એક તરફ દેશમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાઇ રહી છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારે કોરોના વોરિયર્સને મળતી વિમા યોજનાને પરત લઇ લીધી છે.
કોરોના વૉરિયર્સ માટે ઇન્શ્યોરન્સ સ્કીમ કેન્દ્ર સરકારે પૂર્ણ કરી
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારોને લખ્યો પત્ર
24 માર્ચ 2021ના રોજ આ યોજના પૂર્ણ થઇ ગઇ
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારોને આને લઇને પત્ર પણ લખ્યો છે. સ્વાસ્થ્ય સચિવે આ પત્ર 24 માર્ચે લખ્યો હતો, જે હવે સામે આવ્યો છે.
સરકારે ગત વર્ષ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે વીમા યોજના શરૂ કરી હતી. આ યોજાનાને 90 દિવસ માટે લાગૂ કરવામાં આવી હતી, પરંતુ તેને વધારીને 24 માર્ચ 2021 કરી દેવાઇ હતી. જે હેઠળ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને 50 લાખ રૂપિયા સુધીનો વીમો કવર કરાયો હતો. જો ડ્યૂટી દરમિયાન કોઇ સ્વાસ્થ્યકર્મીનું મોત થઇ જાય છે તો તેમના પરિવારને 50 લાખ રૂપિયા સુધીની સુરક્ષા મળતી હતી.
24 માર્ચે રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે લખ્યું છે કે, આ વીમા યોજના શરૂઆતમાં 90 દિવસ સુધી લાગૂ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં આને વધારીને 24 માર્ચ 2021 સુધી કરી દેવામાં આવી હતી. તેમણે લખ્યું કે, કોરોનાના આ દોરમાં આ યોજનાને ફરજ દરમિયાન જીવ ગુમાવનારા સ્વાસ્થ્ય કર્મચારીઓના પરિવાર જનોને રાહત આપવાનું કામ કર્યું છે. આ પત્રમાં આ વીમા યોજનાને વધારવાની વાત નથી કરવામાં આવી. આનો મતલબ થયો કે 24 માર્ચ 2021ના રોજ આ યોજના પૂર્ણ થઇ ગઇ છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ યોજના હેઠળ 24 એપ્રિલ સુધી વીમ ક્લેમ કરી શકાશે.
સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 287 ક્લેમ થયા અથવા તો અપ્રૂવ થયા છે અથવા તેની ચૂકવણી કરી દેવામાં આવી છે. જોકે, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના અનુસાર 736 ડૉક્ટર્સ ફરજ દરમિયાન જીવ ગુમાવી ચૂક્યા છે. આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રવિ વાનખેડકરે જણાવ્યું કે, 736માંથી માત્ર 287 ડૉક્ટરોના પરિવારોને જ આ વીમાની રકમ આપવામાં આવી. જોકે, સરકાર તરફથી આ વાતની માહિતી નથી આપવામાં આવી કે ફરજ દરમિયાન કેટલા ડૉક્ટરોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.