ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જાણો શું માહિતી આપી છે.
કોરોનાના વધતા સંક્રમણને લઈને આજ રોજ કેબિનેટ બેઠક યોજાઈ
કેબિનેટ બેઠક મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી માહિતી
રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો અને પ્રસ્તાવો અંગે આપી માહિતી
ગાંધીનગર ખાતે કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈને આજ રોજ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ અને અધિકારીઓને મહત્વની સૂચના આપી છે. તો મુખ્યમંત્રી દ્વારા વિકાસ કાર્યો અને બજેટ અંગે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયોની માહિતી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આપી હતી.
લોકોની સુવિધા માટે 1000 નવી બસોની ખરીદી કરાશેઃ વાઘાણી
કેબિનેટ બેઠકમાં વાહનવ્યવહાર મંત્રી દ્વારા મુકાયેલા બસો ખરીદવા અંગેના પ્રસ્તાવને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. રાજ્યના લોકો માટે 1000 નવી બસો ખરીદવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત 500 સુપર એક્સપ્રેસ બસો ફાળવવાનો નિર્ણય કરાયો છે. સાથે સાથે 200 સ્લિપર કોચ બસો પણ ફાળવવામાં આવશે.
ભરૂચના ઉભેણ ખાતે નવો પૂલ બનાવવામાં આવશેઃ વાઘાણી
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નવો કોરિડોર બનાવા ઉપરાંત સુરક ગેસ કાંડ અંગે તપાસના આદેશ અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરૂચમાં થતાં નેશનલ હાઈવે 8 ઉપર ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે ભરૂચના ઊભેણ ખાતે વધુ એક પુલ 27 કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું. વાઘાણીએ કહ્યું કે, ગુજરાતના 1600 કિલોમિટરના દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરતા એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે. જે એક તરફ દરિયા કિનારો અને બીજી તરફ હાઈવેના સ્વરૂપમાં હશે. આ કોસ્ટલ હાઈવે 2440 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.
135 કિમીની નવી લિંક સાથેનો આ કોસ્ટલ હાઈવે બનશે. જે બોરસદ, તારાપુર, વટામણ, ધોલેરા થઇને ભાવનગર રસ્તો જાય છે, તેમના સ્થાને ખંભાત, કાળા તળાવ અને આંબલી પાટીયા સુધીની લિંકને જોડતો નવો રસ્તો બનશે. ખંભાતના ધારાસભ્યો અને સૌરાષ્ટ્રના નેતાઓની રજૂઆત હતી. આખો રસ્તો બનશે એટલે હવે મુંબઈ અને સુરત જવા માટે 70-80 કિમીનું અંતર ઘટશે. કાળા તળાવ, આંબલી, ભાવનગર સીટી, ઘોઘા થઇને મહુવા સુધીની કોસ્ટલ મળશે, જે વર્ષોથી ભાવનગર સૌરાષ્ટ્રની માંગ હતી.
CAA બીલના વિરોધમાં શહેઝાદખાન સામે કેસ થયો હતોઃ વાઘાણી
અમદાવાદ મનપાના વિપક્ષ નેતા પદે શહેઝાદખાન પઠાણની નિમણૂંક થઇ છે. ત્યારે અમદાવાદ મનપા વિપક્ષ નેતાની નિમણૂંક મામલે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે, આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. કોંગ્રેસને શહેઝાદાની ચિંતા છે પ્રજાની નહીં. CAA બીલના વિરોધમાં શહેઝાદખાન સામે કેસ થયો હતો.
ખાતરની તંગીની બૂમરાણો ખોટી છે, રાજ્યમાં ખાતરની તંગી નથીઃ વાઘાણી
રાજ્યમાં ખાતરની તંગી હોવાનો રાજ્ય સરકારે ઇન્કાર કર્યો છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ખાતરની કોઇ તંગી નથી. થોડા સમય પહેલા અછત હતી. ખાતરનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે.
ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડ મામલે જીતુ વાઘાણીએ કહ્યું કે, JUVNL ડાયરેકટર શામીના હુસૈન તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ મુખ્યમંત્રીને પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવશે.
CM ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને મહત્વની સૂચના આપી
કેબિનેટ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને મહત્વની સૂચના આપી છે. જેમાં તેમણે 150 કરતા વધુ સંખ્યા ધરાવતા કાર્યક્રમમાં હાજરી ન આપવા સૂચના આપી છે. કોઇપણ રાજકીય કે સામાજિક કાર્યક્રમમાં 150 કરતા વધુ લોકોને એકઠા ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. તમામ મંત્રીઓને પોતાના મતવિસ્તારમાં ખાસ કાળજીપૂર્વક ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
લગ્ન પ્રંસગો અને મેળાવડાઓને લઈને ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
આજથી જ નવી ગાઈડલાઈન અમલી
આ ફેરફારો આજથી(12મી જાન્યુઆરી 2022) અમલમાં આવશે અને અને તારીખ 22મી જાન્યુઆરી 2022ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે.
લગ્ન સમારોહમાં માત્ર 150 લોકોને જ મંજૂરી
તો બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.
આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે.
8 મહાનગર અને 2 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ
અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર,ગાંધીનગર શહેર સહિત આણંદ શહેર અને નડીયાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.