અત્યાર સુધી અમદાવાદ કોરોનાનું હોટસ્પૉટ હતું. પરંતુ હવે અમદાવાદ પાસેથી આ નામ સુરતે છિનવી લીધું છે. કારણ કે, એક તરફ અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તો બીજી તરફ સુરત અમદાવાદની સાઈડ કાપીને આગળ નિકળી ગયું છે. છેલ્લા એક અઠવાડિયાથી તો સુરતમાં કોરોનાનો જાણે રાફડો જ ફાટ્યો છે. છેલ્લાં 10 દિવસમાં સુરત જિલ્લામાં 2307 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યાર 1410 સાજા થયા અને 49 લોકોના મોત થયા છે. ત્યારે આ ગંભીર સ્થિતિમાં સુરત કેવી રીતે પહોંચ્યું અને કેવી છે સુરતની બદલાતી ગંભીર તસવીર...
સુરતમાં પણ અનલૉક-2 ભારે પડ્યું
સુરત જિલ્લામાં કોરોના કુલ કેસ 7000 નજીક
ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગામાં કોરોનાનું સંક્રમણ વધ્યું
હાલમાં કોરોના આંકડા ઉપરથી સ્પષ્ટપણે જોઇ શકાય છે કે ગુજરાત રાજ્યમાં સુરત કોરોનાનું મોટું હબ બની રહ્યું છે. રોજીંદા આંકડા ઉપરથી જાણી શકાય છે કે છેલ્લા એક અઠવાડિયાથી આવી રહેલા આંકડમાં સુરત, અમદાવાદથી પણ આગળ નીકળી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. સુરતમાં કોરોનાના એક દિવસના કેસનો રેકોર્ડ તૂટ્યો છે. આજે સુરતમાં 273 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 215 અને સુરત જિલ્લામાં 58 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 6,731 પર પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં 199 લોકોના મોત થયાં છે. આમ આ સાથે જ સુરતમાં હાલ 2166 એક્ટિવ કેસ છે.
''ટેક્સટાઇલ માર્કેટને 7 દિવસ બંધ રાખવા પણ તૈયાર છીએ''
અનલૉક-1-2માં શરૂ થયેલા ધંધા રોજગાર બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે હવે કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા ગાઇડલાઇનો જાહેર કરવામાં આવી છે. સુરતના હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટમાં કોરોનાના સંક્રમણ વધી રહ્યું છે. સંક્રમણ વધતા હીરા ઉદ્યોગોને 14 દિવસ માટે બંધ કરી દેવાયા છે. પરંતુ ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓમાં ડરનો માહોલ છે. ધંધો-રોજગાર 7 દિવસ બંધ કરવા માટેની પણ તૈયારી બતાવી છે. ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે તમામ ગાઇડલાઇનનું પાલન કરવા તૈયાર છે. સાથે જ અઠવાડિયામાં 3 દિવસ માર્કેટ ખોલવાનો હુકમ પણ માનવાની તૈયારી દર્શાવી છે.
સુરતમાં વધતા કોરોનાના સંક્રમણને લઇને જવાબદાર કોણ?
સુરતમાં પણ અનલૉક-2 ભારે પડ્યું છે. અનલૉક થતાં સુરતમાં કોરોનાના કેસમાં ભારે વધારો થઇ રહ્યો છે. દરરોજ સરેરાશ 200થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. સુરત શહેરમાં ગીચતાને કારણે કોરોનાના કેસ વધતા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લામાં કોરોના કુલ કેસ 7 હજાર નજીક પહોંચી ચૂક્યા છે. ત્યારે આ આંકડા માટે જવાબદાર કોણ તે અંગે વીટીવી દ્વારા ખાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યનું સૌથી મોટા શહેરોમાંનું એક સુરત છે. સુરત એટલે સિલ્ક સીટી, સુરત એટલે ડાયમંડ સિટી. આવા અલગ અલગ નામોથી ઓળખાતા સુરત શહેરની મૂરત હાલ ખરાબ થઇ ચૂકી છે. શહેરમાં કોરોનાનો ગ્રાફ હાલ વધી રહ્યો છે. શહેરમા અનલોકની શરૂઆત બાદથી કોરોના ગ્રાફ દિવસેને દિવસે ઉપર ચડતો રહે છે. પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવતા પગલાં ના કાફી હોવાને કારણે ગ્રાફમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ગ્રાફ વધી રહ્યા છે તેની સત્યતા જાણવા માટે વીટીવીની ટીમ દ્વારા એક તજજ્ઞ સાથે વાત કરવામાં આવી. કેટલીક મહત્વની વાતો જો જાણીએ તો કેટલીક હદે લોકો પણ એટલા જ જવાબદાર તો છે તે તંત્ર પણ એટલું જ જવાબદાર છે. અનલૉક શરૂ થતાંની સાથે લોકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન થયું તેને કારણે પણ કોરોનાની સ્થિતિમાં વધારો થયો છે.
તો બીજી તરફ સોશ્યલ મિડિયાને પણ એટલું જ જવાબદાર ગણી શકાય કારણ કે સોશ્યલ મિડિયામાં કોરોના જેવી કોઇ મહામારી નહીં હોવાના અનેક વિડિયો વાયરલ થયા છે. જે વિડિયો વાયરલ થયા બાદ લોકોના ભયમાં ઘટાડો થવાની સાથે લોકો બિંદાસ્ત ફરવા લાગ્યા અને તંત્ર આ મામલે એટલા માટે જવાબદાર છે કે આ પ્રકારની અફવા ફેલાવનારા સામે તંત્ર દ્વારા કોઇપણ પગલાં લેવામાં ન આવ્યા. ઉપરાંત મનપા દ્વારા પણ તકેદારીના ભાગરૂપે અનલૉક 1.0માં કોઇપણ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં ન આવ્યું કે હીરા કે ટેક્સટાઇલ ઉદ્યોગના લોકો સરકારી ગાઇડલાઇનના પાલન સાથે ઉદ્યોગો કે દુકાનો ચલાવે છે કે કેમ તેને કારણે પણ કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે.