દુનિયાભરમાં અને ખાસ કરીને ચીનમાં જીવલેણ કોરોના વાઈરસ (Coronavirus) નો કેર અટકવાનું નામ લેતો નથી. ચીનમાં રોજેરોજ મૃત્યુઆંક અને કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.
ચીનના હુવેઈમાં છેલ્લા 24 કલાકમાં 100 લોકોનાં મોતઃ 1,933 નવા કેસ સામે આવ્યા
અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 71,330 પોઝિટિવ કેસ નોંધાયા છે.
કેરળના તમામ ત્રણ દર્દીના નેગેટિવ રિપોર્ટ આવતાં મોટી રાહત
ચીન સરકાર દ્વારા આજે સવારે જારી કરાયેલા સત્તાવાર આંકડા ખૂબ ચોંકાવનારા છે. ચીનમાં ગઈ કાલે રવિવારે વધુ 142 લોકોનાં મોતની સાથે કોરોના વાઈરસના કારણે થયેલો મૃત્યુઆંક 1,775 થઈ ગયો છે. ચીનમાં 2,048 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી ફક્ત હુવેઈમાં 1,933 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 71,330 પોઝિટિવ કેસ નોંધાયા છે. ફક્ત હુવેઈમાં છેલ્લા 24 કલાકમાં જ 100 લોકોનાં મોત નીપજ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ હુવેઈની રાજધાની વુહાનમાં સામે આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે જંગલી પશુઓના ગેરકાયદે બજારના કારણે ઘાતક કોરોના વાઈરસ ઝડપથી ફેલાયો છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે કોરોના વાઈરસ ફક્ત સંક્રમિત પશુઓના સંપર્કમાં આવવાથી જ ફેલાય છે. ત્યારબાદ એ વાતની પુષ્ટિ થઈ હતી કે આ વાઈરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે.
સમાચાર એજન્સી સિન્હુઆના દાવા અનુસાર ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસનો ભોગ બનેલા 10,844 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગઈ કાલે રવિવારે 1,425 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
કોરોના વાઈરસની ઝપટમાં દુનિયાના ઘણા દેશ આવી ગયા છે. ચીન સિવાયના દેશોમાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. જેમાં હોંગકોંગ, જાપાન અને ફિલિપાઈન્સમાં એક-એક મોત નોંધાયાં છે. ફ્રાન્સમાં એક વ્યક્તિનું મોત થયું છે પણ તે ચીનનો પ્રવાસી હતો.
ભારતને ઘાતક કોરોના વાઈરસની બાબતમાં મોટી રાહત મળી છે. કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત ત્રણ ભારતીય હવે ચેપથી મુક્ત છે અને એકદમ સુરક્ષિત છે. કેરળના કોરોના વાઈરસનો ચેપ ધરાવતા ત્રીજા દર્દીની હાલત પણ સુધરતાં તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર કેરળમાં કોરોના વાઈરસથી સંક્રમિત ત્રણેય ભારતીયને સારવાર બાદ વાઈરસથી મુક્તિ મળી ગઈ છે. આ ત્રણેય દર્દીઓને સારવાર બાદ ફાઈનલ રિપોર્ટ નેગેટિવ આવતાં રજા આપી દેવામાં આવી છે.
દરમિયાન રાજધાની દિલ્હીના છાવલા સેન્ટરમાં માલદીવના 7 નાગરિકોને કોરોના વાઈરસની તપાસ બાદ તેમના દેશ પરત મોકલાશે. વુહાનથી પરત ફરેલા 406 લોકોનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આઈટીબીટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમામ લોકોના તાજેતરના બ્લડ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. હવે આ તમામ લોકોને ઘરે પરત ફરવાની પરવાનગી આપવામાં આવશે.