ગુજરાત માથે કોરનાનો કહેર વરસી રહ્યો છે ત્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે આ કોરોના નથી પણ કાળ છે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોરોના કોઈનો સગો નથી. સીએમ રૂપાણી કોરોના પોઝિટિવ બની ચૂક્યા છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ પોઝિટીવ આવ્યા છે.
ત્યારે ભાજપના વધુ ત્રણ નેતા કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર અને વડોદરાની વાડી બેઠકના ધારાસભ્ય મનિષા વકીલને પણ કોરોના થયો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાલ યુ.એન.મહેતામાં સારવાર હેઠળ છે. તો મનિષા વકીલ હાલ હોમઆઈસોલેટ થયા છે.
ભાજપના 5 કેબિનેટ મંત્રી કોરોનાગ્રસ્ત
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા
વન વિભાગ મંત્રી ગણપત વસાવા
ઊર્જા વિભાગના મંત્રી સૌરભ પટેલ
રોજગાર મંત્રી દિલીપ ઠાકોર
અમદાવાદ શહેર પ્રભારી આઈ.કે જાડેજા
સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર
વડોદરાની વાડી બેઠકના ધારાસભ્ય મનિષા વકીલ
આ સાથે રાજકોટ ભાજપના વધુ 2 નેતા કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં પૂર્વ મેયર સંધ્યાબેન વ્યાસનો પરિવાર કોરોનાગ્રસ્ત બન્યો છે. સંધ્યાબેન વ્યાસ અને પરિવાર હોમ આઇસોલેશનમાં છે. પૂર્વ ડે.મેયર વલ્લભ દૂધાત્રા પણ કોરોના સંક્રમિત થયા છે. તો આ સાથે ઉચ્છલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી એવા મોહન ગામીતનું કોરોનાના કારણે ગઈકાલે મૃત્યુ થયું છે. મોહન ગામીત બારડોલીમાં સારવાર લઈ રહ્યા હતા. કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ મોહનભાઈને સારવાર માટે ખસેડાયા હતા.
ગાંધીનગર મનપાની ચૂંટણીના ઉમેદવારો પણ કોરોનાગ્રસ્ત
તો આ સાથે ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવાર પણ કોરોનાગ્રસ્ત થયા છે. ભાજપના નેતા મહેન્દ્ર પટેલ, રાજુ પટેલ અને ગીતા પટેલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
મંત્રીઓની સાથે ગાંધીનગરની સરકારી ઓફિસોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. સરકારી ઓફિસ 50% કર્મચારીઓથી ચલાવવાની માગ ઉઠી છે. સચિવાલય સેક્શન અધિકારી એસોસિયેશન દ્વારા માગ કરવામાં આવી છે. જેમાં કોરોનાની વકરતી સ્થિતી વચ્ચે સરકારી કર્મીઓમાં દહેશત જોવા મળી રહી છે. ત્રીજા ભાગના કર્મીઓના રોટેશન પ્રમાણે ઓફિસ ચલાવવા માગ કરાઈ છે.
હોસ્પિટલમાં બેડની સુવિધા વધારી
અમદાવાદમાં કોરોના કેસ વધતા મહત્વનો નિર્ણય કરાયો છે. જુદી-જુદી હોસ્પિટલમાં કુલ 1219 બેડ વધારાયા છે. આ સાથે 18 ખાનગી હોસ્પિટલમાં કુલ 1219 બેડ વધારાયા છે. કેસ વધતા બેડની અછત સર્જાય તેવી સ્થિતિ હતી. તંત્રએ કહ્યું કે, જરૂર જણાશે તો બેડની સંખ્યા હજુ પણ વધારાશે. આ સાથે AMCએ ખાનગી હોસ્પિટલોને આદેશ કર્યો છે. જેમાં 50% બેડ ફરજીયાત કોવિડ દર્દીઓ માટે રાખવા આદેશ કરાયો છે. ખાનગી 18 હોસ્પિટલમાં 1219 બેડનો લોકોને ફાયદો થશે.