એક તરફ લૉકડાઉનને કારણે મોટા ભાગના ધંધા-ઉદ્યોગોની કમર તૂટી ગઇ છે તો બીજી તરફ રાજ્યમાં સ્કૂલોની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ફી સિવાય માસ્ક, સેનિટાઈઝરનો ખર્ચ પણ વાલીઓ પાસેથી વસૂલ કરવામાં આવે તેવી રજૂઆત સંચાલકો દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે, સરકારી ગાઇડલાઇન પ્રમાણે આગામી જૂલાઇ માસથી શાળાઓ શરૂ કરવામાં આવી શકે છે.
જૂલાઇ મહિનાથી શરૂ થઇ શકે છે શાળાઓ
ફી સહિત સેનેટાઇઝર તથા માસ્કના પૈસા વાલીઓ પાસેથી વસૂલવામાં આવી શકે છે
શાળાના સંચાલકોની ગણતરી પ્રમાણે એક બાળક દીઠ મહિને 300થી 500 રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે. માટે શાળાઓએ હવે સેનિટાઇઝ ટનલ, બિલ્ડિંગ સેનિટાઈઝ મશીન, થર્મલ ગન, માસ્કની ખરીદી આરંભી દીધી છે.
સરકારી ગાઇડલાઇન પ્રમાણે શાળાઓ પણ થશે શરૂ
ઉલ્લેખનીય છે કે, 2020-21ના વર્ષમાં સરકારે સ્કૂલોને ફીમાં વધારો ન કરવાના આદેશ આપ્યા છે. તો ગત શૈક્ષણિક સત્રની પણ ફી ઘણા વાલીઓએ ભરી નથી ત્યારે આવી સ્થિતિમાં લૉકડાઉન બાદ શાળાઓ ફરી ધમધમતી થાય તો શાળા સંચાલકો દ્વારા મોટો ખર્ચ કરવો પડી શકે છે.
વાલીઓ પાસેથી વસૂલવામાં આવી શકે ખર્ચ
ત્યારે કેટલાક સંચાલકોને મોઢે એવી વાતો પણ ચર્ચાઇ રહી છે કે, સરકારની ગાઇડલાઇન પ્રમાણે અમારે તમામ નિયમોનું પાલન કરવાનું આવે તો આ વધારાનો ખર્ચ વાલીઓ પાસેથી જ વસૂલવો પડશે. જો કે, એ વાત નક્કી નથી કે કેટલો ખર્ચ વસૂલવામાં આવી શકે છે.
શિક્ષકોના પગાર ધોરણમાં પણ કરવા પડશે ફેરફાર
એક શાળાના સંચાલકના જણાવ્યા પ્રમાણે, સરકાર દ્વારા આપવામાં આવેલ સોશિયલ ડિસ્ટન્સિંગના આદેશ પ્રમાણે જો એક જ શિક્ષકે વધારે ક્લાસ લેવાના થાય તો તેમને પણ વધારાના ક્લાસ દીઠ રકમ ચૂકવવી પડે અને એટલે શિક્ષકના પગાર ધોરણને લઇને પણ નિર્ણય લેવો પડશે.