ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં થોડી રાહત મળી છે ત્યારે ચિંતાજનક વાત સામે આવી છે કે ટેસ્ટની સંખ્યામાં પણ તંત્ર દ્વારા સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં બે દિવસથી ઘટ્યા કેસ
ટેસ્ટિંગમાં ઘટાડો કરી ઓછા કેસ કર્યા
કેસ ઓછા દેખાડવા ટેસ્ટિંગમાં ઘટાડો કરાયો
23 એપ્રિલથી કોરોના ટેસ્ટિંગમાં સતત ઘટાડો
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે જેમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. રાજ્યમાં એપ્રિલ મહિનો ખૂબ જ ભારે રહ્યો છે જેમાં પ્રજાએ પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે એપ્રિલ મહિનાના અંતમાં કોરોના વાયરસ ધીમો પડ્યો અને તે બાદ મે મહિનાથી તો કેસ ધીમે ધીમે ઘટવા લાગ્યા છે ત્યારે ગુજરાતમાં ટેસ્ટિંગ પણ ઘટ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે.
છેલ્લા બે દિવસથી કેસમાં થઇ રહ્યો છે ઘટાડો
ગુજરાત એપ્રિલ મહિનાથી જ સતત ટેસ્ટિંગ ઘટાડવાની શરૂઆત કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં 23મી એપ્રિલે જ્યારે 1 લાખ 89 હજાર 902 સેમ્પલના ટેસ્ટ કરાયા હતા ત્યારે 13 હજાર 804 કોરોના કેસ નોંધાયા હતા પરંતુ ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો કરવામાં આવ્યો અને મહિનાના અંતે 30 એપ્રિલે 1 લાખ 69 હજાર 352 ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, અને ઓછા ટેસ્ટ થયા હોવા છતાં સૌથી વધુ 14,605 કેસ નોંધાયા હતા.
પોઝિટિવિટી રેશિયો વધતા ટેસ્ટિંગમાં ઘટાડો કરાયો
મે મહિનાના બે દિવસમાં ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઘટી ગયા છે. ત્યારે બીજી મેના રોજ માત્ર 1 લાખ 37 હજાર 714 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે આ ટેસ્ટમાંથી 2 મેના રોજ 12 હજાર 978 કોરોના કેસ નોંધાયા છે.
મોટા ભાગના ડોમ પર બપોર બાદ ટેસ્ટિંગ કરાય છે બંધ
નોંધનીય છે કે શહેરોમાં કોરોના વાયરસના ટેસ્ટ માટે જે ડોમ ઊભા કરી દેવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના ડોમ બપોર બાદ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગ કીટ ઓછી નથી એવા તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે ટેસ્ટની સંખ્યામાં કેમ સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે તેના પર સવાલ ઊભા થાય છે.
પહેલા કરતાં કેસ ઘટ્યા (2 મે, 2021 મુજબ)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 12,978 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 153 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 11,146 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,40,276 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 153 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7508 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. રાજ્યમાં હાલ 722 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,46,818 પર પહોંચ્યો છે.