ઉત્તર પ્રદેશમાં આજે પણ કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે, છેલ્લા 24 કલાકમાં અહીં 30596 કેસ નોંધાયા છે.
કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે
સીએમ યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યા
પ્રદેશમાં ઓક્સિજનની સપ્લાય વધારવા મૂક્યો ભાર
દેશમાં કોરોના કેસોની નવી લહેરના કારણે ઘણા રાજ્યોમાં સંક્રમણનું સ્તર દિનપ્રતિદિન વધતું જ જઈ રહ્યું છે, પોઝિટીવીટી રેટ પણ વધી રહ્યો છે અને રિકવરી રેટ ઘટી રહ્યો છે, મોતની સંખ્યા પણ વધી રહી છે, આ બધાની વચ્ચે સૌથી મોટા સમાચાર ઉત્તર પ્રદેશથી આવ્યા છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 30596 કેસ આવ્યા છે, અને 129 દર્દીઓના મોત નીપજયાં છે.
ટીમ 11ને આપ્યા નિર્દેશ
યુપીમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે, અહીં કેસોની સંખ્યાને કાબૂમાં લેવા માટે ટીમ 11ને નિર્દેશ અપાયા છે, સીએમ યોગી આદિત્યનાથ પોતે હોમ આઇસોલેશનમાં હોવા છતાં સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે ટીમ-11ને માસ્ક નહીં પહેરનારા લોકોની સામે કડકાઇથી કામ લેવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે પહેલી વારમાં માસ્ક વગર પકડાવનારા લોકોને 1 હજાર અને બીજી વાર પકડાયા પર 10 હજારનું દંડ વસૂલવામાં આવે.
આ સિવાય પ્રદેશમાં ઓક્સિજનની સપ્લાય સુધારવા માટે પણ અધિકારીઓને આદેશ અપાયા છે, સીએમ યોગી આદિત્યનાથે કહ્યું છે કે હાલની સ્થિતિમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી નહિ ચલાવી લેવાય, રેમિડેસીવીર અને અન્ય જરૂરી દવાઓની સપ્લાય પર પણ નજર રાખવા માટે તેમણે નિર્દેશ આપ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 30,596 નવા કેસ
અહીં છેલ્લા 24 કલાકમાં 30,596 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે કે અહીં 129 દર્દીઓના મોત થયા છે, માત્ર રાજધાની લખનૌની જ જો વાત કરીએ તો અહીં 5,551 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કે 22 લોકોના મોત થયા છે. અહીં કુલ સક્રિય કેસોની સંખ્યા વધીને 191457 થઈ ગઈ છે, અને કુલ મોતની સંખ્યા 9830 થઈ ગઈ છે.