કોરોનાકાળમાં આ વર્ષે વૃદ્ધો સાથે અત્યાચારના બનાવો બન્યા છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે ભરપોષણ તેમજ મિલકત પચાવી પાડવાના કેસમાં ધરખમ વધારો થયો છે.
કોરોના કાળમાં પારિવારીક વિખવાદ વધ્યા
સિનિયર સિટીઝનને ભરણપોષણ ન આપ્યાની અનેક ફરિયાદ
દીકરા, દીકરી કે પુત્રવધુએ મિલકત પચાવી પાડ્યાના અનેક કેસ
કોરોનાકાળને કારણે આજે અનેક પરિવારોના મોભી ક્યાંકને ક્યાંક ખાવા માટે વલખાં મારી રહ્યા છે. આશરો મેળવવા દર દર ભટકી રહ્યા છે. તો બીજી તરફ દિવસ રાત એક કરી ભેગી કરેલી કમાણી પર દીકરાઑ એ પચાવી પાડી છે. માતા-પિતા ન છૂંટકે હવે દિકરીના ઘરે અને વૃદ્ધાશ્રમ રહેવા મજબૂર થયા છે.
2007ના બન્યો ભરણપોષણનો કાયદો
સિનિયર સિટીઝનની સુખાકારી માટે 2007માં કાયદો બન્યો છે. જેમાં કોઈ પણ માતા પિતા સંતાનો પાસે ભરણપોષણની માંગ કરી શકે છે. સાથે સાથે જો કોઈ સંતાન ભરણ પોષણ આપવાની ના પાડે તો વૃદ્ધ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે. આ વર્ષે કોરોનાને કારણે વૃદ્ધો સાથે થયેલા અન્યાયના 135 કેસો સામે આવ્યા જેમને સબ-મેજિસ્ટ્રેટ દ્વારા ન્યાય આપવામાં આવ્યો.
છેલ્લા પાંચ વર્ષની ફરિયાદ પર નજર કરીએ તો
વર્ષ 2016- 17 131 ફરીયાદ
વર્ષ 2017 -18 128 ફરિયાદ
વર્ષ 2018-19 93 ફરિયાદ
વર્ષ 2019-20 86 ફરિયાદ
વર્ષ 2020-21 135 ફરિયાદ
ભરણ પોષણ મેળવવા કોણ હકદાર?
ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ-125 થી 128 પ્રમાણે ભરણપોષણ માંગનાર અને જેની પાસે માંગવામાં આવે છે તેમની વચ્ચેનો સંબંધ પતિ-પત્ની, પિતા-પુત્ર, પિતા-પુત્રી, માતા-પુત્ર, માતા-પુત્રી અથવા માતા-પિતા અને સંતાનોનો હોવો ખૂબ જ આવશ્યક છે. તો કાયદામાં કરાયેલી જોગવાઈ પ્રમાણે, બીજી કોઈપણ વ્યક્તિ આ પ્રકારે સંબંધ સિવાયની વ્યક્તિ પાસે ભરણપોષણ માંગી શકતી નથી. વ્યક્તિ ભરણપોષણ ત્યારે જ માંગી શકે છે જ્યારે ભરણપોષણ માંગનારની ઉપેક્ષા થઈ હોય, જેથી ભરણપોષણ કરવાની જવાબદારી હોય તેણે પોતાની જવાબદારી નિભાવવામાં ઉપેક્ષા અથવા બેદરકારી કરી હોવી જોઈએ. જવાબદારી પ્રત્યે બેદરકારીનો પ્રકાર છે અને આવી ઉપેક્ષા અને બેદરકારી સામાવાળાના વર્તન ઉપરથી સાબિત કરી શકાય. ભરણપોષણ માંગનાર પોતાનું જીવન નિર્વાહ કરવામાં અસમર્થ હોવો અને તેની સ્થિતિ આશ્રિત હોવી જરુરી છે. આવી વ્યક્તિઓમાં આશ્રિત પત્ની, બાળકો અને વૃદ્ધ માતા-પિતાનો સમાવેશ થતો હોય છે છે. ભરણપોષણ જેની પાસે, માંગ્યુ હોય તેની પાસે તેના માટે પૂરતા સાધનો હોવા જોઈએ. જેમાં નોકરી, ધંધો વ્યવસાય અથવા મિલકતની આવક સમાવેશ કરવામાં આવ્યો છે. આવકના પૂરતા સાધન નથી તેવું સાબિત કરવાનો બોજો સામાવાળા ઉપર હોય છે. તંદુરસ્ત શરીરવાળી વ્યક્તિની કોઈ આવક ન હોય તો પણ તેની વિરુદ્ધ ભરણપોષણનો હુકમ થઈ શકે છે. કાયદાકીય રીતે આવી વ્યક્તિ નાદાર થાય તો પણ ભરણપોષણની જવાબદારીમાંથી છટકી શકતી નથી. અસહ્ય દેવું થયેલ છે તો પણ તે સંતાન ભરણ પોષણ માટે ના કહી શકે નહીં.
મિલકત પચાવવાના કેસ કેમ વધ્યા?
કોરોનાનો આ સમય એટલો ખરાબ છે કે, મોટાભાગના પરિવારની આર્થિક સ્થિતિ સાવ તળિયા ઝાટક કરી નાખી છે. બચત મૂડી 2 વર્ષના સમયગાળામાં દવાખાને ખર્ચાઈ છે નહીંતર પેટનો ખાડો પૂરાવા. તો આ તરફ મોંઘવારીએ પણ માઝા મૂકી છે દિવસ રાત ઘરખર્ચીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. સામે આવકના સાધનોમાં પૂર ઝડપે ઘટાડો થઈ રહ્યો છે અને કદાચ આ જ કારણે કેટલાય સંતાનોએ ન છૂટકે પણ માતા પિતાને રઝળતા કરી દીધા છે. તો કેટલાક સંતાનોએ મોકો જોઈ મિલકત પર પોતાનો પંજો જમાવી લીધો છે.
દરેકને કાયદાથી માહિતગાર કરવા જોઈએ
કોરોનાએ સિનિયર સીટીઝનનો ટેકો તો છીનવ્યો છે પણ આપણે પણ એક જવાબદાર નાગરિક તરીકે આપના પરિવારનું તેમજ આસપાસ રહેતા બેસહારા વૃદ્ધોને મદદ પણ કરવી જોઈએ અને જરૂર પડે તો તેમણે કાયદાથી પણ અવગત કરી કાનૂની લડાઈથી માહિતગાર કરવા જોઈએ અને તો જ કોરોના હારશે અને આપણે જીતીશું તેમ કહી શકીશું.