ભારતમાં કોરોના વાયરસના કારણે હાહાકાર છે, સતત વધી રહેલા ટેસ્ટના કારણે હવે દિવસમાં 50 હજારની નજીક નવા કેસ સામે આવી રહ્યા છે. પરંતુ કોરોના વાયરસના કેસની સાથે કોરોનાને મ્હાત આપીને સાજા થવાનો દર પણ સતત વધી રહ્યો છે જે દેશવાસીઓને હાશકારો આપી શકે છે.
દેશમાં કોરોના કેસની સામે રિકવરી રેટ પણ વધ્યો
કોરોના વાયરસના ટેસ્ટમાં પણ સતત રેકોર્ડબ્રેક વધારો
દિલ્હીમાં તો એક્ટિવ કેસ હવે માત્ર 10 ટકાની આસપાસ
સતત વધતાં ટેસ્ટનો પણ બની રહ્યો છે રેકોર્ડ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 48,661 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 705 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં વધારે દર્દીઓ સામે આવી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે દેશમાં સતત ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે. શનિવારે કુલ 4.20 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. બે જ દિવસમાં કોરોના વાયરસના એક લાખથી વધારે કેસ સામે આવ્યા છે.
સતત વધી રહ્યો છે રીકવરી રેટ
ભારતમાં અત્યારે સુધી 8,85,577 દર્દીઓ સાજા થઇ ગયા છે. વધુમાં વધુ લોકો સાજા થવાના કારણે દેશમાં રિકવરી રેટ વધીને 63.91% થઇ ગયો છે જ્યારે દિલ્હીમાં તો શનિવારે આ રેટ 87.29% પર હતો. આમ ભારતમાં કોરોના વાયરસના નવા કેસ જ નહીં પરંતુ સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યાનો પણ રેકોર્ડ બની રહ્યો છે. દેશમાં પોઝિટિવિટી રેટ અત્યારે 11 ટકા પર છે જ્યારે 32,063 કુલ મોત થઇ છે.
ગુજરાતમાં શું છે સ્થિતિ
ગુજરાતમાં પણ છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે ત્યારે રાજ્યમાં શનિવારે કોરોનાના 1081 કેસ નોઁધાયા હતા. જ્યારે 782 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 39,612 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આમ ગુજરાતમાં સાજા થવાનો દર 72.40 થયો છે.
અમદાવાદ અને સુરત વચ્ચે એક્ટિવ કેસનું અંતર માત્ર 534 કેસનું જ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ સુરતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. આજે સુરતમાં ચિંતાજનક 276 કેસ નોંધાયા છે તો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હાલ 3736 અને સુરતમાં હાલ 3202 એક્ટિવ કેસ છે. આ આ બંન્ને મહાનગરો વચ્ચે માત્ર 534 કેસનું જ અંતર છે. આ બાબત ખરેખર ચિંતા વધારનારી છે.