કોરોના વાયરસની નવી લહેર વચ્ચે ભારતમાં મોતનો આંકડો વધી રહ્યો છે. બુધવારે જે આંકડા સામે આવ્યા છે તેમાં એક જ દિવસમાં ભારતમાં 275 લોકોના મોત થયા છે. આ આંકડો આ વર્ષનો મોતનો સૌથી મોટો આંકડો છે. આજે નવા કેસની વાત કરીએ તો એક દિવસમાં ભારતમાં 47,262 કેસ સામે આવ્યા છે.
એક વર્ષ પહેલા આજે જ લાગ્યું હતું લોકડાઉન :
23 માર્ચ 2020ના રોજ પીએમ મોદીએ ભારતમાં રાત્રે 8 વાગ્યાથી લોકડાઉન કરી દેવાનું એલાન કર્યું હતું. રેલવે, હવાઈ જહાજ, દુકાનો, કારખાના બધુ જ એક ઝાટકે બંધ કરી દેવામાં આવ્યું હતું અને બધા જ ઘરોમાં કેદ થઈ ગયા હતા. તે સમયે દેશમાં કોરોના વાયરસના 500 કેસ હતા જે હવે 1,17,34,058 થઈ ગયા છે. આજની તારીખમાં ત્રણ લાખ 68 હજાર 457 કેસ એક્ટિવ છે જ્યારે 5 કરોડ લોકોને રસી આપી દેવામાં આવી છે.
બંગાળમાં પરિસ્થિતિ બગડી :
દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જે રાજ્યોમાં ચૂંટણી છે તેવા રાજ્યોમાં પણ હવે ટેન્શન વધી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં કેટલાય શહેરોમાં પરિસ્થિતિ ખરાબ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં સરકાર બે થી ત્રણ શહેરોમાં રવિવારે લોકડાઉન કરવાનું વિચારી રહી છે.પશ્ચિમ બંગાળમાં 19 જિલ્લાને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે 15થી 21 માર્ચની વચ્ચે કોરોના વાયરસ સંક્રમણની દર 2.09 ટકાથી વધીને 3.04 થઈ ગઈ છે.
એમપીમાં લાગશે લોકડાઉન?
મધ્ય પ્રદેશમાં પણ કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે ગૃહમંત્રીએ કહ્યું છે કે હું હાથ જોડીને કહું છું કે ગાઈડલાઇનનું પાલન કરો. સરકાર બે ત્રણ શહેરોમાં રવિવારે લોકડાઉન કરવાનું વિચારી રહી છે.