આખી દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ આ વાયરસથી સંક્રમિત દર્દીઓી સંખ્યા ધીરે-ધીરે વધતી જઈ રહી છે. આ વાયરસથી વૃદ્ધો અને બાળકોને જલ્દી સંક્રમણ લાગવાનો ભય રહેલો છે. જેથી પેરેન્ટસની પરેશાની વધી ગઈ છે. કોરોના વાયરસથી પોતાના બાળકોને બચાવવા માટે લોકો જરૂરી પગલાં પણ લઈ રહ્યાં છે. જેથી તેમના બાળકો સુરક્ષિત રહી શકે, પરંતુ અત્યારે બાળકોને આ વાયરસ વિશે જાણકારી આપવી અને તેનાથી કઈ રીતે બચીને રહેવું તે જણાવવું જરૂરી છે. તો ચાલો જાણીએ બાળકોને કઈ રીતે આ વાયરસથી બચાવવા.
કોરોના વાયરસે સમગ્ર દેશમાં મચાવ્યો હાહાકાર
તમારા બાળકોને કોરોનાથી બચાવવા શિખવાડો આ વાતો
બાળકોને સુરક્ષિત રાખવા આ કામ કરવાથી રોકો
બાળકોને આ રીતે આપો વાયરસ ફેલાવાની જાણકારી
દિલ્હી, યૂપી, ગુજરાત સહિતના દેશોના ઘણાં ભાગમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ અને કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં બાળકોને કોરોના અંગે જાણકારી આપવી ખૂબ જ જરૂરી છે. બાળકોને જણાવો કે આ વાયરસ પ્રાણીઓ અને માણસોને થાય છે. આ વાયરસ વ્યક્તિના શરીરની કોશિકાઓને ડેમેજ કરીને આખા શરીરમાં ફેલાય છે.
બાળકોને સમજાવો કે, આ વાયરસ ખાંસી અને છીંકથી ફેલાય છે. જેથી તેમને કોઈપણ વ્યક્તિ ખાંસી ખાતાં કે છીંક ખાતાં દેખાય તો તેમનાથી દૂર રહે. જો તમારા ઘરમાં કોઈને ખાંસી કે શરદી હોય તો બાળકોને તેમનાથી દૂર રાખો.
બાળકોને શીખવાડો નાની-નાની ટિપ્સ
બાળકોના પોકેટમાં હેન્ડ સેનિટાઈઝર રાખો. દર અડધાં કલાક પછી તેનો ઉપયોગ કરવાનું કહો.
બાળકોને ભીડવાળી જગ્યાઓએ ન લઈ જાઓ અને બાળકોને એકલા પણ જવા ન દો.
ખાંસી અને છીંક વખતે બાળકોને મોઢે હાથ કે રૂમાલ રાખતા શીખવાડો.
બાળકોને ખાંસી અને છીંક પછી હાથ ધોવાનું શીખવાડો.
જો પેરેન્ટ્સને શરદી-ખાંસી હોય તો તેમણે પણ બાળકોથી દૂર રહેવું.
થોડાં સમયમાં બાળકોને એકબીજાનું ખાવાનું શેર કરવાની ના પાડો.
ગભરાવવું નહીં
કોરોના વાયરસના હાહાકારથી મોટાઓ પણ ડરી રહ્યાં છે તો વિચારો બાળકોના મગજ પર તેની શું અસર થતી હશે. જેથી બાળકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ભરોસો ન કરવા અંગે સમજાવો. આજકાલ બાળકો મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે, જેથી કોઈપણ અફવા શેર ન કરવા અને તેની પર વિશ્વાસ ન કરવા અંગે બાળકોને સમજૂતી આપો.