કોરોના વાયરસ સામેની લડાઈ હજુ પણ ચાલુ છે. કોવિડ-19 સામે લડવા માટેની રસી દેશમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને આપવામાં આવી રહી છે.
15 વર્ષથી નીચેના બાળકોને ક્યારે આપવામાં આવશે વેક્સિન?
મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ
કહ્યું- NTAGIની ભલામણ બાદ લેવામાં આવશે નિર્ણય
હવે સરકારે જણાવ્યું છે કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું રસીકરણ ક્યારે કરવામાં આવશે. સરકારે લોકસભામાં જણાવ્યું કે રાષ્ટ્રીય ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇઝેશન (NTAGI)ની ભલામણો બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.
NTAGIની ભલામણના આધારે લેવાશે નિર્ણય
શુક્રવારે, સરકાર દ્વારા સંસદને કહેવામાં આવ્યું હતું કે પ્રીકોશન ડોઝ અન્ય કોઈને આપવામાં આવશે કે કેમ તે સંબંધિત પાત્ર લાભાર્થીઓની સૂચિ અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના રસીકરણ અંગેનો નિર્ણય માત્ર NTAGIની ભલામણોના આધારે લેવામાં આવશે. એક પ્રશ્નના જવાબમાં આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે લોકસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે 15-18 વર્ષની વયના લોકોને વાયરલ રોગ સામે રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ થયું હતું. તેમાં ગામડાઓ અને દૂરના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.
1 ફેબ્રુઆરી સુધીમાં 4.66 કરોડ બાળકોને આપવામાં આવી કોવિડ રસી
1 ફેબ્રુઆરી સુધી આ વયના લગભગ 4.66 કરોડ બાળકોને રસી આપવામાં આવી છે. અંદાજ મુજબ, આ વયની કુલ વસ્તી 7.4 કરોડ છે. આ વયની 63 ટકા વસ્તીને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 3.59 લાખ બાળકોને પણ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.દેશમાં 12 વર્ષની વયના બાળકોને ઈમરજન્સીની સ્થિતિમાં એન્ટી-કોરોના રસી આપવાની મંજૂરી આપવામાં આવી છે.
ઝાયડસ કેડિલાની ZyCoV-Dને આપવામાં આવી મંજૂરી
આ માટે, ભારત બાયોટેકની કોવેક્સીન અને ઝાયડસ કેડિલાની ZyCoV-Dને મંજૂરી આપવામાં આવી છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે સાવચેતીના ડોઝ 10 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યા છે. શું આ સિવાય અન્ય કોઈને સાવચેતીનો ડોઝ આપવામાં આવશે અને શું 15 વર્ષથી નીચેના બાળકોને રસી આપવામાં આવશે? આ અંગે NTAGI ની ભલામણો અને વૈજ્ઞાનિક પુરાવાઓની સમીક્ષા કર્યા પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે.
સંસદમાં સરકારનો જવાબ
આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોવિડ-19 રસીકરણ અભિયાન અંગે રાજ્ય અને જિલ્લા સ્તરે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સમીક્ષા દ્વારા વિવિધ પડકારોને સમજવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી સમયસર યોગ્ય પગલાં લઈ શકાય. સંસદને જાણ કરવામાં આવી છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાજ્યો સાથે સતત સંકલન કરી રહ્યું છે જેથી રોગચાળાનો સામનો કરવા માટે આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરી શકાય. આ ઉપરાંત દવાઓ અને ઓક્સિજનના સપ્લાય પર પણ ઝીણવટપૂર્વક નજર રાખવામાં આવી રહી છે જેથી કરીને કોઈ સમસ્યા ન સર્જાય.