રાજ્યમાં ધમણ-1 વેન્ટિલેટરને લઇને વિવાદ વધુને વધુ ગરમાઇ રહ્યો છે. હજુ સવારે આરોગ્ય સચિવ જયંતિ રવિએ ધમણને યોગ્ય ઠેરવ્યું તો ફરી કોંગ્રેસે તેમના પર યક્ષ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે સરકારને ટોણો મારતા એમ પણ કહ્યું હતું કે, કોઇ મફતમાં ઝેર આપે તો ખઇ ન લેવાય. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, માત્ર ઓક્સિજન સપ્લાય કરવાનાં મશીનને વેન્ટિલેટર બનાવી દીધું અને CMએ ઉતાવળ કરી તેના મિત્રની કંપનીની પ્રોડક્ટ હોવાથી લોન્ચ પણ કરી દીધું.
ધમણ-1 મામલે સરકાર પર કોંગ્રેસના પ્રહાર
મુખ્યમંત્રીએ ઉતાવળ કરીને ધમણ-1નું લોન્ચિંગ કર્યુ
ગુજરાત સરકારે પોતાની બેદરકારી છૂપાવવાનો પ્રયાસ કર્યો
અમિત ચાવડાએ જણાવ્યું કે જે વેન્ટિલેટર ધમણને સિવિલના હેડ ડૉક્ટર કોરોનાની સારવારમાં યોગ્ય નથી ગણતાં એની ક્વોલિટી સારી નથી અને તેનો અખતરો કેમ ગુજરાતી પ્રજા પર કરાયો.સિવિલ હોસ્પિટલમાં થયેલાં છેલ્લા મોટા ભાગના મૃત્યુ આ ધમણના કારણે થયા છે. આ ઉપરાંત ચાવડાએ રૂપાણી સરકારને પ્રશ્ન પુછતાં કહ્યું કે સરકારે 4 એપ્રિલ ધમણને ગુજરાતમાં લોન્ચ કર્યું અને તેના ક્વોલિટી સર્ટિફિકેટની પ્રોસેસ 10 દિવસ બાદ 14 એપ્રિલ કરી. અઘુરામાં પુરુ ધમણનો વિવાદ સર્જાતા રાતોરાત સર્ટિફિકેટની પ્રોસેસ એક દિવસમાં પુરી કરી દેવાઈ.
આપણને કોઈ ઝેર મફતમાં આપે તો આપણે પી જવું : અમિત ચાવડા
ચાવડાએ વધુમાં સરકારને આડે હાથ લેતાં કહ્યું કે, નીતિન પટેલ કહે છે કે જ્યોતિ CNCએ સરકારને 1000 ધમણ વેન્ટિલેટર મફતમાં આપ્યા છે. એનો અર્થ એવો નથી કે આપણને કોઈ ઝેર મફતમાં આપે તો આપણે પી જવું. ઉપરાંત મુખ્યમંત્રીએ મિત્રની કંપનીના ધમણ વેન્ટિલેટર મુદ્દે પોતે સ્પષ્ટતા કરવાને બદલે આોગ્ય સચિવને આગળ ધરી સ્પષ્ટતા કરવા મોકલે છે.
કોંગ્રેસ નેતા ડૉ. જીતુ પટેલે મીડિયાને કર્યું સંબોધન
આ સાથે કોંગ્રેસના નેતા જીતુ પટેલે મીડિયા સંબોધતા કહ્યું કે નિયમો મુજબ વેન્ટિલેટરની પરમિશન DGCI પાસેથી લેવાની હોતી નથી એ વાત સદંતર ખોટી છે માત્ર મેન્યુફેક્ચરિંગની પરમિશન લેવાની હોતી નથી. ક્વોલિટીની પરમિશન લેવાની હોય છે.
સરકારનું સૌથી મોટું બેજવાબદાર નિવેદન
કોંગ્રેસ અગ્રણી જીતુ પટેલે આ મુદ્દે ધમણ 1ને ફેક વેન્ટિલેટર ગણાવીને કહ્યું હતું કે સરકારના નિવેદન પ્રમાણે જેમ સીરિન્જ, નીડલમાં ટેસ્ટની જરૂર નથી તેમ ધમણ વેન્ટિલેટરને પણ ટેસ્ટિંગ કે ટ્રાયલની જરૂર નથી. આ નિવેદન સૌથી મોટું બેજવાબદાર નિવેદન કહી શકાય. તેમણે કહ્યું હતું કે વેન્ટિલેટરથી દર્દીઓને ઓક્સિજન આપીને બચાવી શકાતું હોય છે ત્યારે તે સૌથી મહત્વનું મેડિકલ સાધન છે ત્યારે તેની સાથે કોઈ પણ ચેડાં કે અખતરો ચલાવી ન શકાય.