ગુજરાતમાં કોરોના ફરીથી કહેર વર્તાવી રહ્યો છે ત્યારે હાલમાં તંત્ર અને પ્રજાની ઊંઘ હરામ થઈ ગઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરે સમગ્ર રાજ્યની ચિંતા ફરીથી વધારી દીધી છે.
ગુજરાતમાં કોરોનાએ વરસાવ્યો કહેર
તંત્ર અને પ્રજાની ઊંઘ થઇ હરામ
અમદાવાદમાં કુલ 203 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયા
અમદાવાદના સૌથી પૉશ ગણાતા વિસ્તારમાં હવે સંક્રમણ વધતાં વધારે ચિંતા થઈ છે. દિવસને દિવસે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન શહેરમાં વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 203 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયા છે.
પશ્ચિમમાં પૉશ વિસ્તારોમાં સંક્રમણ વધ્યું
શહેરના ઘાટલોડિયા, બોડકદેવ, જોધપુર, વસ્ત્રાપુર અને વેજલપુર જેવા પશ્ચિમના વિસ્તારોમાં સંક્રમણ વધતું દેખાઈ રહ્યું છે. અહીંની કેટલીય સોસાયટીઓને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનના આ વિસ્તારમાં સન્નાટાભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં ગઈ કાલે નવા 323 કેસ નવા આવ્યા
આજે અમદાવાદ શહેરમાં 323, અમદાવાદ જિલ્લામાં 24, સુરત શહેરમાં 219, સુરત જિલ્લામાં 67, વડોદરા શહેરમાં 141, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 83, રાજકોટ જિલ્લામાં 45, મહેસાણામાં 43, ગાંધીનગર શહેરમાં 38, ગાંધીનગર જિલ્લામાં 36 કોરોનાના કેસ નોંધાયા છે.
અમદાવાદની હોસ્પિટલોમાં બેડ્સ વધારાયા
હોસ્પિટલની આવેલી રજૂઆતોના પગલે AMC દ્વારા હોટલ અને હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર તરીકે મંજૂરી આપવામાં આવી છે. જેમાં અલગ અલગ હોસ્પિટલોમાં કુલ 378 જેટલા વધારે બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાજ્યમાં હાલમાં 14044 એક્ટિવ કેસ
નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1268 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 2,00,409 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3892 પર પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14044 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.05 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 84,625 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,389,330 પર પહોંચ્યો છે.