ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે. તો અમદાવાદની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. કારણ કે અહીં કોરોના વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે શહેરની SVP હોસ્પિટલની એક ગંભીર બેદરકારી સામે આવી છે.
અમદાવાદની SVP હોસ્પિટલની બેદરકારી
કોરોના દર્દીને નેગેટિવ હોવાનું કહીં 2 દિવસ રાખી રજા અપાઇ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, 2 દિવસની સારવાર બાદ તેને રજા આપી દેવાઇ હતી અને બાદમાં દર્દીને પોઝિટિવ છો તેમ કહી SVPમાં ફરીવાર દાખલ કરી દેવાયો હતો.
હોસ્પિટલની બેદરકારીને લીધે સમગ્ર પરિવારને લાગ્યો કોરોનાનો ચેપ
હોસ્પિટલની બેદરકારીને કારણે વસ્ત્રાલના અસરાની પરિવારના પુત્રને પોઝિટિવ હોવા છતા તંત્રએ જાણ ન કરી જેના કારણે આખો પરિવાર સંક્રમિત થયો છે. ત્યારે SVP હોસ્પિટલની બેદરકારીથી વસ્ત્રાલના અસરાની પરિવાર પર જીવનું જોખમ ઉભુ થયું છે.
ગાઇડલાઇનમાં પણ દર્દીના ટેસ્ટનો કરાયો છે ઉલ્લેખ
કોરોના વાયરસના દર્દીને રજા આપતા પહેલા કોરોનાનો ટેસ્ટ ન કરવાની નીતિ ખુદ ગુજરાત સરકારને ભારે પડી રહી છે. ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન મુજબ જેમના લક્ષણો હોય તેમના જ ટેસ્ટ કરવા અને જેને લક્ષણો ન હોય પણ તે પોઝિટિવ હોય તેવા દર્દીને સાત દિવસ બાદ ફરીથી ટેસ્ટ કર્યા વગર જ ડિસ્ચાર્જ આપી દેવાને કારણે આ દુર્ઘટના ઘટી છે.
સિવિલ બેદરકારી માટે પંકાયેલી
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મૃતકોના પરિવારને મૃતકોના મોતના કેટલાય દિવસો પછી જાણ કરવામાં આવી હોય તેવા કિસ્સા સામે આવ્યા છે જ્યારે મૃતકોના દાગીનાની ચોરીની ફરિયાદો ઉઠી રહી છે અત્યાર સુધીમાં 4થી વધુ પોલીસ ફરિયાદો થઈ ચુકી છે. સિવિલ હોસ્પિટલ પોતાની બેદરકારી માટે જાણીતી છે ત્યારે SVP પણ હવે સિવિલના નક્શેકદમ પર ચાલી રહી છે.