કોરોનાના કારણે સામાજિક ક્ષેત્રે નવો અને રચનાત્મક અભિગમ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હવે તહેવારોની ઉજવણી સાદગીપૂર્વક થાય છે તે કોરોના મહામારીનું એક સકારાત્મક અને રચનાત્મક પાસું છે. એવું પણ કહેવાય છે કે કોરોના મહામારીના ડરથી માનવી શુદ્ધ થયો છે અને માનવી શુદ્ધ થવાથી પર્યાવરણ પણ શુદ્ધ થયું છે. પર્યાવરણ શુદ્ધ થવાના પગલે સમગ્ર પ્રકૃતિ અને જીવસૃષ્ટિનું પણ શુદ્ધીકરણ થયું છે. આપણે ત્યાં પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે અતૂટ નાતો છે. પ્રકૃતિના શુદ્ધીકરણના પગલે સંસ્કૃતિનું પણ શુદ્ધીકરણ થાય એ સ્વાભાવિક છે.
વેદ અનુસાર પર્યાવરણની શુદ્ધિ માટે મનની શુદ્ધિ પ્રથમ સોપાન છે અને આ તત્ત્વોમાં કોઇ પણ પ્રકારનું અસંતુલન થાય તો સુનામી, ગ્લોબલ વોર્મિંગ, ભૂસ્ખલન, ભૂકંપ જેવી પ્રાકૃતિક આફતો અને પ્લેગ, ડેન્ગ્યુ, સ્વાઇન ફલૂ અને કોરોના જેવી મહામારી આવે છે. તાજેતરમાં દેશ અને દુનિયા પર ત્રાટકેલ કોરોના મહામારી એક રીતે જોઇએ તો જૈવિક આપત્તિનો જ ભાગ છે.
આ મહામારીમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના મહામારીના પગલે સમગ્ર વિશ્વમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીથી એક બાજુ લોકોના લોકડાઉનમાં રહેવા દરમિયાન પ્રદૂષણ ઓછું થયું, નદીઓ નિર્મળ થઇ, ઓઝોન લેયર મજબૂત થયું. આ બધી બાબતો માનવના શુદ્ધીકરણથી ફલિત થઇ.
આ પ્રકારની મહામારી આવવા પાછળ માનવી પ્રકૃતિ પર હાવી થયો તે કારણ જવાબદાર ગણી શકાય. માનવીમાં જ્યારે અહંકાર કે ઘમંડ આવે છે ત્યારે કોરોના જેવી જૈવિક આપત્તિઓ આવે છે, પરંતુ આ પ્રકારની આપત્તિનાં કેટલાંક રચનાત્મક અને સકારાત્મક પાસાં પણ હોય છે. પર્યાવરણ અને માનવી એકબીજા પર આશ્રિત છે. હિંદુ ધર્મમાં જેટલા તહેવાર છે તે બધા જ પ્રકૃતિને અનુરૂપ છે, જેમ કે મકરસંક્રાંતિ, વસંતપંચમી, મહાશિવરાત્રિ, હોળી, નવરાત્રિ, દીપાવલી, ગણેશોત્સવ વગેરે તહેવારોમાં પ્રકૃતિનું દિવ્ય સ્મરણ થાય છે.
કોરોનાએ પ્રકૃતિ સાથે સંલગ્ન તહેવારોની ઉજવણીનો એક નવો, સકારાત્મક અને રચનાત્મક દૃષ્ટિકોણ આપ્યો છે. તાજેતરમાં ઇદના તહેવારની અત્યંત સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હવે નજીકના ભવિષ્યમાં ગણેશોત્સવ આવી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં હજારો સાર્વજનિક મંડળ ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરતાં હોય છે, પરંતુ આ વખતે કોરોનાને ધ્યાનમાં લઇ તમામ સાર્વજનિક મંડળોએ સરકારની માર્ગદર્શિકા અનુસાર ગણેશોત્સવ ઊજવવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્ર સરકાર પણ ગણેશ મંડળ સાથે ચર્ચા કરી રહી છે. સામાન્ય રીતે અનેક મોટાં મંડળમાં ૨૦થી ૨૪ ફૂટ સુધીની ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે સરકાર દ્વારા માત્ર ત્રણથી પાંચ ફૂટની મૂર્તિ લાવવામાં આવે તેવી દરખાસ્ત મુકાઇ છે. દર્શન માટે પણ લાગતી લાંબી ભીડના બદલે આ વખતે ઓનલાઈન દર્શન કરાવવાં તેવી દરખાસ્ત મૂકવામાં આવી છે.
આવું થશે તો ઇતિહાસમાં પહેલી વખત મુંબઈ-મહારાષ્ટ્રના ગણેશોત્સવ ઝાંખા લાગશે, પરંતુ આના બીજા અનેક ફાયદા પણ થશે. મોટી મોટી લાઈનો ન હોવાથી ટ્રાફિકની સમસ્યા નહીં સર્જાય, મોટાં મોટાં ઢોલ-નગારાં કે સંગીત ન હોવાથી વોઈસ પોલ્યુશન પણ કંટ્રોલમાં રહેશે. માત્ર ગણેશોત્સવ જ નહીં, નવરાિત્રમાં પણ આ જ વાત લાગુ પડશે.
નવરાિત્રની જેમ જ જન્માષ્ટમીનો તહેવાર પણ મહારાષ્ટ્રમાં ખૂબ ધામધૂમથી ઊજવાય છે અને દર વખતે દહીં-હાંડીની ઊંચાઈને લઈ કોઈ ને કોઈ વિવાદ સર્જાતો હોય છે, પરંતુ આ વખતે દહીં-હાંડી પણ ઊજવવામાં નહીં આવે. દહીં-હાંડી ઊજવવાની પરવાનગી પણ સરકાર દ્વારા નહીં આપવામાં આવે, જન્માષ્ટમી પણ લોકોએ ઘરે બેસીને ઊજવવી પડશે એમ લાગી રહ્યું છે.
સાદગીપૂર્વક તહેવારોની ઉજવણીનું એક શ્રેષ્ઠ પાસું એ છે કે લોકોનાં નાણાંની પણ બચત થાય છે. હવે ગરીબોએ તહેવારોની ઉજવણી પાછળ ખોટા ખર્ચ કરવા પડશે નહીં. આમ, સાદગીપૂર્વક ઊજવાતા તહેવારો માત્ર પર્યાવરણ અને પ્રદૂષણની દૃષ્ટિએ જ નહીં, પરંતુ આર્થિક દૃષ્ટિએ પણ લાભદાયી બનશે.