રાજ્યમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ પર ડોકટર અને પેરામેડિકલ સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે. જો કે ગીતા મંદિર રોડ પર આવેલ આરોગ્ય ભવન ખાતે ઇન્ટરવ્યું રાખવામાં આવ્યું છે. જોકે ઇન્ટરવ્યું દરમિયાન લોકડાઉન સમયે સોશિયલ ડિસ્ટેન્સિંગ જોવા મળ્યું નહોતું.
એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને લોકડાઉનના પાલન માટે અપીલ કરી રહ્યું છે ત્યારે ડોકટરો અને પેરામેડિકલની ભરતીમાં જ ભીડ જોવા મળી હતી. આ ભરતી માત્ર ને માત્ર કોન્ટ્રાકટ આધારિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજ્યમાં વણસતી કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવી રહી છે.
આમ જ્યાં રાજ્યમાં હાલ 69 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો 23 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે શહેરમાં 3નાં મોત થયા છે. આમ જ્યારે રાજ્યમાં ધીરે-ધીરે કોરોના વાયરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા હંગામી ધોરણે 350 ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની ભરતી શરૂ કરવામાં આવી છે. આમ કોરોના વાયરસની કોઇપણ ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા AMC દ્વારા 350 ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની ભરતી શરૂ કરાઇ છે.
ઉલ્લેખનીય છેકે આ અંગે રાજ્ય સરકાર દ્વારા પણ મંજૂરી આપવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે આ નિર્ણય લીધો હતો. જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર હાલ 350થી વધુ ડોકટર અને પેરામિડકલ સ્ટાફની ભરતીને લઇને આરોગ્યભવન ખાતે ડોકટરોની ભીડ જોવા મળી છે. આ સાથે મોટી સંખ્યામાં ડોકટરો અને પેરામેડિકલ માટે લોકો ઉમટયાં છે.
અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી ભરતીની જાહેરાત બાદ ભરતીના સ્થાન પર આવનારા ડોકટર કે પેરામેડિકલસ્ટાફની ભરતી સમયે કોઇ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
AMC દ્વારા મેડિકલ સ્ટાફની ભરતીમાં ભીડને લઇને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કોર્પોરેશન પર નિશાન તાક્યું છે. મનીષ દોશીએ કહ્યું કે ભરતીમાં સામુહિક અંતર ન જળવાયું, જેને લઇને ભરતી પ્રક્રિયામાં અમદાવાદ કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. જો કે કોંગ્રેસ પ્રવક્તાએ સવા ઉઠાવ્યો કે સંકટના સમયે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શા માટે ભરતી યોજવામાં આવી.