ગુજરાતમાં ફરી વખત કૂદકે અને ભૂસકે વધી રહેલ કોરોનાના કેસ વચ્ચે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે અને ધોરણ 1 થી 9ના ઓફલાઈન વર્ગો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય કર્યો હતો.
રાજ્ય સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
1 થી 9નું ઓફલાઈન શિક્ષણ બંધ પરંતુ પરીક્ષાઓનું થઈ શકશે આયોજન
કોવીડ ગાઈડલાઈનના પાલન સાથે યોજી શકાશે પરીક્ષાઓ
રાજ્ય સરકારની મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાની સમગ્ર સ્થિતિ મુદ્દે મંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની ધોરણ 1થી 9ની શાળાઓમાં તાત્કાલિક અસરથી ઓફલાઈન શિક્ષણ 31 જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યૂએટ કોર્સ સુધીના કોચિંગ સેન્ટરો, ટ્યૂશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના સેન્ટરોમાં વિદ્યાર્થીઓની 50 ટકા હાજરી સાથે ચાલુ રાખી શકાશે.
પરીક્ષાઓનું આયોજન કોવીડ ગાઈડલાઈનના પાલન સાથે કરવાનું રહેશે.
આ સાથે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ મુજબ રાજ્યભરની શાળા-કોલેજો તથા અન્ય સંસ્થાની પ્રવેશ પરીક્ષા કે કોઈપણ પરીક્ષાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે યોજવાની રહેશે. તો આ સાથે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ તથા રમતગમત સંકૂલ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.
રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ કરાયો ફેરફાર
ગુજરાતમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો આવતા રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. નાઈટ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. કોરોનાના અન્ય નિયંત્રણોમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ સુધી રાજ્યમાં રાત્રે 11 થી 5 સુધીનો રાત્રી કર્ફ્યૂ અમલી હતો જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.રેસ્ટોરન્ટ 70% ક્ષમતા રાખી જ ખુલ્લી રાખવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.રાજ્ય ભરની શાળાઓમાં ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવાનો મોટો નિર્ણય કરવામા આવ્યો છે.
રાત્રિ કર્ફ્યૂના સમયગાળા દરમિયાન નીચેની બાબતો લક્ષમાં લેવાની રહેશે
બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
મુસાફરોને રેલ્વે, એરપોર્ટ ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભ યોજી શકાશે નહી.
આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમિયાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
આજે શુક્રવારે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જો અધિકારીઑની વાત કરીએ તો ચિફ પ્રિન્સિપાલ સેક્રેટરી, મુખ્ય સચિવ. રાજ્ય પોલીસ વડા અધિક મુખ્ય સચિવ જેવા ટોચના અધિકારી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
સરકારી તમામ કાર્યક્રમ હાલ રદ્દ
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સરકારે વાયબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.તથા અમદાવાદ મનપા દ્વારા પણ ફલાવર શો તથા પતંગોત્સવ સહિતના જાહેર કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.સુરત મનપાએ પણ કાઈટ ફેસ્ટિવલ રદ્દ કરવાનો આજે નિર્ણય લીધો છે.
ગુજરાતમાં રાફડો ફાટ્યો
ગુજરાતમાં આજે ફરી કોરોનાએ ચિંતા વધારી છે. રાજ્યમાં નવા 5396 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 1158 દર્દી સાજા થયા છે અને 1 દર્દીનું મોત થયું છે. હાલ 18583 એક્ટિવ કેસ છે. 96.62 ટકા રિકવરી રેટ છે. તો રાજ્યમાં આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. 9 ઓમિક્રોનના દર્દી સાજા થયા છે.
અમદાવાદમાં સૌથી વધુ 2311 કેસ, સુરતમાં પણ ચિંતાજનક સ્થિતિ