કોરોના સામેની લડત અને નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને 50થી વધુ અર્બન હેલ્થ સેન્ટર આગામી સપ્તાહમાં શરૂ કરવામાં આવશે, તેના માટે આંગણવાડીના મકાનને ઉપયોગમાં લેવામાં આવશે. આ માટે તબીબો અને પેરા મેડિકલ સ્ટાફની ભરતી માટે ઓન લાઈન અરજી મંગાવવામાં આવી રહી છે
અમદાવાદમાં આંગનવાડી ફેરવાશે અર્બન હેલ્થસેન્ટરમાં
શહેરમાં 50 થી વધુ આંગણવાડીઓમાં શરૂ કરાશે
હાલની સ્થિતિને ધ્યાને રાખીને એક સપ્તાહમાં થશે શરૂ
રાજ્યમાં 10 હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટરની ભલામણ કરવામાં આવી છે. તેના કારણે રાજ્યભરમાં 1000 જેટલા ક્લિનિક ખોલવામાં આવશે. આવા સંજોગોમાં શહેરમાં આવેલી આંગણવાડીઓને પ્રાથમિકતા આપીને ત્યાં નવા હેલ્થ સેન્ટર શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેના આધારે તાત્કાલિક ધોરણે 11 મહિનાના કરાર આધારિત નિમણુંક કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવાનું શરૂ કરાયું છે.
જેમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોને પ્રાથમિકતા આપવામાં આવશે. જેના માટે તબીબને રૂ 30 હજારનું ફિક્સ માસિક વેતન નક્કી કરાયું છે અને પેરા મેડિકલ સ્ટાફ માટે રૂ 10 હજારનું ફિક્સ વેતન નક્કી કરાયું છે. આ સેન્ટરોમાં સાંજે 5 વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ઓપીડી ચાલુ રહેશે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને યુદ્ધના ધોરણે આ કામગીરી શરૂ કરાશે.
ગુજરાતમાં ધીરે-ધીરે કોરોના વાયરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે તેને લઇને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા હંગામી ધોરણે 350 ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની ભરતી શરૂ કરવામાં આવી છે. આમ કોરોના વાયરસની કોઇપણ ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા AMC દ્વારા 350 ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની ભરતી શરૂ કરાઇ છે.