કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે જાહેર કરાયેલી નવી ગાઇડલાઇન આજથી લાગૂ થઇ છે. ત્યારે હવે આ ગાઇડલાઇન અંગે મુખ્યમંત્રીએ મંત્રીઓને મહત્વની સૂચના આપી છે.
CM ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને મહત્વની સૂચના આપી
મંત્રીઓને ગાઇડલાઇનનું પાલન કરવા ખાસ કાળજી રાખવા સૂચના અપાઇ
કોરોના સંક્રમણ વઘતા રાજ્ય સરકારે ગઇકાલે નવી ગાઇડલાઇન જાહેર કરી
ધાર્મિક અને રાજકીય પ્રસંગોમાં 150 લોકોને મંજુરી આપવામાં આવી છે
કોરોનાના વધતા સંક્રમણને લઈને આજ રોજ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને મહત્વની સૂચના આપી છે. જેમાં તેમણે 150 કરતા વધુ સંખ્યા ધરાવતા કાર્યક્રમમાં હાજરી ન આપવા સૂચના આપી છે. કોઇપણ રાજકીય કે સામાજિક કાર્યક્રમમાં 150 કરતા વધુ લોકોને એકઠા ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. તમામ મંત્રીઓને પોતાના મતવિસ્તારમાં ખાસ કાળજીપૂર્વક ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
લગ્ન પ્રંસગો અને મેળાવડાઓને લઈને ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
આજથી જ નવી ગાઈડલાઈન અમલી
આ ફેરફારો આજથી(12મી જાન્યુઆરી 2022) અમલમાં આવશે અને અને તારીખ 22મી જાન્યુઆરી 2022ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે.
લગ્ન સમારોહમાં માત્ર 150 લોકોને જ મંજૂરી
તો બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.
આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે.
8 મહાનગર અને 2 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ
અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર,ગાંધીનગર શહેર સહિત આણંદ શહેર અને નડીયાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.
રાત્રિ કર્ફ્યૂના સમયગાળા દરમિયાન નીચેની બાબતો ધ્યાનમાં લેવાની રહેશે
બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
મુસાફરોને રેલ્વે, એરપોર્ટ ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભ યોજી શકાશે નહી.
આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમિયાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
રાત્રિ કર્ફ્યૂના સમયગાળા દરમિયાન નીચેની સેવાઓ ચાલુ રાખી શકાશે
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવાતેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.
મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
પોસ્ટ અને કુરીયર સર્વિસ
ખાનગી સિક્યુરીટી સેવા
ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
શાકભાજી માર્કેટ તથા ફૃટ માર્કેટ ચાલુ રહેશે.
કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.
અનાજ તથા મસાલા દળવાની ઘંટી
ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ.
ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ
કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.