દેશમાં હોળી ધૂળેટીના રંગ ભંગ નાંખે તેવા સમાચાર આવ્યા છે, કોરોના વાયરસના કેસોએ ફરી દેશના સરકારની ઊંઘ ઉડાવી છે.
ભારતમાં ફરી સતત વકરતો જતો કોરોના વાયરસ
ભારતમાં એક દિવસમાં કોરોનાથી 291ના મૃત્યુ
એક દિવસના કેસની સામે રિકવર દર્દી ઘટી રહ્યા છે
ભારતમાં 22 માર્ચથી 28 માર્ચ સુધી એક સપ્તાહમાં જેટલા કેસ આવ્યા છે તે આ પહેલાના સાત દિવસ કરતાં 1.3 લાખ વધારે છે. સાત જ દિવસમાં કોરોના વાયરસના કેસમાં આટલો ઉછાળો ક્યારેય જોવા મળ્યો નથી. આટલું જ નહીં મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં પણ 51 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે.
કોરોના વાયરસ કેસ અપડેટ
ભારતમાં સોમવારે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 68,020 કેસ સામે આવ્યા છે. જ્યારે એક જ દિવસમાં 32,231 દર્દીઓ સાજા પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 291 દર્દીઓના મોત પણ થયા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 5,21,808 પર પહોંચી છે.
મહારાષ્ટ્રના હાલ બેહાલ
મહારાષ્ટ્રમાં રવિવારે 40, 414 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે ત્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 27,13,875 થઈ ગઈ છે. રાજ્યમાં એક દિવસમાં 108 લોકોના મોત બાદ મોતનો કુલ આંક 54,181 પર પહોંચ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં એક દિવસમાં 6,933 કોરોના કેસ સામે આવ્યા છે અને આઠ દર્દીઓએ જીવ ગુમાવ્યા. જોકે મહારાષ્ટ્રમાં એક દિવસમાં 17,874 લોકો કોરોના વાયરસથી સાજા પણ થયા છે.
લોકડાઉનની તૈયારી કરવાના આદેશ
નોંધનીય છે કે કોરોના વાયરસ સંક્રમણને જોતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મહત્વના આદેશ આપ્યા હતા. ઠાકરેએ અધિકારીઓને લોકડાઉન જેવા પ્રતિબંધોનો રોડ મેપ તૈયાર કરી દેવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ એવા લોકડાઉન કરવા કહ્યું છે કે જેનાથી અર્થતંત્ર ઓછું પ્રભાવિત થાય.
કોરોના વાયરસના કારણે રંગમાં પડ્યો ભંગ
નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે આ વર્ષે ધૂળેટીના રંગમાં ભંગ પડ્યો છે. ગુજરાત સહિતના રાજ્યોમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે અને લોકોને ઘરમાં રહીને જ તહેવાર ઉજવવાની તાકીદ કરવામાં આવી રહી છે.