દર્દીઓ માટે ડૉક્ટર ઇશ્વરનું સ્વરૂપ ગણાય છે. પરંતુ ડૉક્ટર ખુદ દર્દી હોય અને તે બીજા દર્દીને પોતાના જીવના જોખમે મદદ કરે તો તે ડૉક્ટરને શું કહેશો? સુરતમાં દર્દીઓની સારવાર કરતા ખુદ કોરોનાનો ભોગ બનેલા સુરતના ડૉ. સંકેત મહેતાની તબિયત અતિગંભીર બની છે. જેને લઇને તેમને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નઇની MGM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ઓક્સિજન માસ્ક ઉતારી દર્દીઓના જીવ બચાવ્યા હતા પરંતુ હાલ ખુદ જીવન સામે જંગ ખેલી રહ્યા છે. ડોક્ટર્સે કહ્યું કે, ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં એકાદ કરોડ રુપિયા જેટલો ખર્ચ થતો હોય છે.
સુરતના કોરોના વોરિયર્સનો જીવન બચાવવા સંઘર્ષ
ડૉ.સંકેત મહેતાએ પોતાનું ઓક્સિજન માસ્ક ઉતારીને દર્દીઓનો જીવ બચાવ્યો
હાલ ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નઈમાં દાખલ કરાશે
સુરતના કોરોના વોરિયર્સ જીવન બચાવવા સંઘર્ષ કરી રહ્યાં છે. પોતાનું ઓક્સિજન માસ્ક આપી બીજાનો જીવ બચાવનાર તબીબ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. ડૉ.સંકેત મહેતાએ પોતાનું હાઇલેવલનું ઓક્સિજન માસ્ક કાઢીને દર્દીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ કોરોના વોરિયર્સ તરીકે જાણીતા ડૉ.સંકેત મહેતા આજે 42 દિવસથી કોરોના અને ત્યારબાદની તકલીફો સામે જંગ લડી રહ્યાં છે. હાલ તેમને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નઈમાં દાખલ કરાશે.
20-25 દિવસની સારવાર માટેનું ફંડ ભેગું થઈ ગયુંઃ ડોક્ટર્સ
તેમના ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાનો ખર્ચ 1 કરોડ લાગી શકે છે. જેની સામે 35 લાખ એકત્ર કરવામાં આવ્યા છે. તેમના માટે ફંડ એકત્ર કરી રહેલા ડોક્ટર્સના જણાવ્યા અનુસાર ડૉ. મહેતાની આગામી 20-25 દિવસની સારવાર માટેનું ફંડ ભેગું થઈ ગયું છે. જેથી, હાલ ફંડ લેવાનું બંધ કરવામાં આવે છે. મહત્વનું છે કે, ધારાસભ્ય લલિત કગથરાએ એક મહિનાનો પગાર ડૉક્ટર સંકેત મહેતાની સારવાર માટે આપ્યો હતો.
તેમને બચાવવા માટે ફેફસાના ટ્રાન્સ્પ્લાન્ટ સિવાય હવે કોઈ વિકલ્પ નથીઃ ડોક્ટર્સ
ડૉ. મહેતાનું ચેન્નઇમાં ફેફસાનું ટ્રાન્સ્પ્લાન્ટ કરવા માટે તેમના ત્રણ સાથી ડૉક્ટર ડૉ. હિરેન શાહ, ડૉ. જયેશ ઠકરાલ, ડૉ. સંદીપ પટેલ દ્વારા ક્રાઉડ ફંન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફેફસાંનાં ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા ખૂબ જ જટીલ તેમજ ખર્ચાળ છે. કોરોનાને કારણે ડૉ. મહેતાના ફેફસાંને ખૂબ જ ગંભીર નુક્સાન થયું હોવાથી તેમને બચાવવા માટે ફેફસાના ટ્રાન્સ્પ્લાન્ટ સિવાય હવે કોઈ વિકલ્પ નથી રહ્યો. જેથી, તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને ચેન્નઇ શિફ્ટ કરવામાં આવ્યા હતા.
એક દર્દીને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા ડૉ. સંકેત મહેતાએ પોતાનું ઓક્સિજન માસ્ક કાઢીને પહેરાવી દીધું હતું
ડૉ. મહેતા આઈસીયુમાં સારવાર હેઠળ હતા ત્યારે એક દર્દીને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમણે પોતાનું ઓક્સિજન માસ્ક કાઢીને દર્દીને પહેરાવી દીધું હતું. ત્યારબાદ ઉત્તરોત્તર તેમની તબિયત ગંભીર બનતી ગઈ હતી. ડૉ. મહેતાને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને 25 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને 22 દિવસ ઈકનોમો સપોર્ટ પર પણ રખાયા હતા. જોકે, તેમની હાલતમાં કોઈ સુધારો નહોતો થયો. સામાન્ય રીતે ફેફસા ટ્રાન્સ્પ્લાન્ટ કરવામાં એકાદ કરોડ રુપિયા જેટલો ખર્ચ થતો હોય છે.