રાજ્યમાં કોરોના સંકટ પ્રતિદિન વધી રહી રહ્યું છે અને અમદાવાદ સિવિલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળી રહી છે. તો દર્દીઓને સારવાર લેવા માટે 10 કલાકથી વધુના વેઇટિંગ જોવા મળી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇનો
દર્દીઓને નથી મળી રહી સારવાર
10 કલાકના વેઇટિંગ બાદ પણ નથી આવતો વારો
ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર થઇ રહી છે. ખાસ કરીને મહાનગરોમાં અમદાવાદની હાલત વધુ નાજૂક છે. કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીનો ભોગ શહેરના નાગરિકો બની રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
ખરેખર બેડ વધારાયા છે કે, પછી ફક્તા કાગળ પરની છે વાતો
મનપા દ્વારા નવી હોસ્પિટલો ઉભી કરાઈ છતા એમ્બ્યુલન્સની લાઈનો ઓછી થતી નથી અને રાત્રે 2 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં દર્દીઓનો નંબર આવતો નથી.ત્યારે એવું થાય છે કે, હોસ્પિટલ અને બેડ વધારવાની વાતો માત્ર કાગળ ઉપર છે અને જો ખરેખર બેડ વધારાયા છે તો કેમ એમ્બ્યુલન્સની લાઈન યથાવત છે ?
એડી.સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રજનીશ પટેલે આપ્યું નિવેદન
અમદાવાદમાં કોરોના સંક્રમણ ખતરનાક સ્તરે પહોંચી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ બહાર 60 એમ્બ્યુલન્સની લાઇન લાગી છે. સિવિલ કેમ્પસ ભરાઈ જતા 108 કેમ્પસની બહાર લાઇન લગાવી છે. હાલ અમદાવાદના લોકોની ખૂબ જ ખરાબ હાલત છે. ત્યારે એમ્બ્યુલન્સની લાઈનો અંગે સિવિલ હોસ્પિટલના એડી.સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રજનીશ પટેલે નિવેદન આપ્યું હતું કે, એમ્બ્યુલનસ લાઈન વધી રહી છે તે અમારા માટે મોટો વિષય છે. એમ્બ્યુલન્સમાં ઓરેન્જ-ગ્રીન ફ્લેગ શરૂ કરાયા છે. બહાર ઉભી રહેલ એમ્બ્યુલન્સમાં ડોક્ટર પ્રાથમિક તપાસ કરે છે. ગંભીર દર્દીવાળી એમ્બ્યુલન્સને ઓરેન્જ ફ્લેગ સાથે આગળ જવા માટે સૂચના અપાય છે.
108 દ્વારા તમામ દર્દીઓને સિવિલમાં મોકલવામાં રહ્યા છેઃ ડૉ. રજનીશ પટેલ
તો AMC અને SVPને ડો.રજનીશ પટેલનો સણસણતો જવાબ આપ્યો હતો. ડૉ. રજનીશ પટેલે કહ્યું કે, આ મારું તારું કરવાનો સમય નથી. 108 દ્વારા તમામ દર્દીઓને સિવિલમાં મોકલવામાં રહ્યા છે. જો SVP માં મોકલવામાં આવે તો આવી જ લાઈનો SVP માં પણ જોવા મળશે. આ સમય મારુ-તારું કરવાનો નથી સેવા અપવાનો છે. અમને લાઈનો જોઈ દુઃખ છે પરંતુ શું કરીએ. સિવિલ દ્વારા ઓન કોલ અમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરાઇ છે.
AMCને VTVના સવાલ
ત્યારે કેટલાક સવાલ થાય છે કે ખરેખર હોસ્પિટલોમાં બેડ વધી રહ્યા છે તો સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો કેમ ઓછી નથી થતી? કોર્પોરેશનના અધિકારીઓ ક્યારે પોતાની વાહવાહી કરવાનું બંધ કરી ખરેખર ક્યારે કામ કરશે ? સિવિલ હોસ્પિટલમાં લાગેલી એમ્બ્યુલન્સની લાઈનો અધિકારીઓની વાહવાહીની પોલ ખોલી રહી છે. સારવાર લેવા માટે લોકોના વલખા આજે પણ યથાવત છે. આ દર્દીઓની વેદના જોઈને પણ કોર્પોરેશનના અધિકારીઓના દિલ કેમ નથી પીગળી રહ્યા. પોતાને સર્વોપરી માનનારા અધિકારીઓમાં કેમ હવે માનવતા રહી નથી ?