તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોરોના સંક્રમણના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે તહેવારોમાં કોરોના સંક્રમણ અટકાવવા AMCએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. નોંધનીય છે કે, વેપારીઓને સુપર સ્પ્રેડર બનતા અટકાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
તહેવારોમાં કોરોના સંક્રમણ અટકાવવા AMCની કામગીરી
વેપારીઓને સુપર સ્પ્રેડર બનતા અટકાવવા પ્રયાસ
અમદાવાદના તમામ વેપારીઓના કોરોના ટેસ્ટ કરાશે
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 દિવસમાં કોટ વિસ્તારમાં 1300 જેટલા વેપારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી ટેસ્ટિંગમાં 56 વેપારીઓ કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. ત્યારે અમદાવાદ મનપા દ્વારા આગામી સમયગાળામાં અમદાવાદના તમામ વેપારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1046 કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1046 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,79,679 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 91.15 ટકા થયો છે. તો છેલ્લા 24 કલાકમાં 51,761 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 66,16,963 પર પહોંચ્યો છે.
931 દર્દીઓ થયાં સાજા, 5 દર્દીઓના મોત
આજે 931 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,63,777 પર પહોંચ્યો છે. આજે 5 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,756 પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 2, બનાસકાંઠામાં-1, સુરતમાં 1 અને વડોદરામાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસ 12,146 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. તો આજે મહેસાણામાં 57 કેસ નોંધાતા ચિંતા વધી છે.
રાજ્યનો રિકવરી રેટ 91 ટકાથી વધુ
રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ફેલાઇ રહ્યું છે. રાજ્યનો રિકવરી રેટ 91 ટકાથી વધુ નોંધાઇ રહ્યો છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ આશરે 796.32 ટેસ્ટ કરવામાં આવે છે.