આગામી 31 મેના રોજ લૉકડાઉન-4.0 પૂર્ણ થવા જઇ રહ્યું છે. ત્યારે ગુજરાતના તથા સમગ્ર દેશમાં લૉકડાઉન વધારવામાં આવશે તેવી અટકળો છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લૉકડાઉન-5ને લઇને હાલ કોઇ પ્લાન નહીં હોવાની વાત કરી હતી.
લૉકડાઉન 5 ને લઇને ચાલતી ખબરનું CM રૂપાણીએ ખંડન કર્યુ
1 જૂનથી લોકડાઉન 5 અમલમાં આવશે તે વાતને ગણાવી અફવા
જનતા અફવાથી દુર રહે તેવી CM રૂપાણીની અપીલ
ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન-5ને લઈને સોશિયલ મીડિયામાં અફવાઓ ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં કેટલાક લોકો આગામી 1 જૂન થી લૉકડાઉન-5 અમલમાં આવશે અને ફરીથી બધુ બંધ કરી દેવામાં આવશે. એવી વાતો ફેલાવી રહ્યા છે. આ વાતો માત્ર અફવા છે અને નાગરિકો આવી ખોટી અફવાઓથી દૂર રહે તેમ પણ મુખ્યમંત્રીશ્રી એ સ્પષ્ટપણે જણાવ્યું છે.
31 મેના રોજ સમગ્ર દેશમાં પૂર્ણ થઇ રહ્યું છે લૉકડાઉન-4.0
આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોના મહામારીને લઇને લાગુ કરવામાં આવેલ લૉકડાઉન-4.0 આગામી 31 મેના રોજ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે હજી સુધી લૉકડાઉન-5ને લઇને સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઇ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.
ગુજરાતમાં કોરોના બન્યો બેફામ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 367 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15572 થઇ છે. જ્યારે 454 દર્દીઓ સાજા થયા જેને લઇનેકુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 8001 થઇ છે. જ્યારે 22 દર્દીના મોત પણ થયા છે. જેને લઈને રાજ્યમાં કુલ મૃત્યુઆંક 960 પર પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6611 થઇ છે. જ્યારે 76 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.