રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના સંકટ ફરી ઘેરાયું છે, ખાસ કરીને મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ ફરીવાર વણસી રહી છે કારણ કે, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કેસ આ બંન્ને મહાનગરોમાં નોંધાઇ રહ્યા છે.
ગુજરાતમાં કોરોના બેકાબૂ
અમદાવાદ અને સુરત બન્યા છે મુખ્ય કેન્દ્ર
મહાનગરોમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજ્યમાં કોરોનાના 725 નવા કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં એક દિવસમાં 187 નવા કેસ તથા સુરતમાં એક દિવસમાં 206 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.
અમદાવાદ અને સુરત ફરી બની રહ્યા છે કોરોનાનું કેન્દ્ર
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરત ફરીવાર કોરોનાનું કેન્દ્ર બની રહ્યા છે અને સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરોમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે તો તકેદારીના ભાગરૂપે કોવિડ-19ના નિમયોનું પાલન ગંભીરતા પૂર્વક થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં સ્થિતિ બેકાબૂ
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. બોડકદેવ, બોપલ, ઘાટલોડિયામાં માઇક્રો ક્ન્ટેઇન્મેન્ટ ઝોન વધ્યા છે. ગોતાના પણ અનેક વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. અમદાવાદમાં માઇક્રો ક્ન્ટેઇન્મેન્ટ ઝોન વધતા તંત્ર હરકતમાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાએ ચિંતા વધારી
તો આ તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે ચિંતા વધી છે. સતત ત્રણ દિવસથી કોરોનાનો આંક 100ને પાર પહોંચ્યો છે. શનિવારે નોઁધાયેલા કેસની વાત કરવામાં આવે તે રાજકોટ શહેરમાં 64 અને ગ્રામ્યમાં 13 કેસ, જામનગર 16,જૂનાગઢ અને અમરેલીમાં 4-4 કેસ, ભાવનગર 16,સુરેન્દ્રનગર 3,સોમનાથમાં 2 કેસ, દ્વારકા અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે.
દેશભરમાં વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં
ભારતમાં કોરોનાનો કહેર ફરી એકવાર વધી રહ્યો છે. તેવામાં હવે વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધી 2.91 કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. એક દિવસમાં રેકોર્ડ 20.53 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. અને અત્યાર સુધી દેશમાં 53.12 લાખ લોકોને બીજો ડોઝ પણ લગાવી દેવામાં આવ્યો છે.
સૌથી વધુ વેક્સિનના ડોઝ ઉત્તરપ્રદેશમાં આપવામાં આવ્યા
સૌથી વધુ વેક્સિનના ડોઝ ઉત્તરપ્રદેશમાં આપવામાં આવ્યા છે. જ્યાં 3.3 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. હાલ દેશમાં 2 વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન આપવામાં આવી રહી છે. જોકે દેશમાં હજુ પણ 6 અન્ય વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. નિષ્ણાતોનો પણ મત છે કે જો કોરોનાને ઝડપથી કાબૂમાં કરવો હશે તો વેક્સિનનો બીજો ડોઝ ઝડપથી લોકોને આપવામાં આવે. જેથી કોરોનાના સંક્રમણથી લોકો બચી શકે.