શહેરમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા કેટલાક દિવસથી જાહેર થતા સરકારી આંકડા મુજબ ભલે ઘટયું હોય તો પણ આજની સ્થિતિએ અમદાવાદ શહેર કોરોના મહામારીના મામલે સલામત નથી. શહેરમાં કોરોનાના કેસનો વિસ્ફોટ હવે રપ,૦૦૦ કેસ પાસે જઇ પહોંચ્યો છે. એપ્રિલ અને મે મહિનામાં શહેરમાં કોરોનાનો ફેલાવો તેની ટોચ પર હતો. ખાસ કરીને કોટ વિસ્તાર અને દાણીલીમડા, બહેરામપુરા વિસ્તારમાં કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો હતો. સદનસીબે અત્યારે કોરોનાનો એવો આતંક નજરે પડતો નથી, પરંતુ શહેરમાં કોરોના અટકવાનું નામ લેતો ન હોઇ અનલોક-૩માં પણ નાગરિકોને વિશેષ છૂટછાટ મળે તેવી શક્યતા નથી.
અમદાવાદમાં કોરોનાનાેે કહેર તો જળવાઇ જ રહ્યો છે. જેના કારણે મ્યુનિ. સત્તાવાળાઓ એન્ટિજન રેપિડ ટેસ્ટ પર વધુને વધુ ભાર મૂકી રહ્યા છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા દરરોજ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની સમીક્ષા થઇ રહી છે. જે તે એરિયામાં કોરોનાના કેસની વધઘટના આધારે તંત્ર નવા માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરે છે અથવા તો તેને હટાવી રહ્યું છે. તંત્રના સરકારી આંકડાને આધારે પણ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ગંભીર તો છે.
અગાઉ રાજ્યના કોરોનાના કેસના ૬૮ ટકા જેટલો હિસ્સો અમદાવાદનો હતો. ગત તા.ર૪ જૂનની સ્થિતિએ શહેરમાં રાજ્યના કોરોનાના કુલ કેસના ૬૮.૧૯ ટકા કેસ નોંધાયા હતા. જોકે છેલ્લા એક જ મહિનામાં આ હિસ્સો ઘટીને ૩પ ટકા થયો છે. અનલોક-૨ના એટલે કે ગત તા.૧ જુલાઇથી ગત તા.ર૯ જુલાઇ સુધીમાં શહેરમાં કોરોનાના નવા ૩,૪પ૦થી વધુ કેસ નોંધાયા છે. પરંતુ હવે કોરોનાનું સંક્રમણ પૂર્વ અમદાવાદને બદલે પશ્ચિમ અમદાવાદની તરફ વધુ ઝડપભેર ફેલાઇ રહ્યું છે.
શહેરમાં કોરોનાનો પહેલો કેસ ગત તા.૧૭ માર્ચે નોંધાયો હતો. માર્ચમાં કુલ ર૩ કેસ, એપ્રિલમાં નવા ૩,૦૦૩ કેસ, મેમાં નવા ૯,૧પ૪ કેસ અને જૂનમાં નવા ૭,૯૦પ કેસ નોંધાયા હતા. અનલોક-૧ના સમયગાળા કરતાં અનલોક-રમાં કોરોનાના કેસ સરકારી આંકડાને જોતાં મ્યુનિ. ચોપડે ચોક્કસપણે ઘટયા છે. જોકે આજની સ્થિતિએ શહેરમાં કોરોનાના કુલ ર,૮૪ર એક્ટિવ કેસ છે. જે પૈકી એક સમયના કોરોનાના એપી સેન્ટર બનેલા મધ્ય ઝોનમાં માત્ર ર૭૪ એક્ટિવ કેસ છે. તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૪૬૬ કેસ છે. આજની સ્થિતિએ અમદાવાદ શહેરમાં ૨૪,૯૩૭ કેસ નોંધાઈ ચૂક્યા છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૪૬ર કેસ અને દિક્ષણ-પશ્ચિમ ઝોનના ૪ર૪ કેસ હોઇ પશ્ચિમ અમદાવાદમાં ૪૮ ટકા જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે. અનલોક-૧ બાદ એટલે કે ગત તા.૧ જૂન પછી પશ્ચિમ અમદાવાદમાં લોકડાઉનમાં વ્યાપક છૂટછાટ અપાતા કોરોના વકર્યો છે. ગત તા.ર૭ જૂને શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો ર૦,૦૦૦ને પાર થયો હતો. એટલે શહેરમાં કોરોનાના નવા પ,૦૦૦ કેસ નોંધાવવામાં એક મહિનાથી વધુનો સમય લાગશે. અમદાવાદમાં ગત તા.ર૩ મેએ કોરોનાના ૧૦,૦૦૦ કેસ નોંધાયા હતા. તે વખતે ૩૪ દિવસે નવા ૧૦,૦૦૦ કેસ નોંધાયા હતા.
આમ તો તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા આક્રમક અભિગમ અપનાવવાની જાહેરાત કરી રહ્યું છે. પરંતુ સુપર સ્પ્રેડર્સના બીજા રાઉન્ડમાં સત્તાવાળાઓએ પાણીપૂરીવાળા, સમોસાંવાળા, લારી-ગલ્લાવાળા, પાનના ગલ્લા અને હેર કટિંગ સલૂન વગેરેનો સમાવેશ કર્યા બાદ તેની તપાસ એકંદરે 'નાટક' જ પુરવાર થઇ રહી છે.
હજુ પણ સુપર સ્પ્રેડર્સ કેટેગરીના ધંધાર્થીઓ તંત્રના હેલ્થ કાર્ડ કે માસ્ક પણ પહેરતા નથી. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની પણ તસદી લેવાતી નથી. જે પ્રકારે સુપર સ્પ્રેડર્સના એન્ટિજન ટેસ્ટિંગ લેવાઇ રહ્યા છે તેને જોતાં પહેલા રાઉન્ડ કરતાં પણ બીજા રાઉન્ડમાં કોરોના પોઝિટિવ સુપર સ્પ્રેડર્સની સંખ્યા ચોક્કસપણે વધવી જોઇએ.
તેમ છતાં સત્તાધીશો લોકોમાં ગભરાટ ફેલાય નહીં તેવા આશયથી આંકડા જાહેર કરતા નથી. જોકે જે પ્રકારે શહેરમાં માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને તે હવે રપ૦થી ઉપર પહોંચશે તેને જોતાં શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જાય છે તેમ શહેરીજનોનો મોટો વર્ગ માને છે. અલબત્ત એ વાત જુદી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અા બાબતને માનતું નથી.