કોરોના વાયરસે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યને બાનમાં લીધું છે તો કોરોનાના દર્દીઓના હોબાળા અને સારવાર દરમિયાન દવાખાનાના સ્ટાફ ડોક્ટરની ગંભીર બેદરકારીને લઇને પણ મોટા સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે આજે સમરસ હોસ્ટેલમાં 27 વર્ષીય યુવકનું મોત થવાની ઘટના સામે આવી હતી જે કોરોનાનો દર્દી હતો. અમદાવાદમાં પહેલાં સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીઓની ઘટના અને હવે સમરસ હોસ્ટેલમાં આ પ્રકારની બેદરકારીએ તંત્રની કોરોનાની કામગીરી પર સવાલ ઊભાં કરી દીધાં છે.
સમરસ હોસ્ટેલમાં 27 વર્ષના કોરોનાના દર્દીનું 2 દિવસથી રૂમમાં થયું હતું મોત
શ્વાસમાં તકલીફની મૃતકે ફરિયાદ કરી હતી છતાં નીંભર બન્યું તંત્ર
મોત મામલે AMCએ મોઢા સીવી લીધા
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે સમરસ હોસ્ટેલમાં ફરજ બજાવતા કોર્પોરેશન અને હોસ્પિટલ સ્ટાફની ગંભીર બેદરકારીને કારણે કોરોના વાયરસના એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જો કે, આ મામલે સમરસ હોસ્ટેલનો સ્ટાફને જાણે કોઇ ઘટનાને ખબર જ ન હોય તેવી રીતે ભેદી મૌન સેવીને બેઠો છે. સમરસના હોસ્ટેલના સત્તાધીશો યુવકનું ખેંચ આવવાથી મોત થયું હોવાનું એકમાત્ર રટણ કરતા રહ્યાં હતાં.
કેવી રીતે મોતની થઈ જાણ?
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ દર્દીઓને જમવાનું પહોંચાડવા આવેલી ટીમને રૂમમાંથી વાસ આવી અને સ્ટાફનું ધ્યાન દોરવામાં આવ્યું. ત્યારબાદ રૂમને ખોલીને ચેક કરવામાં આવ્યો તો દર્દી ત્યાંથી મૃત હાલતમાંથી મળી આવ્યો અને તેના શરીરમાંથી દુર્ગંધ આવી રહી હતી. ત્યારે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દર્દીનું બે દિવસ પહેલા જ મોત થયું છે. સમરસ હોસ્ટેલ પર હાલ પોલીસ પહોંચી છે અને અધિકારીઓ અને તબીબો ચૂપ છે.
શ્વાસમાં તકલીફની મૃતકે ફરિયાદ કરી હતી છતાં નીંભર બન્યું તંત્ર
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે મૃતકને 2 દિવસથી શ્વાસ લેવાની તકલીફ થતી હોવાનું જાણવા મળ્યું હતું. આ તકલીફને લઇને તે વારંવાર ફરજ પર હાજર સ્ટાફને ફરિયાદ કરી રહ્યો હતો. જો કે, કોરોનાના આ દર્દીની વાતને સમરસના જવાબદાર અધિકારીઓ અને તબીબોએ કોઇ ગંભીરતા ન દાખવતા અંતે તેનું મોત નીપજ્યું હતું. જો કે, સૂત્રોએ એમ પણ અનુમાન લગાવતા કહ્યું હતું કે, દર્દીનું 2 દિવસ પહેલા જ મોત થયું હોવું જોઇએ. મહત્વનું છે કે લક્ષણો વિનાના કોરોના દર્દીઓને સમરસ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રખાય છે અને જો કોઈ ગંભીર સમસ્યા કે લક્ષણ દેખાય તો તેને હોસ્પિટલમાં તુરંત જ શિફ્ટ કરવાના હોય છે. પરંતુ આ મામલામાં તંત્રની ઘોર બેદરકારીએ રાજ્ય સરકારની કોવિડ-19ને લઈને થતી કામગીરી પર શંકા ઊભી કરી દીધી છે.
મોત મામલે AMCએ મોઢા સીવી લીધા
ઉલ્લેખનીય છે કે, સારવાર દરમિયાન દર્દીના થયેલા ભેદી મોતને સમરસ હોસ્ટેલના જવાબદાર ડોક્ટર કે અધિકારીઓ મૌન સેવીને બેઠા છે. તો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ભીનુ સંકેલવા પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનના અધિકારીને આ વિશે પૂછવામાં આવતા તેમણે માત્ર એક જ જવાબ આપ્યો હતો કે યુવકનું મોત ખેંચ (ફીટ) આવવાને કારણે થયું છે. આ સિવાય સમરસ સ્ટાફની બેદરકારી કે 2 દિવસ સુધી કોઈ જાણ કેવી રીતે ન થઈ તેના વિશે મોઢા સીવી લીધાં હતાં.