અમદાવાદમાં કોરોના બેફામ બન્યો છે અને તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે કોરોનાના વધતા કેસને લઈને AMCનો વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે.
શહેરમાં AMTS અને BRTS બંધ કર્યા બાદ AMCનો વધુ એક નિર્ણય
શહેરમાં તમામ જીમ, સ્પોર્ટસ ક્લબ રહેશે બંધ
ગેમિંગ ઝોન પણ બંધ રાખવા AMCએ હુકમ કર્યો
મળતી જાણકારી પ્રમાણે, શહેરમાં AMTS અને BRTS બંધ કર્યા બાદ આવતીકાલથી તમામ જીમ, સ્પોર્ટસ ક્લબ અને ગેમિંગ ઝોન પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે જીમ અને સ્પોર્ટસ ક્લબ
મનપા દ્વારા આપવામાં આવેલ આદેશમાં પ્રાઈવેટ અને સરકારી જીમ પણ અચોક્કસ મુદ્દત બંધ રાખવાનો આદેશ અપાયો છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. ત્યારે અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા શહેરમાં BRTS અને AMTS સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય આગામી કોઇ સૂચના ન આવે ત્યાં સુધી અમલી રહેવાનું કહેવામાં આવ્યું છે.
અમદાવાદમાં શું શું બંધ?
AMTS-BRTS બંધ
ગાર્ડન-પાર્ક બંધ
રિવરફ્રન્ટ વોક વે
રિવરફ્રન્ટ પર સાયકલિંગ
તમામ જાહેર સ્થળો બંધ
બાયોડાયવર્સિટી પાર્ક બંધ
પ્રાઇવેટ-સરકારી જીમ બંધ
સ્પોર્ટ્સ ક્લબ
ગેમિંગ ઝોન
ગત 24 કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયા 1122 નવા કેસ
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1122 નવા દર્દી જ્યારે 77 દર્દીઓ સાજા થયાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
એક્ટિવ કેસમાં થઇ રહ્યો છે ચિંતાજનક વધારો
રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 5310 એક્ટિવ કેસ છે. તો હાલ 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને 96.54 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,71,433 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4430 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 315 કેસ અને ગ્રામ્યમાં 38 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 264 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 7 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 97 કેસ, જ્યારે ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 88 કેસ અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે.
22,71,145 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
તો બીજી તરફ વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 22,71,145 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 5,54,662 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આજે રાતથી આગામી 31 માર્ચ સુધી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.