ભારતમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા છે, જોકે કેન્દ્ર સરકારે સબ સલામત હોવાનો દાવો કર્યો છે. દરમ્યાન મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ આજે સવારે નમસ્તે અમદાવાદ હેઠળ ટ્વિટ કરી કોરોનાથી બચવા નમસ્તે કહેવા પર ભાર મૂક્યો છે.
કોરોના વાયરસને લઇને અમદાવાદ મનપા બન્યું સતર્ક
મનપા કમિશનરે શરૂ કર્યું નમસ્તે અમદાવાદ અભિયાન
હાથ મિલાવવાની પ્રક્રિયાને ટાળવા લોકોને કરી અપીલ
બે હાથ જોડી અભિવાદન કરવા મનપાની સૂચના
કમિશનર વિજય નહેરાના ટ્વીટર મુજબ હવે જ્યારે આપણે કોરોના વાઇરસ સાથે મુકાબલો કરવા સજ્જ છીએ ત્યારે તે માટે સૌથી વધુ સરળ અને સૌથી અસરકારક બાબત એ છે કે આપણે હસ્તધૂનન કરવાના બદલે એકબીજાને નમસ્તે કહીએ. તેમણે આ સંદેશનો બહોળો પ્રચાર કરીને કોરોના વાઇરસના ફેલાવા પર નિયંત્રણ મૂકવા મદદ કરવા પર ભાર મૂક્યો હતો.
દરમિયાન મ્યુનિ. હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી કહે છે, કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દી માટે સિવિલમાં ખાસ આઇસોલેશન વોર્ડ ઊભો કરાયો હોઇ તેમાં 20થી વધુ દર્દીને સારવાર આપી શકાશે.
હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ શંકાસ્પદ કેસ નથી
જ્યારે મ્યુનિ. હોસ્પિટલો પૈકી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં 10 પથારી, એલ.જી.માં 10 અને શારદાબહેન હોસ્પિટલમાં 10 પથારીની વ્યવસ્થા કરાઇ છે. એરપોર્ટ પર પેસેન્જરની તપાસ માટે રાઉન્ડ ધ કલોક ડોક્ટરની ટીમ તહેનાત કરાય છે, જોકે હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ શંકાસ્પદ દર્દી શહેરમાં નોંધાયો નથી.