કોરોનાનો કહેર હાલ ભારતને ડરાવી રહ્યો છે અને એમાંય વિદેશ ફરવા જતા કે ટુર ઉપર જતા ગુજરાતીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમ છે. બેંગકોક અને પતાયા ફરવા જતા ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર છે કારણ કે 29મી માર્ચ સુધી અમદાવાદ બેંગકોકને સાંકળી તમામ ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી છે.
સિંગાપુર-થાઇલેન્ડથી આવતા મુસાફરો માટે અલગ એરોબ્રિજ
ભારતમાં કોરોનાવાઈરસને લીધે સંક્રમિત થયેલી વ્યક્તિનો આંક 13 થયો છે. આગ્રામાં 6, કેરળમાં 3, જયપુર-દિલ્હી-તેલંગાણામાં એક એક કેસ સામે આવ્યો છે. ભારતમાં કોરોનાવાઈરસનો એક કેસ જયપુરમાં પ્રકાશમાં આવ્યો છે. આ સ્થિતિને જોતા અગમચેતીના ભાગરૂપે એરપોર્ટ તંત્ર પણ સજ્જ થઇ ગયું છે. એરપોર્ટના તમામ સ્ટાફને માસ્ક અપાયા છે. તેમજ 29 માર્ચ સુધી અમદાવાદ-બેંગકોક ફ્લાઈટ રદ્દ કરી દેવાઇ છે. સિંગાપુર-થાઈલેન્ડના મુસાફરો માટે અલગ વોશરૂમની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રી પોઈન્ટ પર મુસાફરો માટે હેન્ડ સેનિટાઈઝરની વ્યવસ્થા કરાઈ છે, તેમજ આંતરરાષ્ટ્રિય મુસાફરો માટે ફરજીયાત સ્ક્રિનિંગ લાગુ કરી દેવાયું છે.
વિશ્વના અનેક દેશમાં કોરોના વાઇરસ હવે કાળ બનીને કેર વર્તાવી રહ્યો છે. કોરોના વાઇરસના કેરને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોનું સ્ક્રિનિંગ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પાઇસ જેટે આગામી 29 માર્ચ સુધી અમદાવાદ-બેંગકોકને સાંકળતી ફ્લાઇટને કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ-બેંગકોકને સાંકળતી સ્પાઇસ જેટની ફ્લાઇટ હવે 29 માર્ચ સુધી બંધ રહેશે.
બુકિંગ ફ્લાઈટનું રિફંડ અપાઈ રહ્યુ છે
જે મુસાફરોએ અગાઉથી જ આ ફ્લાઇટ માટે બૂકિંગ કરાવી દીધું છે તેમને રીફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 29 માર્ચ બાદ ફ્લાઇટ જારી રાખવી કે કેમ તેનો નિર્ણય એ સમયની સ્થિતિને આધારે લેવામાં આવશે. બીજી તરફ અમદાવાદ-બેંગકોક વચ્ચેની અન્ય એક એરલાઇન્સ એરએશિયા પણ તેનું ઓપરેશન થોડા સમય માટે બંધ કરે તેની સંભાવના છે.
આ ઉપરાંત અમદાવાદ-સિંગાપુરની એકમાત્ર ફ્લાઇટને પણ બંધ કરવામાં આવી શકે છે. ભારત સરકાર દ્વારા ચીન સાથેની તમામ ફ્લાઇટ અગાઉ જ બંધ કરવામાં આવી છે. ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા હોંગકોંગની ફ્લાઇટના ઓપરેશન્સ હાલ પૂરતા બંધ કરાયા છે. આમ, સાઉથ ઇસ્ટ એશિયા સાથેની મોટાભાગની ફ્લાઇટ કોરોના વાયરસને પગલે હજુ આગામી દિવસોમાં કેન્સલ જ રહે તેની પૂરી સંભાવના છે.
અમદાવાદ એરપોર્ટ હાઈઅલર્ટ પર
તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને સ્ક્રિનિંગમાંથી ફરજીયાત પસાર થવું પડશે.
સિંગાપુર-થાઇલેન્ડથી આવતા મુસાફરો માટે અલગ એરોબ્રિજ.
સિંગાપુર-થાઇલેન્ડથી આવતા મુસાફરો માટે અલગ વોશરૂમ.
એન્ટ્રી પોઇન્ટ પર મુસાફરો માટે હેન્ડ સેનિટાઇઝરની વ્યવસ્થા.
ટર્મિનલ બિલ્ડિંગ તેમજ તમામ ઇમારતોમાં નિયમિત ધોરણે ફમિંગેશન (મશિનથી જંતુનાશક દવાનો છંટકાવ) કરાશે.
વિદેશથી આવતા મુસાફરો માટે એરપોર્ટના જે સ્ટાફને જવાબદારી સોંપાઇ છે તેમને માસ્ક અપાયા.