રાજ્યમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી છે પરાગ દવેના શબ્દોમાં મા'ણવા જેવી પોઝિટિવ વાત...
-ફન દા'મેન્ટલ (પરાગ દવે )
“શું તકલીફ થાય છે?”
“શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે.”
“અરે, ખાલી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે એથી તમે અકળામણ અનુભવો છો? સિવિલમાં જઇને જોઇ આવો, કેટલાયના શ્વાસ કલાકોથી સાવ બંધ થઇ ગયા છે તો પણ ચૂપચાપ પડ્યાં છે, કોઇ ફરિયાદ કરતા નથી.”
“હું પણ ચૂપચાપ જ પડ્યો છું પાંચ દિવસથી, પણ હવે ઓક્સિજન નહીં મળે તો કાયમ માટે ચૂપ થઇ જઇશ...,” રમણકાકા હાંફ ચડવાથી ત્રણ મિનિટે આટલું વાક્ય બોલી શક્યાં.
“પણ 108 આવવાંમાં હજુ પાંચ-છ કલાક થશે.”
“તો મને તારી કારમાં લઇ જા હોસ્પિટલ.”
“સરકાર માને છે કે 108માં આવે એ જ સાચો દર્દી કહેવાય.”
“તો હું ખોટો દર્દી છું?” રમણકાકા ગુસ્સાથી ખાટલામાં અડધાં બેઠાં થઇ ગયા. એમના હાથની આંગળીમાં રહેલા ઓક્સિમીટરમાં ઓક્સિજન લેવલ તાત્કાલિક ઘટીને 88નો આંક બતાવવા લાગ્યું એ જોઇને બીજી તરફના હાર્ટબિટ ઊંચા જવા લાગ્યાં. ઓક્સિમીટરમાં શેરબજાર જેવી વધ-ઘટ જોઇને રમણકાકા ફરી સૂતાં.
“108 આવે અને તમને હોસ્પિટલ લઇ જાય તો જ તમે સાચાં દર્દી ગણાશો. ત્યાં સુધી પેલી અજમાની પોટલી સૂંઘીને ઓક્સિજન લેવલ વધારો.”
“હું કહું છું કે મને પોટલામાં નાંખીને હોસ્પિટલ લઇ જાવ.”
“પણ, હોસ્પિટલ પહોંચવા એમ્બ્યુલન્સ નથી અને જે એમ્બ્યુલન્સ દર્દીને લઇને હોસ્પિટલ પહોંચે છે એ દર્દીઓને દાખલ કરવા માટે હોસ્પિટલમાં જગ્યા નથી.” રમણકાકાના દીકરાના અવાજમાં લાચારી હતી.
આ સાંભળીને રમણકાકાના ફેફસાંમાં ફાળ પડી. કોરોનાના કારણે આ એક નવી સમસ્યા ઊભી થઇ છે. કોઇ દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી ગયું છે અથવા તો વેન્ટિલેટરની જરૂર પડી છે એવું સાંભળીને બીજા દર્દીના ફેફસાંમાં કંઇક થવા માંડે છે.
પાંચ દિવસથી રમણકાકા કોરોનાના પાશમાં હતા પણ આજે સવારથી અચાનક ઓક્સિજન લેવલ ઘટી જતાં તેમને હોસ્પિટલ લઇ જવા પડે તેવી સ્થિતિ ઊભી થઇ હતી. પોતે બહુ સારા સંપર્કો ધરાવે છે એવી આખાં પરિવારની માન્યતા છેલ્લાં પાંચ કલાકમાં ભાંગીને ભૂક્કો થઇ ગઇ હતી કારણ કે કોઇ સંપર્કસૂત્ર રમણકાકાને હોસ્પિટલ સુધી પહોંચાડવા કામ લાગ્યું નહોતું.
રમણકાકાને લાગ્યું કે જો એક વર્ષ પહેલાં તેમને કોરોના થયો હોત તો સારું હતું. રમણકાકાના ખાસ મિત્ર અને પાડોશી જેન્તિકાકા ગયા વર્ષે એપ્રિલ મહિનામાં પોઝિટિવ આવ્યાં (હવે ‘કોરોના પોઝિટવ’ આખું લખવાની કે બોલવાની જરૂર નથી રહી) ત્યારે માત્ર કાકાની સોસાયટી જ નહીં, આખાં વિસ્તારમાં સોપો પડી ગયો હતો. દરરોજ વોટ્સએપ પર અમદાવાદના પોઝિટિવ દર્દીઓનું એક લિસ્ટ આવતું તેમાં રમણકાકાના વિસ્તારનો આ એકમાત્ર પોઝિટિવ કેસ હતો પણ કાકાની સોસાયટીથી ત્રણ કિમી દૂર સુધી લોકો જેન્તીકાકાના નામથી પરિચિત થઇ ગયા હતા અને ઘણાં સાવચેત થઇ ગયા હતા. જેન્તીકાકા પોઝિટિવ હોવાના રિપોર્ટ આવ્યો એ સાથે જ એક એમ્બ્યુલન્સ સોસાયટીમાં ધસી આવી હતી. જેન્તીકાકાને ખાસ કોઇ તકલીફ હતી જ નહીં, પણ તેમને એમ્બ્યુલન્સવાળા ધરાર હોસ્પિટલ લઇ ગયા હતા.
એમ્બ્યુલન્સ હજુ તો સોસાયટીની બહાર પહોંચી ત્યાં તો બીજી એક ગાડી આવી અને તેમાંથી ચાર-પાંચ જણ ઉતર્યાં. આ દરેકે પીપીઇ કિટ પહેરી હતી અને દરેકના હાથમાં સેનિટાઇઝેશન માટેના પંપ હતા. આખી સોસાયટીને થોડી વારમાં સેનિટાઇઝ કરી દેવાઇ. જેન્તીકાકાના ઘરને પણ એ લોકોએ સેનિટાઇઝ કર્યું. થોડીવારમાં જેન્તીકાકાના ઘરની બહાર લાલ કલરનું ક્વોરન્ટાઇનનું બોર્ડ પણ લાગી ગયું અને જેન્તીકાકાના ઘરના સભ્યોને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે 14 દિવસ સુધી ટાંટિયા ઘરમાં જ રાખજો. જેન્તીકાકાને હોસ્પિટલમાં એવી સરસ રીતે સાચવવામાં આવતા કે એમને એમ થવા લાગ્યું કે ઘરે જવું જ નથી. પણ, છેવટે ધરતીનો છેડો ઘર એમ માનીને જેન્તીકાકા ઘરે જવા તૈયાર થયા ત્યારે એક એમ્બ્યુલન્સ એમને ઘરે મૂકવા આવી. જેન્તીકાકા ઘરે પરત ફરી રહ્યાના સમાચારે આખી સોસાયટીમાં હરખની હેલી હતી અને સૌ સભ્યોએ પુષ્પવર્ષા કરીને જેન્તીકાકાને આવકાર્યાં હતા.
આજે રમણકાકા સહિત આખી સોસાયટીમાં 12 જણા પોઝિટિવ છે પણ કોઇ લિસ્ટમાં એમના નામ પણ નથી અને કોઇ સોપો પણ પડ્યો નથી. જેન્તીકાકાને પરાણે હોસ્પિટલે લઇ જનારા એમ્બ્યુલન્સવાળા રમણકાકાને હોસ્પિટલ લઇ જવા માટે આવતા નથી અને ઓક્સિજન પણ જાણે કે રમણકાકાથી કોઇ વાતે નારાજ હોય એમ વારંવાર ઘટી જાય છે. સોસાયટીના એકપણ પોઝિટિવ દર્દીના ઘરની બહાર કોઇ બોર્ડ લાગ્યાં નથી. આખી સોસાયટીમાં પેલા 12 પોઝિટિવ દર્દીઓ ફર્યાં હોવા છતાં કોઇ સેનિટાઇઝેશનવાળાં આવ્યાં નથી.
રમણકાકાને તકલીફ વધી રહી છે એ ખબર ફેલાતાં બધાંએ પોત-પોતાની રીતે કોઇ હોસ્પિટલમાં ખાલી બેડ શોધવા પ્રયાસ શરૂ કર્યાં. કોશિશ કરનેવાલો કી હાર નહીં હોતી એ પંક્તિ મુજબ મોડી રાત્રે સોસાયટીના એક સજ્જનના પ્રયાસ રંગ લાવ્યાં અને રમણકાકાને એક ખાનગી હોસ્પિટલમાં જગ્યા મળે એ સુનિશ્ચિત થયું. સોસાયટીના જે સભ્યો નેગેટિવ હતા તેઓ ધાબાં પર પહોંચ્યા. રમણકાકાને કારમાં હોસ્પિટલ પહોંચાડવા માટે તેમના દીકરાએ કાર સ્ટાર્ટ કરી અને સોસાયટીના સભ્યોએ ધાબેથી પુષ્પવર્ષા કરી. પહેલાં કોરોનાને હરાવનારા પર પુષ્પવર્ષા કરવામાં આવતી હતી પણ હવે કોરોનાને હરાવવા માટે હોસ્પિટલ પહોંચી શકતા લોકો પર પણ પુષ્પવર્ષા કરવી જોઇએ એવો વિચાર પેલા સજ્જનનો હતો.
વુહાનનો વાઇરસ રૂપ બદલતો બદલતો વસ્ત્રાપુર, વટવા, વસ્ત્રાલ, વડોદરા અને વલસાડમાં વિહરી રહ્યો છે ત્યારે જ્યાં સુધી રમણકાકા 14 દિવસ બાદ સાજાં થઇને ઘરે પરત ના ફરે ત્યાં સુધી આખી સોસાયટીએ સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય કર્યો.