અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. ત્યારે અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા શહેરમાં BRTS અને AMTS સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્રનો મોટો નિર્ણય
આવતીકાલથી શહેરમાં BRTS અને AMTS સેવાઓ બંધ
ગત 24 કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયા છે 1122 નવા કેસ
ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય આગામી કોઇ સૂચના ન આવે ત્યાં સુધી અમલી રહેવાનું કહેવામાં આવ્યું છે.
આવતીકાલથી યુનિવર્સિટીની પરીક્ષાઓ
આપને જણાવી દઇએ કે, આવતીકાલે યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે હવે પરીક્ષાર્થીઓને પરિવહનમાં હાલાકી પડી શકે છે. તો આગામી 19 માર્ચથી ધોરણ 9થી 12ની પરીક્ષાઓ પણ શરૂ થઇ રહ્યા છે ત્યારે અચાનક આ રીતે AMTS અને BRTS બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા તંત્રના અણઘટ વહીવટની પોલ ખુલી હતી.
ગત 24 કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયા 1122 નવા કેસ
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1122 નવા દર્દી જ્યારે 77 દર્દીઓ સાજા થયાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
એક્ટિવ કેસમાં થઇ રહ્યો છે ચિંતાજનક વધારો
રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 5310 એક્ટિવ કેસ છે. તો હાલ 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને 96.54 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,71,433 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4430 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 315 કેસ અને ગ્રામ્યમાં 38 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 264 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 7 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 97 કેસ, જ્યારે ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 88 કેસ અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે.
22,71,145 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
તો બીજી તરફ વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 22,71,145 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 5,54,662 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આજે રાતથી આગામી 31 માર્ચ સુધી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.