શહેરમાં શુક્રવારે કોરોનાના નવા 236 કેસ અને વધુ 18 દર્દીનાં મોત થયાં હતાં. ગ્રામ્ય વિસ્તારના નવા 17 કેસ મળીને અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ 11,597 કેસ અને 789 દર્દીનાં મોત થયાં છે. આજે શહેરમાં મૃત્યુઆંક 800ને પાર કરશે. દરમિયાન, કોરોનાના કેસ પશ્ચિમ ઝોનમાં વધ્યા છે. ગઈ કાલે આ ઝોનમાં નવા ૬૩ કેસ મળી આવ્યા હતા.
સાબરમતીમાં એક જ દિવસમાં 23 કેસઃ બાપુનગરમાં 18, ખાડિયામાં 11, ઇસનપુર અને વેજલપુરમાં ૧૦-૧૦ કેસ મળ્યા
નારણપુરામાં 13 તેમજ વાસણા અને રાણિપમાં સાત-સાત કેસ
શહેરમાં હાલ 4873 દર્દીઓ સારવાર હેઠળઃ મધ્ય ઝોનમાં સૌથી વધુ 1114 દર્દી
શુક્રવારે પશ્ચિમ ઝોન ઉપરાંત ઉત્તર ઝોનમાં 48, દક્ષિણ ઝોનમાં 38, પૂર્વ ઝોનમાં 29, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 16 અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા 12 કેસ નોંધાયા હતા. મધ્ય ઝોનમાં ખાડિયાના નવા 11 કેસથી સંખ્યા 31 પર પહોંચી છે.
સાબરમતી વોર્ડમાં એક જ દિવસમાં 23 કેસ મળ્યા
પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં એક જ દિવસમાં 23 કેસ નોંધાતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સાબરમતીના સાબરમતી નાકા, ચામુંડાનગર વિભાગ-2, ચિંતામણિ, પૂજાનગર ફ્લેટ અને અર્બુદા ફ્લેટમાં કોરોનાના દર્દી મળ્યા હતા. તેમાં પણ ધર્મનગર પોસ્ટ ઓફિસ પાસે આવેલી જગાભાઈની ચાલીમાં એકસાથે કોરોના પોઝિટિવના 17-17 દર્દી નોંધાતા સમગ્ર ચાલી વિસ્તારમાં ભય પ્રસરી ગયો હતો. અનન્યા પ્રકાશ પટણી નામની બે વર્ષની બાળકી તેમજ આદિત્ય પટણી અને તનેશા રાજુ પટણી નામના આઠ-આઠ વર્ષનાં બાળક-બાળકીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ તમામ કેસ પટણી પરિવારના છે. જાણકાર સૂત્રો કહે છે, જગાભાઈની ચાલીના બેથી ત્રણ પટણી પરિવાર કોરોનાગ્રસ્ત થયા છે.
સાબરમતી ઉપરાંત પશ્ચિમ ઝોનના નારણપુરામાં 13, વાસણા-રાણિપમાં 7-7 અને પાલડીમાં છ કેસ મળ્યા છે. નવરંગપુરા અને ચાંદખેડામાં ત્રણ-ત્રણ અને નવા વાડજમાં એક કેસ નોંધાયો છે.
મ્યુનિ. તંત્રમાં દોડધામ મચી
અન્ય ઝોનના વોર્ડ પૈકી બાપુનગરમાં 18, મણિનગર અને ખાડિયામાં 11, ઇસનપુર અને વેજલપુરમાં 10-10 કેસ મળ્યા છે. અમરાઈવાડી અને સૈજપુરબોઘામાં નવ-નવ, શાહપુર અને ઇન્દ્રપુરી વોર્ડમાં છ-છ, ઓઢવમાં સાત, ગોમતીપુરમાં પાંચ, શાહપુરમાં છ, ઇન્ડિયા કોલોની- શાહીબાગમાં ચાર-ચાર, દરિયાપુરમાં ત્રણ, જમાલપુરમાં બે, નિકોલ- ગોતા- વિરાટનગર અને સરખેજમાં બે-બે, વસ્ત્રાલમાં ત્રણ, બોડકદેવમાં ચાર, ઘાટલોડિયા-થલતેજમાં ત્રણ-ત્રણ, નરોડામાં ચાર, કુબેરનગરમાં ત્રણ, સરસપુર- રખિયાલમાં ચાર, બહેરામપુરામાં બે, દાણીલીમડામાં પાંચ, લાંભા-સરદારનગર, રામોલ-હાથીજણમાં એક-એક નોંધાયો છે. શહેરના કુલ 48 વોર્ડ પૈકી 42 વોર્ડમાં કોરોનાના કેસ મળતા મ્યુનિ. તંત્રમાં દોડધામ મચી છે.
મધ્ય ઝોનના સૌથી વધુ સારવાર હેઠળ
અત્રે ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિએ શહેરમાં 4873 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી મધ્ય ઝોનના સૌથી વધુ 1114 દર્દી વિભિન્ન હોસ્પિટલમાં દાખલ છે. ત્યાર બાદ ઉત્તર બાદ ઝોનમાં 997 દર્દી, દક્ષિણ ઝોનના 876 દર્દી, પૂર્વ ઝોનના 839 દર્દી, પશ્ચિમ ઝોનના 618 દર્દી, દક્ષિણ-પશ્ચિમ ઝોનના 276 દર્દી, ઉત્તર-પશ્ચિમ ઝોનના સૌથી ઓછા 171 દર્દી સારવાર હેઠળ છે. હવે મધ્ય ઝોન, દક્ષિણ ઝોન સિવાયના પશ્ચિમ ઝોન, પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પણ કોરોનાના કેસમાં વૃદ્ધિ થઈ રહી છે, પરંતુ અન્ય ઝોનની સરખામણીમાં કંઈક અંશે ઓછી છે.