દિવાળીના તહેવારોમાં મ્યુનિ. તંત્ર દ્વારા લોકોને જે પ્રકારે છૂટછાટ અપાઈ અને આ છૂટછાટનો મોટા પાયે ગેરલાભ ઉઠાવીને અનેક લોકોએ બજારમાં ઊમટી પડીને બેફામ વર્તન દાખવ્યું તેનાં પરિણામે શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે. નવરાત્રિ વખતે કંઈક અંશે કોરોનાનાં સંક્રમણને આગળ ફેલાતું રોકવામાં તંત્રને સફળતા મળી હતી, પરંતુ દિવાળીની ઉજવણીએ તેના પર પાણી ફેરવ્યું છે. હવે સમગ્ર અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હોઈ સત્તાવાળાઓ પણ નવી નવી રણનીતિને અમલમાં મૂકી રહ્યા છે, જેમાં માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં વધારો કરીને કોરોનાને રોકવાનું આયોજન અમલમાં મુકાયું છે.
માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા
ગત તા. ૧૮ નવેમ્બરે શહેરમાં માંડ ૧૦૦ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા અમલમાં હતા, જ્યારે ગત તા. ૧૯ નવેમ્બરે જૂના ૧૪ એરિયાને માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી બહાર કાઢીને કોરોના કેસના આધારે માત્ર આઠ નવા માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાયા હતા, જેના કારણે ૬૫ લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે પણ ફક્ત ૯૪ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જ હતા. તે દિવસે અમદાવાદમાં કોરોનાના નવા ૨૩૦ કેસ નોંધાયા હતા અને ત્રણ દર્દીનો કોરોનાએ ભોગ લીધો હતો એટલે શહેરમાં કોરોનાના મામલે સ્થિતિ ચિંતાજનક બની હતી.
ગત તા. ૨૦ નવેમ્બરે સત્તાવાળાઓએ શહેરમાં ૧૫૦ દિવસ બાદ કોરોનાના કેસનો સત્તાવાર આંકડો ૩૦૦ પાર થયો હતો. અમદાવાદમાં લાંબા સમય બાદ ૩૦૫ કેસ નોંધાતાં લોકોને મે-જૂનના કોરોનાના હોટસ્પોટ સમયગાળાની યાદ આવી ગઈ હતી. જોકે તંત્ર દ્વારા તો માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં ખાસ વધારો કરાયો નહોતો. સત્તાવાળાઓએ નવા ૧૭ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરતાં શહેરમાં કુલ ૧૦૫ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા અમલમાં હતા.
૧૧૧ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા થયા
પરંતુ ગયા શનિવારે એટલે કે તા. ૨૧ નવેમ્બરે અમદાવાદમાં કોરોના કેસમાં એક જ દિવસમાં સૌથી વધુ ૩૫૪ કેસનો રેકોર્ડ નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો, કેમ કે મે-જૂનમાં કોરોના પિક લેવલ પર હતો ત્યારે પણ કોરોનાના એક દિવસમાં આટલા બધા કેસ આવ્યા નહોતા. તેમ છતાં સત્તાધીશો શહેરીજનોમાં કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં વધારો કરવાની બાબતે ગંભીર બન્યા ન હતા. ગત તા. ૨૨ નવેમ્બરે નવા ૧૧ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાતા કુલ ૧૧૧ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા થયા હતા.
તંત્ર દ્વારા માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની બાબતે નવી રણનીતિ અપનાવાઈ
જોકે તા. ૨૨ નવેમ્બરે પણ કોરોનાના કેસનો સત્તાવાર આંકડો ૩૦૦ને પાર થતાં મ્યુનિ. તંત્ર દ્વારા માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની બાબતે નવી રણનીતિ અપનાવાઈ હતી. ત્યાં સુધી કોરોનાના કેસમાં સતત ચોથા દિવસે ૩૦૦થી વધુની વૃદ્ધિ થતાં સત્તાધીશો વધુ ને વધુ એરિયાને માઇક્રો કન્ટેન્મેન્ટ હેઠળ મૂકવાની દિશામાં ગંભીર બન્યા હતા અને આગલા દિવસના ૧૧૧ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની સંખ્યામાં બમણો વધારો કરીને નવા ૨૨ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કર્યા હતા.
ક્યારે માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાય છે?
તંત્ર દ્વારા જે સોસાયટી, ફ્લેટ કે પોળમાં કોરોનાના ત્રણથી ચાર કેસ મળી આવે છે ત્યાં પતરાં લગાડીને તે એરિયાને માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાય છે. આ એરિયાના લોકોની મુક્ત અવરજવર પર પ્રતિબંધ લગાડીને ત્યાં પોલીસ બેસાડી દેવાય છે. જ્યાં કોરોનાના કેસ મળ્યા હોય ત્યાં લાલ સ્ટિકર લગાવાય છે. માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાયા હોવા છતાં કોઈ ને કોઈ બહાનાંસર અવરજવર કરનારા સામે પોલીસ કડકાઈથી કામ લઈને સમરસ કોવિડ કેર સેન્ટર કે અન્ય કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરે છે.
દસથી વધુ કિસ્સામાં મ્યુનિ. તંત્રની ફરિયાદના આધારે હોમ આઇલોસેશનનો ભંગ કરતા નાગરિક સામે પોલીસે એફઆઇઆર પણ દાખલ કરી છે. માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં કોરોના ટેસ્ટિંગ પર ખાસ ભાર મુકાય છે અને ૧૪ દિવસના ક્વોરન્ટાઇન પિરિયડ બાદ કેસની સમીક્ષાના આધારે જે તે એરિયામાંથી માઇક્રો કન્ટેન્મેન્ટ દૂર કરાય છે.
૧૩૭ નવા માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાયાં
સત્તાવાળાઓની માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં વૃદ્ધિ કરીને કોરોનાનું સંક્રમણ રોકવાની નવી રણનીતિ મુજબ ગત તા. ૨૩ નવેમ્બરે ૩૯ નવા એરિયા, ૨૪ નવેમ્બરે ૪૫ નવા એરિયા અને ગઈ કાલે ૩૧ નવા એરિયા મળીને છેલ્લા ચાર દિવસમાં કુલ ૧૩૭ નવા માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાયા છે. ગઈ કાલ સાંજની સ્થિતિએ અમદાવાદમાં કુલ ૨૨૪ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા છે. છેલ્લા ચાર દિવસમાં ૨૦ હજારથી વધુ લોકોને માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં મુકાયા છે.
જોકે મ્યુનિ. તંત્ર દ્વારા દરરોજ પ્રસિદ્ધ કરાતા માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં ઘરની કુલ સંખ્યા અને કુલ વસ્તીના આંકડાથી લોકો માહિતગાર થાય છે, પરંતુ તેમના એરિયાના કોરોનાના વાસ્તવિક કેસ કેટલા છે તેનાથી લોકો અંધારાંમાં રહે છે. પરિણામે શહેરભરમાં સતત અફવાનું બજાર ગરમ રહે છે. બીજી તરફ કોરોના કેસના આંકડા છુપાવાતા હોઈ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાના લોકોમાં ભારે રોષ જોવા મળે છે એટલે એરિયા દીઠ કોરોનાના કેસની માહિતી જાહેર કરવાની લોકોની ઉગ્ર લાગણી અને માગણી છે.