રાજ્યમાં કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના પોઝિટિવ 55 કેસો સામે આવ્યાં છે. જેમાં અમદાવાદમાંથી 50 પોઝિટિવ દર્દી નોંધાયાં છે. ત્યારે રાજ્યમાં વધી રહેલા પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ વધારવાની તૈયારીઓ શરૂ કરી છે.
મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ કોવિડ 19 સામનો કરી રહ્યા છે
ખાનગી ડૉકટરોએ પણ સેવા આપવા તૈયારી દર્શાવી છે
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ કોવિડ-19 નો સામનો કરી રહ્યા છે. સીએમઓ સચિવે કહ્યું કે રાજ્યના ખાનગી ડૉકટરોએ પણ સેવા આપવા તૈયારી દર્શાવી છે. આમ રાજ્યમાં જો સ્થિતિ વધુ બગડે તો ખાનગી ડોક્ટરો પણ સેવા માટે તૈયાર છે અને ખાનગી ડોક્ટરના દવાખાના અને OPD ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લોકડાઉનને લઇને આજે મહત્વની બેઠક બોલાવી હતી. સીએમ રૂપાણીએ રાજ્યકક્ષાએ સંકલન સમિતિની રચના અંગે જણાવ્યું હતું.
સીએમઓ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 46 લાખ 54 હજાર લીટર દૂધનું વિતરણ થયું. જ્યારે આવશ્યક વસ્તુ માટેને 2 લાખથી વધુ પાસ ઇશ્યુ કરવામાં આવ્યાં છે. જ્યારે 73 લાખ ફુડ પેકેટ વહેંચવામાં આવ્યાં. જ્યારે શાકભાજી, દૂધ, અનાજના વિતરણમાં કોઇ સમસ્યા જોવા મળી નથી.
આ અગાઉ રાજ્યના પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં અનાજનો જથ્થો પૂરતો છે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, ગુજરાતને દોઢ વર્ષ ચાલી રહે એટલો જથ્થો છે. અનાજ પુરવઠાને લઇ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. દરરોજ 12 હજાર ટન ઘઉ-ચોખા કેન્દ્ર ગુજરાતને આપે છે. અન્ય રાજ્યોમાથી પ્રતી દિવસ 12 હજાર ટનની ખરીદી કરાય છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 3.82 કરોડ લાભાર્થીઓને અનાજ મળશે. 3 મહિના સુધી લાભાર્થીઓને અનાજ આપવામા આવશે. ગુજરાતમા દોઢ વર્ષ સુધી અનાજ મળી રહે તેવી FCI ની તૈયારી છે.