંફાવી દીધા છે. ત્યારે ભારતમાં પણ સ્થિતિ ચિંતાજનક બની છે. દેશમાં કોરોના પોઝિટિવનો આંક સાતસોને પાર કરી ગયો છે.
દુનિયાભરમાં કોરોનાથી હાહાકાર
વિકસિત દેશો પણ હાંફી ગયા
દેશમાં દેખાયા અનેક રંગો
હવે કોરોના સામેના યુદ્ધમાં રસ્તા પર રિઝર્વ પોલીસ ફોર્સ પણ ઉતરી આવી છે. રાજ્યભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે અમદાવાદમાં RAFની ટીમ તૈનાત કરાઈ છે. શહેરના શાહપુર, કાલુપુર, મિર્જાપુર, દરિયાપુર સહિતના વિસ્તારમાં RAFની ટીમ તૈનાત કરાઈ છે. RAFની ટીમે અલગ અલગ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કર્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને RAFના જવાનોને પણ તૈનાત કરવાની ફરજ પડી છે.
PM મોદીની અપીલ છતાં નથી માની રહ્યા લોકો
કોરોના વાયરસને લઇ દેશભરમાં લોકડાઉન જારી છે. જો કે તેમ છતાં હજુ પણ કેટલાક લોકો લોકડાઉનને ગંભીરતાથી નથી લઈ રહ્યા. વલસાડમાં અનેક લોકો કામ વિના જ બહાર નીકળી રહ્યાં છે. ત્યારે આવા તમામ લોકોને અટકાવવી અને તેમની સામે પોલીસે કાર્યવાહી કરવી પડી રહી છે. પ્રધાનમંત્રી પોતાના બીજા રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકોને બહાર નહીં નીકળવાની અપીલ કરી ચૂક્યા હતા છતાં લોકો હજુ પણ કોઈને કોઈ બહાને બહાર નીકળી રહ્યા છે.
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે જેવા મળ્યા બે વિરોધાભાસી ચિત્ર
કોરોના વાયરસના કહેરે રાજ્યના બે વિરોધાભાસી ચિત્રના દર્શન કરાવ્યા હતા. એક દ્રશ્ય જૂનાગઢનું છે જેમાં હાલ બજારમાં માસ્કની પણ અછત જોવા મળી રહી છે. જેને લઇ જૂનાગઢના વાડલા ગામના સરપંચે સ્વખર્ચે માસ્ક બનાવી પોતે ઘરે ઘરે જઇ માસ્કનું વિતરણ કર્યું છે. વંથલી તાલુકાના વાડલા ગામના સરપંચ ભરત ચાવડાએ પોતાના ખર્ચે કાપડ લાવી અને માસ્ક બનાવી લોકોના ઘરે માસ્ક વિતરણ કર્યું અને લોકોને એક સંદેશ પણ આપ્યો. ત્યારે મહામારી સામે જાગૃતતા ફેલાવાના સરપંચના કામની પણ લોકોએ સરાહના કરી છે. તો તેનાથી બિલકુલ વિપરિત દ્રશ્ય સુરેદ્રનગરમાં જોવા મળ્યું હતું. કોરોનાના કહેર વચ્ચે અનેક જિલ્લાઓમાં વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ઉઘાડી લૂંટ ચલાવતા વેપારીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. મહેતા માર્કેટમાં કરિયાણાના વેપારીઓ જીવન જરૂરિયાતની સામગ્રીમાં 40 ટકા વધુ ભાવ લેતા હતા. જેની જાણકારી થતા એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરીને વેપારીઓની દુકાનો બંધ કરાવી હતી.
કોરોનાને લઈને સરકાર દ્વારા તમામ પ્રકારથી વ્યવસ્થાઓ કરાઇ
કોરોનાને લઈને સરકાર દ્વારા તમામ પ્રકારથી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. દિવસે દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.. જેના કારણે ગુજરાતમાં દર્દીઓની માટે બેડ અને કોરન્ટાઈન માટે રૂમની અછત થાય તેવી શક્યતા છે. પરંતુ તેની ચિંતા કરવા માટે સામાજિક સંસ્થાઓ પણ લોકોની મદદે આવી રહી છે. જૈન સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. રાજ્યભરમાં આવેલી જૈન ધર્મશાળાઓને કોરેન્ટાઇલ માટે ફાળવવા માટે તૈયાર કરવામાં આવી છે. જેના કારણે જૈન ધર્મશાળાઓના રૂમમાં પલંગ ગાદલા અને ભોજનશાળાની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે.
સુરતમાં કરાયો અનોખો પ્રયોગ
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર, આરોગ્યતંત્ર અને સ્વયં લોકો દ્વારા વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે નવો પ્રયોગ કરાયો છે. જેમાં સુરતમાં દર પાંચ કિમીના અંતરે શાકભાજી વેચવાનો નિર્ણય કરાયો છે. કોઈ એક સ્થળે ભીડ ન થાય તે હેતુથી સુરત મનપા કમિશનર દ્વારા નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી શાક માર્કેટમાં થતી ભીડ દૂર થશે. અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રહેશે. તો અમરેલીમાં પ્રતિબંધ છતાં બહાર ફરતાં લોકોને ઝડપી પાડવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે. લોકડાઉનનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા ડ્રોનની મદદથી નજર રાખવામાં આવે છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 20 ડ્રોનથી પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. પોલીસે ડ્રોનની મદદથી 5 જેટલા લોકોને ઝડપીને કાર્યવાહી પણ કરી છે.
હેમંત ચૌહાણે જરૂરિયાતમંદ લોકો માટે પોતાના જ ઘરે બનાવડાવી ખીચડી
કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા તમામ લોકોને જમવાનું પહોચાડવાની ખાતરી આપવામાં આવી છે. આ કહેર વચ્ચે ઠેર ઠેર માનવતાના દર્શન પણ થઈ રહ્યા છે. સામાજીક સંસ્થાઓ પણ લોકોની મદદે આવી છે. ત્યારે હવે રાજ્યના જાણીતા ભજનિક હેમંત ચૌહાણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા આગળ આવ્યા છે. તેમણે પોતાના ઘરે જ ખીચડી બનાવીને લોકો સુધી પહોંચાડી છે. આ સાથે જ તેમણે વીડિયો જાહેર કરીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની પણ અપીલ કરી છે.
આપત્તિ વખતે એક થઈ જવું તે દરેક જીવનો સ્વભાવ છે. પરંતુ ઘણી વાર મહાઆપત્તિ વખતે સમાજમાં કેટલાક એવા વિરોધાભાસી રંગો જોવા મળે છે. જે આપણને વિચાર કરવા મજબૂર કરી દે છે.