ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મરકજના કારણે શહેરોમાં કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે. અમદાવાદમાં કોરોનાના નવા 11 કેસ સામે આવતાં કુલ 64 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં અમદાવાદ બન્યું કોરોનાનું હોટ સ્પોટ
મરકજના કારણે અમદાવાદમાં કોરોનાના દર્દી વધ્યા
અમદાવાદમાં કોરોનાના 64 કેસ નોંધાયા
ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે. અમદાવાદમાં આજે કોરોનાના 11 નવા કેસ નોંધાયા છે. તબલીગી જમાતના કારણે અમદાવાદમાં કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે. અમદાવાદમાં કુલ 64 કોરોનાના કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોરોનાના દર્દીઓ છે.
જમાલપુર, કાલુપુર, દાણીલીમડામાં કોરોનાના દર્દીઓ વધારે છે. આ 11 નવા કેસમાં 3 વ્યક્તિ નિઝામુદ્દિન કનેક્શનના છે. જ્યારે 6 લોકો રાજસ્થાનથી આવ્યા હતા. તો અન્ય બે પોઝિટિવ કેસ લોકલ વ્યક્તિના છે. અમદાવાદમાં માતાવાળી પોળના વધુ 4 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે.
જેને લઇ કાલુપુર ટાવર આસપાસની પોળ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાઇ છે. કોરોના પોઝિટિવ દર્દીઓનું તબલીગી જમાત સાથે કનેક્શન સામે આવ્યું છે. જેને લઇ મનપાએ કામગીરી શરૂ કરી દીધી છે. અને પોલીસને સાથે રાખી કોરોના પોઝિટિવ દર્દીઓના વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યો છે.
રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કરોનાના નવા 16 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી 11 વ્યક્તિના મોત નિપજ્યાં છે.