દેશભરમાં કોરોના કેપિટલ તરીકે ઓળખાતા અમદાવાદમાં કોરોના કાબૂમાં આવતો જ નથી. હવે તો મધ્ય ઝોનના એપી સેન્ટર ગણાતા કોટ વિસ્તારની બહારના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોનમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. શહેરમાં કોરોના સંક્રમણનો ભોગ કિડની, બીપી, ડાયાબિટીસની બીમારી ધરાવતા તેમજ સિનિયર સિટીઝન તો સહેલાઈથી બની રહ્યા છે, પરંતુ હવે માસૂમ બાળકો પણ કોરોનાના કેરથી બાકાત નથી રહ્યાં.
ત્રણ બાળકી સહિત એક વર્ષનાં સાત બાળક કોરોનાગ્રસ્તઃ ચાલીમાં રહેતાં બાળકો માટે જોખમ વધ્યું
કોરોના ટેસ્ટની માહિતી અપાતી બંધ કરાતાં શાસક ભાજપમાં રોષઃ હવે વોર્ડ વાઇઝ કેસની સંખ્યા પણ જાહેર કરાતી નથી
એક વર્ષથી ૧૫ વર્ષ સુધીનાં બાળકો કોરોનાની ઝપટમાં આવ્યાં
ઉલ્લેખનીય છે કે, મંગળવારે એક જ દિવસમાં ૧૫ વર્ષ સુધીનાં ૧૯ બાળકો કોરોના પોઝિટિવ જાહેર થયાં હતાં. આ બાબત ભારે ચિંતાજનક હોઈ મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ સ્તબ્ધ બન્યા છે. અત્યાર સુધીમાં કોરોના કાળમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં નિર્દોષ બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
લોકડાઉન હળવું થતાં કોરોનાનો પ્રકોપ વધ્યો
શહેરમાં કોરોના કેસનો આંકડો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, તેમાં પણ સોમવારથી લોકડાઉનને સાવ હળવું કરી દેવાતાં કોરોનાનો પ્રકોપ વધ્યો હોવાનું બિહામણું ચિત્ર ઉપસી રહ્યું છે. શુક્રવારે શહેરમાં નવા ૨૭૯ કેસ નોંધાતાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧૨,૭૭૩ પર જઈ પહોંચ્યો છે, જ્યારે કોરોનાએ વધુ ૨૪ દર્દીનો ભોગ લેતાં કુલ મૃત્યુઆંક ૮૮૮ થયો છે. અમદાવાદમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવાઈ હોવા છતાં જે પ્રકારે કેસની સંખ્યા સતત રોજના ૨૫૦ કેસની આસપાસ નોંધાઈ રહી છે તે ગંભીર સ્થિતિ દર્શાવે છે. ગત તા. ૧ જૂને એટલે કે અનલોક-૧ના પ્રથમ દિવસે ૩૧૪ કેસ નોંધાયા હતા.
કોરોના સંકટ માસૂમ બાળકો પર વધુ ઘેરું બન્યું
જોકે હવે અમદાવાદમાં કોરોનાનું સંકટ માસૂમ બાળકો પર વધુ ઘેરું બન્યું છે તેનાથી કોરોનાનું ચિત્ર વધુ ભયાવહ બન્યું છે. શુક્રવારે એક જ દિવસે ૧૫ વર્ષ સુધીનાં ૧૯ બાળકો કોરોના સંક્રમણનો ભોગ બન્યાં હતાં, જેમાં એક વર્ષની ત્રણ બાળકી સહિત સાત-સાત એક વર્ષનાં બાળકનો સમાવેશ થાય છે. આની સાથે જીવરાજપાર્કના કિરણ રોહાઉસનાં ૯૫ વર્ષનાં વૃદ્ધાને પણ કોરોના થયો છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બાળકોને લાગ્યા ચેપ
બાળકોના મામલે ઓઢવની રબારી કોલોની, નરોડાના સ્વામિનારાયણપાર્ક, કુબેરનગરમાં અંબાજીનગરની ગલી નંબર-પ, ઠક્કરનગરના વસંતનગરના છાપરામાં એક-એક વર્ષના બાળક ઉપરાંત વાસણામાં સોરાઈનગર ગધેડાવાળી ચાલી, બાપુનગરના હાઉસિંગ બોર્ડનાં મકાન અને અસારવામાં રોહીદાસ સોસાયટી એમ કુલ ત્રણ જગ્યાએ એક વર્ષની ત્રણ બાળકી મળીને એક વર્ષનાં કુલ સાત-સાત બાળકને કોરોનાનો ચેપ લાગ્યો છે.
આ ઉપરાંત સરસપુરના ગરીબનગરમાં નવ વર્ષની બાળકી, જુહાપુરાની ગુલશન-એ-ઇકબાલ સોસાયટીમાં ૧૧ વર્ષનું બાળક, અસારવાની જયંતીલાલ ચુનીલાલની ચાલીમાં પાંચ વર્ષનું બાળક, નોબલનગરમાં દસ વર્ષની બાળકી, ખાડિયાની ગોળલીમડાની સરદારપોળમાં ૧૫ વર્ષનું બાળક, બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં ૧૩ વર્ષનું બાળક, પાલડીના દેવ સ્ટેટસ ફ્લેટમાં ૧૫ વર્ષની બાળકી, નારણપુરાના નિર્મલ એપાર્ટમેન્ટમાં બે વર્ષનું બાળક, વાસણાના રવિકિરણ એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના ચાર લોકોને કોરોના થયો છે, જેમાં દસ વર્ષની બાળકી અને ૧૨ વર્ષના બાળકનો સમાવેશ થાય છે તેમજ મોટેરાના શ્રદ્ધા એન્કલેવમાં આઠ વર્ષના બાળકને પણ કોરોના થયો છે.
નાગરિકોમાં ગભરાટ ફેલાયો
એક તરફ કોરોનાની ચપેટમાં નાનાં બાળકો પણ આવી રહ્યાં હોઈ નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે. બીજી તરફ મ્યુનિ. હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ફોન તો ઉપાડતા જ નથી, પરંતુ દરરોજની અખબારી યાદીમાંથી કોરોના ટેસ્ટની માહિતી અાપવાનું પણ બંધ કર્યું છે. કોરોનાના કેર વચ્ચે ટેસ્ટિંગ અંગેની જાણકારીથી શાસક પક્ષ ભાજપ પણ અંધારામાં રહેતો હોઈ ખુદ ભાજપના કોર્પોરેટરો અકળાઈ ઊઠ્યા છે. તંત્ર દ્વારા અગાઉ વોર્ડ વાઇઝ માહિતી અપાતી હતી, જે પણ હવે બંધ કરી દેવાતાં જાણે કે બળતામાં ઘી હોમાયું છે. આમ, મ્યુનિ. હેલ્થ વિભાગની નબળી કામગીરી પણ ભારે વિવાદાસ્પદ બની છે.