રાજ્યમાં કોરોનાએ બેહાલ કર્યા છે તો સૌરાષ્ટ્ર પણ કોરોનાના ભરડામાં આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. કારણ કે, એક દિવસમાં સૌરાષ્ટ્રમાં 1451 નવા કેસ નોંધાતા સ્થિતિ ચિંતાજનક બની છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાનો વ્યાપ વધ્યો
એક દિવસમાં 1451 નવા કેસ નોંધાયા
રાજકોટ સહિત 4 જિલ્લામાં ચિંતા વધી
ઉલ્લેખનીય છે કે, રાજ્યના 4 મહાનગરોની માફક સૌરાષ્ટ્રના 4 મોટા જિલ્લામાં કોરોના સંકટ દિવસેને દિવસે ઘેરું બની રહ્યું છે. જેમાં રાજકોટ,જામનગર,ભાવનગર અને મોરબીનો સમાવેશ થાય છે.
રાજકોટ બાદ અન્ય 3 જિલ્લાઓમાં ચિંતા વધી
આપને જણાવી દઇએ કેસ, રાજકોટ બાદ જામનગર, ભાવનગર અને મોરબીમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. સરકારી આંકડા પ્રમાણે જોઇએ તો એકલા રાજકોટ શહેરમાં 529 અને જિલ્લામાં 87 પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં અને ગ્રામ્યમાં 302 પોઝિટિવ કેસ, ભાવનગરમાં 128 અને મોરબી જિલ્લામાં 65 પોઝિટિવ કેસ નોંધાયા છે.
મંગળવારે રાજ્યમાં નોંધાયા 6690 કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારે રાજ્યમાં કોરોનાના 6690 કેસ નોંધાયા છે અને 2748 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,0729 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 67 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4922 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 221 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 34,555 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2251 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1264 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 177 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 247 કેસ, જ્યારે ગ્રામ્યમાં 130 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 529 કેસ અને ગ્રામ્યમાં 87 કેસ નોંધાયા છે.
મૃત્યુદરમાં પણ થઇ રહ્યો છે વધારો
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે માર્ચ મહિનાથી આ કેસ વધવાની શરૂઆત થઈ હતી જે બાદથી દૈનિક કેસના આંકડા માં દરરોજ ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે.
માત્ર છેલ્લા 12 દિવસમાં સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો
ગુજરાતમાં ચાર મહિના કરતાં પણ વધારે મૃત્યુઆંક એપ્રિલ મહિનામાં વધ્યો છે. એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં જ 301 લોકોના મોત થાય છે જ્યારે કુલ આંક 5 હજારે પહોંચવા આવ્યો છે. માત્ર એપ્રિલ મહિનાના 12 દિવસમાં જ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.